હાર્ટ-અટૅક આવ્યા બાાદ તેમને લાગે છે કે હવે તેઓ કમજોર થઈ ગયા છે. હકીકત એ છે કે એ કમજોરી દૂર કરવા, અટૅક કે સર્જરી પછીની રિકવરી માટે અને ફરીથી બીજો હાર્ટ-અટૅક ભવિષ્યમાં ન આવે એ માટે હાર્ટના દરદીઓએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી અત્યંત જરૂરી છે. તમે કોઈ પણ હાર્ટ-પેશન્ટને મળ્યા હો અથવા તો તમારા ઘરમાં કોઈને હાર્ટની તકલીફ થઈ હોય અને અટૅક આવ્યો હોય અને ત્યારે તમે તેને નજીકથી જોયા-સમજ્યા હો તો તમને અનુભવ હશે કે હાર્ટ-પ્રૉબ્લેમ પછી અચાનક જ એક મજબૂત, સશક્ત અને આત્મવિશ્વાસથી ભરેલો માણસ એકદમ નાસીપાસ થઈ જાય છે અને ડરી જાય છે અને જમીન પર એક પગલું પણ ચાલશે તો તે જાળવી-જાળવીને ચાલશે. અમુક પ્રકારના હાર્ટના દરદીઓ એવા પણ હોય છે જે સમજે છે કે હાર્ટ-અટૅક આવ્યો એટલે હવે મારું શરીર તો નાજુક થઈ ગયું અને એમ સમજીને પોતાની જાતને પંપાળ્યા કરે. છાતી પર હાથ ફેરવ્યા કરશે. એકાદ દાદરો ચડવાનું કહો તો ચિંતામાં પડી જશે કે આ કેમ ચડીશું? કોઈ એક્સરસાઇઝ કરવાનું કહેશે તો કહેશે કે થાય એટલી કરું છું ભાઈ. શારીરિક રીતે કોઈ પણ જાતનું કામ કરતાં તેઓ ખચકાય છે અને માનસિક રીતે તેમનો આત્મવિશ્વાસ પડી ભાંગે છે.
એક્સરસાઇઝ જરૂરી હકીકત એ છે કે કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ પુરુષો અને સ્ત્રીઓમાં મૃત્યુ માટેનું પહેલું કારણ છે. એનાથી બચવા માટે વ્યક્તિએ માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું જરૂરી છે. પરંતુ એક વખત એનો શિકાર બન્યા પછી શું? કોઈ વ્યક્તિને બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ થાય તો ડૉક્ટર તેને સલાહ આપે છે કે તેને એક્સરસાઇઝ કરવી જ પડશે, જેનાથી તેમના આ રોગો પર કન્ટ્રોલ રહે અને આ રોગો થકી શરીરને નુકસાન ન થાય. લોકો આ સલાહ માને પણ છે. પરંતુ કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ આવે ત્યારે પણ લોકોને એવી જ સલાહ આપવામાં આવે છે કે એક્સરસાઇઝ તમારા માટે ખૂબ જ જરૂરી છે અને આ એક્સરસાઇઝ થકી જ તમે તમારા હાર્ટને ફરી બેઠું કરી શકશો, રિકવરી લાવી શકશો. પરંતુ હાર્ટના દરદીઓ એવા ઓછા જોવા મળે છે જે આ સલાહને બરાબર અનુસરતા હોય. આ વાત સાથે સહમત થતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના રીહૅબિલિટેશન અને સ્પોટ્ર્સ મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ અને કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, 'એ હકીકત છે કે હાર્ટના દરદીઓ એકાદ અટૅકથી માનસિક રીતે થોડા નબળા પડી જતા હોય છે અને એને કારણે વધુ ધ્યાન આપવું જોઈએ એના બદલે વધુ બેદરકાર થતા પણ જોવા મળે છે. જોકે આવા દરદીઓએ મૅરથૉન દોડતા હાર્ટ-પેશન્ટ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. હકીકત એ છે કે હાર્ટના દરદીઓને પણ ભવિષ્યમાં અટૅક પાછો ન આવે એના માટે એક્સરસાઇઝ પર ધ્યાન દેવું જરૂરી જ છે. મોટા ભાગના કાર્ડિયોલૉજિસ્ટ ફક્ત દવાઓ પર ભાર આપે છે, પરંતુ હકીકત એ છે કે રેગ્યુલર એક્સરસાઇઝ પણ પ્રિસ્ક્રિપ્શનનો ભાગ હોવી જ જોઈએ.'
મહત્વ કોઈ પણ વ્યક્તિ માટે એક્સરસાઇઝ જરૂરી હોય જ છે, પરંતુ હાર્ટના દરદીઓ માટે એટલા માટે એ વધુ જરૂરી છે; કારણ કે અઢળક રિસર્ચ એ સાબિત કરી ચૂક્યાં છે કે હાર્ટ-અટૅક પછી જો રેગ્યુલર એક્સરસાઇઝ પર ધ્યાન દેવામાં આવે તો બીજા હાર્ટ-અટૅકનું રિસ્ક ઘણું ઓછું કરી શકાય છે. આમ હાર્ટ-ડિસીઝથી બચવા માટે જ નહીં, એ આગળ ન વધે એ માટે પણ એક્સરસાઇઝ ચાલુ રાખવી જરૂરી છે. એ સિવાયના દરદીઓમાં જે ખાસ જોવા મળે છે એ છે ડિપ્રેશનનું રિસ્ક. ડિપ્રેશન અને હાર્ટ-ડિસીઝ બન્ને કંઈક અંશે વૅસ્ક્યુલર પ્રૉબ્લેમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે. તાજેતરમાં કાર્ડિયોપલ્મનરી રીહૅબિલિટેશન ઍન્ડ પ્રિવેન્શન જર્નલમાં છપાયેલા રિસર્ચ અનુસાર ડિપ્રેશન અને કાર્ડિયો પ્રૉબ્લેમ એકબીજા સાથે સુસંગત છે ત્યારે એક્સરસાઇઝ વડે આપણે બન્નેનું રિસ્ક ઘટાડી શકીએ છીએ. જે હાર્ટનો દરદી રેગ્યુલર એક્સરસાઇઝ કરતો હોય તેને જીવનમાં ડિપ્રેશન આવવાની શક્યતા ઘણી ઘટી જાય છે. આમ હાર્ટ-અટૅક આવ્યા પછી પણ રેગ્યુલર એક્સરસાઇઝનું ઘણું મહત્વ છે.
એક્સરસાઇઝ ન કરીએ ત્યારે જ્યારે હાર્ટ-ડિસીઝ ધરાવતા લોકો રેગ્યુલર એક્સરસાઇઝ નથી કરતા ત્યારે ઘણા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ શકે છે. એમાં સૌથી પહેલાં તો પ્રૉબ્લેમ એ છે કે દરદી જ્યારે અટૅકમાંથી કે સર્જરી પછી એક્સરસાઇઝ ન કરે તો તેને રિકવરી સારી આવતી નથી. એને લીધે હાર્ટની અને શરીરની સ્ટ્રેન્ગ્થ જે પહેલાં હતી એ રહેતી નથી, ઘટી જાય છે અને એને કારણે વ્યક્તિ પોતાને નબળી અનુભવે છે. આ ઉપરાંત ઓબેસિટીમાં વધારો થાય છે, બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ બન્ને કાબૂમાં રાખવામાં તકલીફ ઊભી થાય છે. આ બધા જ ફૅક્ટરને લીધે હાર્ટ-અટૅક ફરી આવવાની શક્યતા વધી જાય છે. આ સિવાય ડિપ્રેશન આવવાની શક્યતા વધે છે. નૉર્મલ લાઇફ અને રૂટીનનાં કામો પણ તમે પહેલાંની જેમ સ્ફૂર્તિથી કરી શકતા નથી, જેને કારણે તમારો આત્મવિશ્વાસ ઘટે છે. જીવન બોજરૂપ લાગે છે.
(આવતી કાલે આપણે જાણીશું હાર્ટ-ડિસીઝના દરદીઓ માટે એક્સરસાઇઝની ગાઇડલાઇન્સ. આ ગાઇડલાઇન્સ એટલે મહત્વની છે કે જો સમજ્યા-વિચાર્યા વગર દરદી એક્સરસાઇઝ કરે તો ફાયદાના બદલે નુકસાન મોટું કરી શકે છે.)
એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં જે વ્યક્તિને કૉરોનરી આર્ટરી ડિસીઝ હોય છે એ વ્યક્તિને જ્યારે એક્સરસાઇઝ શરૂ કરવાની વાત આવે છે ત્યારે સૌથી મહત્વની વસ્તુ છે કે પહેલાં તેની બધી જ જરૂરી ટેસ્ટ થવી જોઈએ એટલું જ નહીં, ડૉક્ટર દ્વારા તેની સંપૂર્ણ ચકાસણી પણ થવી જોઈએ. તેની મેડિકલ હિસ્ટરી લીધા પછી, ફિઝિકલ એક્ઝામિનેશન કર્યા પછી અને ખાસ તો સ્ટ્રેસ-ટેસ્ટ કર્યા પછી જ આગળ વધી શકાય. એ બાબતે સમજાવતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, 'જો દરદીને કોઈ પણ જાતનાં કૉમ્પ્લીકેશન હોય જેમ કે ધબકારા અનિયમિત હોય કે એની રિધમ સ્ટેબલ ન હોય, હાર્ટના વાલ્વનો કોઈ પ્રૉબ્લેમ હોય, એન્જાઇના અનિયમિત હોય તો એક્સરસાઇઝ દરમ્યાન એમાં તકલીફ ઊભી થઈ શકે છે. એટલે આવા દરદીઓની એક્સરસાઇઝ થોડી જુદી હોય છે જ્યાં સુધી તેમનાં કૉમ્પ્લીકેશન હટી ન જાય. આ ટેસ્ટ અને એક્ઝામિનેશન એટલા માટે જરૂરી છે કે એના પરથી જ વ્યક્તિ કયા પ્રકારની, કેવી અને કેટલી અને કઈ રીતે એક્સરસાઇઝ કરી શકે છે એ નક્કી થઈ શકે છે. જો એના વગર જ ચાલુ કરી દઈએ તો લાભને બદલે નુકસાન થઈ શકે છે. એક વખત તપાસી લઈને એક્સરસાઇઝ શરૂ કર્યા બાદ પણ ૨-૩ મહિનામાં ફરી તપાસવું જરૂરી છે, જેનાથી ખ્યાલ આવે કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ સાચી છે. પછી તપાસ વર્ષે એક વાર કરાવો તો ચાલે.'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot7%2BT%3Dg_2TFFYvBv1vzkPT9z-Vd8-2urBby%2Bry%2Bdihk3A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment