Friday 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સિટિજન તો તને કહીએ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સિટિજન તો તને કહીએ...
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

 

 


દર વર્ષે એક વાર ૨૬મી જાન્યુઆરીનો દિવસ અચૂક આવે છે.


૨૬મી જાન્યુઆરીનો દિવસ એટલે ભારતનો પ્રજાસત્તાક દિન. હજુ ઘણાંને પંદરમી ઑગસ્ટનો દિવસ 'સ્વાતંત્ર્ય દિન' શા માટે કહેવાય છે અને ૨૬મી જાન્યુઆરીનો દિવસ 'પ્રજાસત્તાક દિન' શા માટે કહેવાય છે, એની ખબર નથી. 'પ્રજાસત્તાક દિન' એટલે ભારતનો 'દીન' (ગરીબ) પ્રજાજન જે દિવસે રૈયતમાંથી નાગરિક બન્યો તે દિન. તા. ૨૬-૧-૧૯૫૦ના દિવસે સ્વતંત્ર ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાજ્ય બન્યું. પ્રજાસત્તાક રાજ્ય એટલે ? જે રાજ્યમાં સત્તા પ્રજા પાસે હોય, જેમાં પ્રજા સત્તાધીશ હોય એવું રાજ્ય. ભારતીય નાગરિક્ધો, આ આટલાં વરસોમાં, પોતાની પાસે સત્તા હોય એવો અનુભવ ક્યારેય થયો નથી એટલે એને 'સ્વાતંત્ર્ય દિન' અને 'પ્રજાસત્તાક દિન' વચ્ચેનો ફરક ક્યારેય સમજાયો નહીં ! સરકારી નોકરી કરતા નાગરિકોને આ બંને દિવસોએ આનંદ થાય છે, કારણ કે આ બંને દિવસોએ ઑફિસે નથી જવું પડતું. શાળા-કૉલેજમાં ભણવા-ભણાવવા જતા જોકે વિદ્યાર્થીઓમાંથી બધા વિદ્યાર્થીઓ ભણવા નથી જતા અને શિક્ષકોઅધ્યાપકોમાંથી બધા ભણાવવા નથી જતા, એટલે શાળા-કૉલેજમાં ભણવા-ભણાવવા જતા કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો-અધ્યાપકોને આ બંને દિવસોએ ભણવું-ભણાવવું નથી પડતું, તેથી તેઓ મુક્તિનો આનંદ માણે છે.


'પ્રજાસત્તાક દિન' વિષે આટલી પ્રાથમિક વાત કર્યા પછી ભારતીય નાગરિક્ધાાં લક્ષણો વર્ણવતું મારું એક પ્રતિકાવ્ય રજૂ કરું છું.


સિટિજન તો તેને કહીએ જે ભીડ ભરાઈ જાણે રે,

પરધક્કે ગડથોલું ખાયે તોયે મનમાં ક્લેશ ન આણે રે;

સકળ લોકમાં સહુ કોઈ પીડે, નહીં સહનશક્તિનો પાર રે,

વરસોવરસ બસ સહન જ કીધું, ધન્ય ધન્ય એનો અવતાર રે.

ભાતભાતના કરવેરા ભરતાં છેડો એનો ના'વે રે,

એક સાંધે ત્યાં તેર તૂટે તોયે ગાડું એ ગબડાવે રે;

વારેફેરે ચૂંટણિયું આવે, એકદી સૌ પડે એને પાયે રે,

આને ચૂંટે કે તેને રે ચૂંટે, તોયે છેવટ છેતરાયે રે.

દરિદ્ર દુર્બળ તેજરહિત છે, મોંઘવારીએ સૌને માર્યાં રે,

ભણે 'સાગર' તેનું દર્શન કરતાં આંખેથી આંસુ સાર્યાં રે.


હવે આ કાવ્યનો રસાસ્વાદ માણીએ : એક સરેરાશ કવિનું સરેરાશ ભારતીય નાગરિક્ધાાં લક્ષણો વર્ણવતું આ સરેરાશ કાવ્ય છે. સરેરાશનો અર્થ અહીં 'સામાન્ય' એવો છે. એ રીતે આ કાવ્ય સામાન્ય છે. એનો કવિ સામાન્ય છે. (જોકે કવિને તો અતિસામાન્ય કહેવો હોય તોય કહી શકાય એમ છે.) આ કાવ્ય પણ કાવ્યગુણની દૃષ્ટિએ સામાન્ય જ કહેવાય એવું છે. પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે લખાયું છે, એટલે પ્રાસંગિક રચનાની રીતે આપણે એને સારું કાવ્ય પણ ગણી શકીએ.


આ કાવ્યમાં ભારતીય નાગરિક્ધાાં સિટિજનનાં લક્ષણો વર્ણવાયાં છે, પણ આ સિટિજન સરેરાશ સિટિજન છે. કેટલાક સિટિજનો વિશિષ્ટ સિટિજનો હોય છે. જેમ કે ગવર્નરો, પ્રધાનો, ધારાસભ્યો, સંસદસભ્યો, મ્યુનિસિપલ કૉર્પોરેશનોના મૅયરો, નગરપાલિકાના પ્રમુખો, ગ્રામપંચાયતોના સરપંચો વગેરે. કેટલાક અતિવિશિષ્ટ નાગરિકો પણ છે. જેમના બાહુબળે કેટલાક વિશિષ્ટ નાગરિકો ચૂંટણી જીતે છે. આ અતિવિશિષ્ટ નાગરિકો બિહારમાં સૌથી મોટી સંખ્યામાં છે પણ ઓછાવત્તા પ્રમાણમાં ભારતના દરેક રાજ્યમાં છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં તો આ અતિવિશિષ્ટ નાગરિકો પોતે જ ચૂંટણી લડે છે, (બૅલેટ અને બુલેટ બંનેથી લડે છે) અને જીતે પણ છે. એમાંથી કેટલાક પ્રધાનપદ પણ પામે છે. આ બધા ઉચ્ચ કક્ષાના નાગરિકો વિશેષ અધિકારો ભોગવે છે. ભારતના બંધારણ પ્રમાણે ભારતના બધા નાગરિકો સમાન છે, પણ ખરેખર જોતાં કેટલાક નાગરિકો એક અંગ્રેજ લેખક કહે છે તેમ વધુ સમાન છે. ઉચ્ચ કક્ષાના નાગરિકો વધુ સમાન કેવી રીતે છે એ જાણવું હોય, તો ગવર્નરની પ્રધાનોની શાહી સવારી નીકળે એ દૃશ્ય જોવું. આ મહાનુભાવોની ઝબક-ઝબક થતી લાઇટોવાળી મોટરો નીકળે ત્યારે સરેરાશ નાગરિકોએ એમને રસ્તો કરી આપવો પડે છે. બાળવાર્તાઓમાં રાજાની ભવ્ય સવારીનાં વર્ણનો આવે છે. રાજાઓ ગયા, એમનાં સાલિયાણાંય ગયાં, પણ ભારતના ભાવિ નાગરિકોને બાળકોને બાળવાર્તાઓમાં આવતાં શાહી સવારીનાં વર્ણનો સમજવામાં મુશ્કેલી ન પડે એ માટે સ્વાતંત્ર્ય પછી પણ ઉચ્ચ કક્ષાના નાગરિકોની શાહી સવારીઓ ટકાવી રાખવામાં આવી છે.


હવે આપણે કાવ્યમાં વર્ણવાયેલાં સરેરાશ નાગરિક્ધાાં લક્ષણોની વાત કરીએ. સરેરાશ ભારતીય નાગરિક બધો સમય બધી રીતે ભીડ ભોગવી રહ્યો છે. શહેરમાં રહેતા નાગરિકો રસ્તા પરની ભીડમાં ભીંસાય છે. શહેરની ફૂટપાથો તો ખાલી નથી હોતી એટલે એમણે રસ્તા પર ચાલવું પડે છે. રસ્તા પર વાહનો પણ ચાલતાં હોય છે. શહેરમાં વસતા નાગરિકોને તાલીમ આપી હોય તો વિઘ્નચાલની રમતમાં આપણા નાગરિકો વિશ્ર્વકક્ષાની ઑલિમ્પિક્સ સ્પર્ધામાં બધા જ સુવર્ણચંદ્રકો જીતી લાવે ! સરેરાશ ભારતીય નાગરિક સ્વતંત્રતા મળી ત્યારથી આર્થિક ભીડ તો ભોગવી જ રહ્યો છે. આમ રસ્તા પરની ભીડ, રેલવેની ભીડ, બસની ભીડ તેમજ આર્થિક ભીડમાં આપણો નાગરિક ભીંસાઈ રહ્યો છે અને આમથી તેમ ગડથોલાં ખાઈ રહ્યો છે. પણ જિંદગીભર ગડથોલાં ખાવા છતાં આપણો સરેરાશ ભારતીય નાગરિક મનમાં સહેજે ક્લેશ નથી કરતો. કર્મનો સિદ્ધાંત એને ગળથૂથીમાંથી જ મળેલો છે. એ બીજાનાં કર્મોથી દુ:ખી થતો હોવા છતાં એમ માને છે કે મારાં પૂર્વજન્મનાં કર્મોને કારણે જ હું દુ:ખી છું. એટલે સૌ એને પીડી રહ્યા છે. પણ ભારતીય નાગરિક જેનું નામ ! એ સાક્ષાત્ સહનમૂર્તિ છે. એણે બસ સહન જ કર્યું છે. ચૂં કે ચાં એકેય શબ્દ એના શબ્દકોશમાં નથી.


સરેરાશ ભારતીય નાગરિકે કરવેરા ભરવા જ જાણે જનમ ધારણ કર્યો હોય એવું લાગે છે. ઉછીના પૈસા લઈને આવકવેરો ભરતા નાગરિકો કેવળ ભારતમાં જ જોવા મળે છે. ભારતમાં શેના પર કર નથી એ શોધી કાઢવાનું મુશ્કેલ છે. જેના પર કર ન હોય એવી માત્ર બે જ બાબતો મારા ધ્યાન પર આવી છે : શ્ર્વાસ લેવા પર અને રસ્તે ચાલતી વખતે હાથ હલાવવા પર. એકવીસમી સદીમાં શ્ર્વાસ લેવા પર કર નાખવામાં આવે, તો નવાઈ નહીં લાગે. લોકો જાહેર રસ્તાઓનો ઉપયોગ કરે છે, એ કારણે રોડ ટૅક્સ ભરે છે એ રીતે ઘરમાં શ્ર્વાસ કદાચ મફતમાં લઈ શકાશે પણ જાહેરમાં શ્ર્વાસ લેવા માટે કર ભરવો પડશે. પ્રાણાયામ શીખ્યા હોય એવા નાગરિકોને શ્ર્વાસકરમાં વીસ ટકા રાહત આપવામાં આવશે. શહેરના નાગરિકો શ્ર્વાસમાં પેટ્રોલ, કેરોસીન વગેરેનો ધુમાડો પણ લે છે.


રાષ્ટ્રની માલિકીની આ કીમતી ઊર્જા અત્યારે એને શ્ર્વાસમાં મફત મળે છે પણ શ્ર્વાસ પર ટૅક્સ નખાશે તો શહેરના નાગરિકોએ ઊંચા દરનો શ્ર્વાસવેરો ભરવો પડશે. રસ્તા પર ચાલતી વખતે હાથ હલાવવા પર કર નખાશે તો વહેલી સવારે ફરવા જનારાંઓએ આ વેરો સૌ કરતા વધુ ભરવો પડશે. સ્વતંત્રતા પછી નાગરિકોને રડવા માટેની ભરપૂર તકો મળે છે. પણ હસવા માટેની તકો ખાસ મળતી નથી. એટલે હસવા પરના કરવેરામાંથી સરકારને ખાસ આવક થાય એવી શક્યતા ન હોવાને કારણે હાસ્યવેરો નાખવામાં આવ્યો નથી. પણ લાફિંગ ક્લબો વધતી જશે, તો આવી ક્લબોના સભ્યો પર લાફિંગ ટૅક્સ નાખવામાં આવે કદાચ. ટૂંકમાં, કરવેરાની જ્યાં જગ્યા છે ત્યાં કર નાખવામાં આવ્યા છે અને આવશે. ભારતનો સરેરાશ નાગરિક એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં જીવતો આવ્યો છે. આમ છતાં એનું ગાડું ગબડ્યે જાય છે, એ જગતની અગિયારમી અજાયબી છે.


હમણાં-હમણાંથી ભારતીય નાગરિક્ધો ચૂંટણીયોગ બહુ આવે છે. ચૂંટણીના દિવસોમાં એ સરેરાશ નાગરિક મટી ઉચ્ચ કક્ષાનો નાગરિક બની જાય છે. ભલભલા ખેરખાંઓ એની કાકલૂદી કરતા આવે છે. આખી બોં એના હાથમાં હોય છે. 'કૈસે કૈસે' ને - 'ઐસે વૈસે' કરી નાંખવાની શક્તિ એનામાં પ્રગટે છે. પણ ચૂંટણી ગયા પછી એની સ્થિતિ પાછી એની એ થઈ જાય છે. એને ખબર પડી ગઈ છે કે બધા પક્ષોના માણસોનાં બ્લડગ્રૂપ જુદાંજુદાં છે પણ એમના લોહીનો રંગ સરખો જ છે ! એટલે આને ચૂંટે કે તેને ચૂંટે એની સ્થિતિમાં ખાસ ફરક પડતો નથી.


મોંઘવારીનો માર ખાઈખાઈને ભારતીય નાગરિક સાવ તેજ વગરનો થઈ ગયો છે. આવા ભારતીય નાગરિક્ધાું દર્શન કવિની આંખમાં આંસુ લાવી દે છે. કવિ પોતે પણ આ નાગરિકોમાંનો એક છે એટલે એ તો અરીસામાં પોતાનું મોઢું જુએ છે ત્યારેય એની આંખમાં આંસુ આવી જાય છે.


આ હાસ્યરસનું કાવ્ય હોય એવું લાગે છે, પણ કરુણરસનું કાવ્ય કહેવું હોય તોય કહી શકાય. ભારતીય નાગરિકે રડવાની દરેક વાતમાંથી હસવાનું ખોળી કાઢવાનું શીખવું પડશે જો જીવવું હોય તો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvXw3mLUoWFKo8cABnD9dy1NqDppboMb%3DWRd1zsEYfKSg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment