Tuesday 31 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઈમાનદારી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈમાનદારી!
ડૉ. આઈ. કે. વીજળીવાળા

 


બપોરના બાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ લગભગ ૧૨૦ જેટલાં દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. બાળ-દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સન જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું : એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલત હોય.


'સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?' એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું.
'શું થયું છે?' મેં પૂછ્યું.


'નાનું બાળક છે અને ખૂબ હાંફે છે.' એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.
થોડીવારમાં જ એક માજી અને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયાં. બંનેનાં કપડાં પરથી એમના ઘરની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો. અનેક થીંગડાંવાળાં કપડાં બતાવી જ આપતાં હતાં કે એમની પરિસ્થિતિ કેવી હશે. બાળકને પણ એવાં જ ગાભામાં વીંટાળ્યું હતું. મેં એમને મારી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. માજી એ દીકરાને લઈને મારી બાજુમાં બેસી ગયાં.


'ક્યા ગામથી આવો છો?' મેં પૂછ્યું.


'ગારિયાધારની બાજુના ગામડેથી' માજીએ જવાબ આપ્યો.


'બાળક કેટલા દિવસથી બીમાર છે?'


'ત્રણ દિવસથી. ત્રણ દિ'પહેલાં એને ઉધરસ શરૂ થઈ હતી અને ગઈકાલથી ઊભો શ્વાસ થઈ ગયો છે.' માજીએ કહ્યું.
મેં બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું. સાવ હાડપિંજર જેવું એ બાળક ધમણની માફક હાફતું હતું. કુપોષણ અને ઘણાં બધાં વિટામિનની ખામીથી એ કૃશ શરીર કાળું મેશ જેવું બની ગયું હતું. આંખો અર્ધી ખુલ્લી હતી. એનું શરીર પણ ખાસ્સું તપતું હતું. હાથપગના નખ ભૂરા થઈ ગયા હતા. આ બધી બાબતો એને બંને ફેફસામાં ન્યુમોનિયા થયો હોવાની ચાડી ખાતી હતી.


'માજી! આને દાખલ કરવો પડશે. કદાચ એને શ્વાસના મશીનની જરૂર પણ પડે (વેન્ટીલેટરની). એ સગવડ મારી પાસે નથી. તમે એક કામ કરો. ભાવનગરના સરકારી દવાખાને આને દાખલ કરી દ્યો. ત્યાં હવે આવી બધી સુવિધાઓ હોવાથી આ બાળકના બચી જવાની શક્યતા વધારે રહેશે.' મેં કહ્યું. ભાવનગર મેડિકલ કોલેજ બન્યા પછી અહીંની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.


'પણ બાપા! અમે બે જ જણ આવ્યાં છીએ. અમને તો એમ હતું કે દવા લઈને પાછાં જતાં રહીશું!' માજી બોલ્યાં.
'નહીં માડી! પાછાં જવાય એવું નથી. બાળક ખૂબ સિરિયસ છે. ઘરે દવા થઈ શકે એવું નથી લાગતું. તમારે એને દાખલ તો કરવું જ પડશે.' મેં ભાર દઈને કહ્યું
'પણ…! પણ…' માજી બે વખત 'પણ' બોલીને અટકી ગયાં. એને શું કહેવું હતું એનો અંદાજ લગાવતા હું બોલ્યો, 'માડી! તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આ સરકારી દવાખાનું છે. ગરીબ માણસોને સાવ મફતમાં સારામાં સારી સારવાર ત્યાં મળે છે, એટલે તમે ખર્ચની ચિંતા નહીં કરતા.'


'પણ અમે સાસુ-વહુ ત્રણસો રૂપિયા લઈને નીકળ્યાં છીએ! એમાંથી ચોથા ભાગના ટિકિટમાં વયા ગ્યા. હવે અમારી પાસે માંડ બસોએક રૂપિયા વધ્યાં છે. અમારે દવા કે એવું કાંઈક લાવવું પડશે તો?' માડીએ વાત કઈ જ નાખી.


મને એમના ખચકાટનું કારણ શું હોઈ શકે એનો લગભગ અંદાજ તો હતો જ. મેં એમને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું, 'માડી! અત્યારે તમે આ લઈને જાવ અને દાખલ થઈ જાવ. એક વાર દીકરાની સારવાર શરૂ થઈ જાય પછી બીજું બધું જોયું જાશે.'


પરંતુ મારી નવાઈ વચ્ચે માજીએ એ લેવાની સાફ ના પાડી.


'કેમ માડી?' મેં કહ્યું. 'અત્યારે આ લઈને તમે જલદી જાવ અને આને દાખલ કરી દ્યો.'


પણ મારો હાથ પાછો ઠેલતાં માજી બોલ્યાં, 'ના સાહેબ! અમે હમણાં બસટેંડે જઈને કો'ક ઓળખીતા ભેગું  કે'વડાવશું એટલે ઘરે સમાચાર મશી જાશે. પછી આ ચોકરાનો બાપ ગમે ઈમ કરીને પૈસાનું કરશે. પણ તમારા થોડા લેવાના હોય?'
'માડી!' મેં કહ્યું, 'અત્યારે એવો બધો સંકોચ છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે જતાવેંત મોંઘા ઈન્જેકશન લાવવાના થયા તો? તમે કહેવડાવો અને છોકરાનો બાપ વ્યવસ્થા કરીને બાવનગર આવે એટલી વારમાં તો મોડું ન થઈ જાય? એના કરતા આ પૈસા લેતા જાવ અને જલદી એને મોટા દવાખાનામાં દાખલ કરી દ્યો. અને હા! જો ત્યાં દાખલ થયા પછી પણ કોઈ દવા કે ઈન્જેકશન લાવવા માટે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જજો. પણ હવે જલદી જાવ!' મેં એમને સમજાવવાની કોશિશ કરી.


મારા આપેલા પૈસા લેવાની એમની જરા પણ ઈચ્છા નહોતી. પરંતુ મારી સમજાવટની અસર હોય કે પછી બાળકની ગંભીર સ્થિતિ એ ગમે તે હોય પણ માજીએ વધારે રકઝક કરવાનું માંડી વાળ્યું અને બાળકને લઈને સાસુ-વહુ સરકારી દવાખાને જવા રવાના થયાં.


એ વાતને ત્રણ દિવસ વીતી ગયા. ચોથા દિવસે બપોરે હું ઓપીડીના બાકી રહેલા છેલ્લા બાળદર્દીને તપાસી રહ્યો હતો. મેં મારા માણસને પૂછ્યું કે, 'બહાર કોઈ છે હવે?'


'હા સાહેબ! ત્રણ દિવસ પહેલા જે સિરિયસ છોકરાને મોટા દવાખાને મોકલ્યો હતો એના દાદીમા બહાર બેઠાં છે. મોકલું?'


મેં હા પાડી. રોજની દોડધામમાં અમે એ વાત ભૂલી પણ ગયા હતા. પછી હું વિચારમાં પડી ગયો. મને થયું કે, 'કદાચ પેલા છોકરા માટે વધારે મદદની જરૂર પડી હશે. નહીંતર મોટાભાગે તો બીજા દવાખાને મોકલેલા દર્દીના સગા ભાગ્યે જ મળવા આવતા હોય છે.' હું આગળ કાંઈ વિચારું એ પહેલા જ પેલા માજી અંદર આવ્યા.


મેં માજીને બેસાડ્યાં. પછી પૂછ્યું, 'બોલો માડી! કેમ આવવું થયું?'


'આ પેલા પાંચસો રૂપિયા પાછા આપવા આવી છું, સાહેબ!' માજી બોલ્યાં.


'પાછા આપવા? કેમ?' મને નવાઈ લાગી.


'હા સાહેબ! પાછા આપવા આવી છું.' માજીએ કહ્યું


'પણ કેમ માડી?'


'સાહેબ અમે મોટા દવાખાને ગયા પછી બે કલાકમાં જ દીકરો તો ગુજરી ગ્યો. ત્યાંના દાકતરે એકેય દવા બજારમાંથી નહોતી માંગવી. દીકરો તો ઈ પહેલા જ પાછો થયો હતો. તે દિ'તો અમે મૈયત લઈને ઘરે વયાગ્યા'તા. આજ જિયારત પત્યા પછી હું આ પૈસા દેવા આવી છું.'


'પણ માડી, એ રાખવા હતા ને? ઘરમાં કામ આવત. એટલાક રૂપિયા માટે આટલો લાંબો ધક્કો થોડો ખવાય?' મેં કહ્યું.


'ના સાહેબ! એ તો હરામના કે'વાય તમે તો દીકરાની દવા માટે આપ્યા'તા. દીકરો તો પાછો થયો. એના માટે ફદિયું પણ વપરાયું નહોતું. હવે ઈ પૈસા અમારે નો જ રખાય. તમે ઈ પાછા લઈ લ્યો.' માડીએ મારા ટેબલ પર પૈસા મૂક્યા.
હું નિઃશબ્દ બની ગયો. આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે. ઘણી વખત અનુભવાય છે. પણ એ ક્ષણે હું જે જોઈ રહ્યો હતો એ થોડીક મિનિટો ચોક્કસપણે કહી શકાય કે કળિયુગની તો નહોતી જ! ધરતી માનવીઓનો ભાર કદાચ એમ જ ઝીલી નહીં લેતી હોય. આવા લોકોના કારણે જ એ શક્ય બનતું હશે. ગામડામાં વસતો સાવ છેવાડાનો માણસ વ્યવહારમાં હજુ આવો અણીશુદ્ધ રહી શક્યો છે ત્યાં સુધી આ દેશની ચડતી જ હોય એવો વિશ્વાસ મને આવી ગયો. મારા દેશના આવા કહેવાતા 'નાના' પરંતુ હકીકતમાં 'વિરાટ' માણસો માટે મારી છાતી એકાદ ગજ ફૂલી ગઈ. આપણા સમાજની ઈમારતનો ઉપરનો માળ ઘણો સડી ગયેલો લાગે છે, પણ એનો પાયો હજુ મજબૂત છે એવી નક્કર હૈયાધારણ મળી ગઈ.


'માડી!' મેં માજીના હાથમાં પાંચસો રૂપિયા પાછા મૂકતા કહ્યું, 'આ પૈસા તમારે રાખવાના છે. તમારી ઈમાનદારીના છે. નહીંતર આજના જમાનામાં આમ કોઈ ગાંઠના પૈસા ખર્ચીને પાછા આપવા આવે ખરું? તમે વાપર્યા કે નહીં એ હું ક્યાં જાણું છું કે ક્યાં પૂછવાનો હતો?'


'પણ ઉપરવાળો તો પૂછશે ને?' માજી બોલ્યાં.


માડીનો જવાબ સાંભળીને હું ફરી એકવાર નિઃશબ્દ બની ગયો. મને થયું કે નીતિ-અનીતિની સાવ સ્પષ્ટ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આચરતા ભણેલાગણેલા લોકોમાં નહીં હોય? કદાચ હશે તો પણ એ લોકો પોતાના અંદરના અવાજને દબાવી દેતા હશે.


મેં માંડ માંડ એ માજીને સમજાવ્યા. એ નહોતાં જ માનતાં. જ્યારે મેં કહ્યું કે 'માડી! એ પૈસા પેલો ગુજરી ગયો એ દીકરાના નામના છે, હું એ પાછા ન લઈ શકું. એટલે એની યાદમાં ક્યાંક વાપરજો.' ત્યારે છેક એમણે એ સ્વીકાર્યા.
મારી સામે જોઈ, આંસુભરી આંખે અને હળવે પગલે મારી ચેમ્બરમાંથી એ માજી બહાર ગયાં. તે વખતે એમની વળેલી કમર જોઈને મને થતું હતું કે ખરેખર, આ આખી ધરતીને ટકાવી રાખવાના ભારથી માણસની કમર આટલી તો વળી જ જાય! એ કાંઈ નાનો સૂનો ભાર થોડો છે?




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvsoUzPBpwVccSEiChHM_PkEnAmPG%2BrK%3DFYuFYbx43cyw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લેડીઝ મૅન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લેડીઝ મૅન!
વરણાગી રાજા-દિવ્યાશા દોશી

આપણા પડોશી દેશ પાકિસ્તાનનો નવો વજીર એટલે કે વડા પ્રધાન ઈમરાન ખાન એક જમાનામાં મોસ્ટ સેક્સીએસ્ટ મેન તરીકે ઓળખાતો. સ્ત્રીઓમાં તે એટલો બધો પ્રિય હતો કે તેને પ્રિયતમ બનાવવા માટે સ્ત્રીઓ તત્પર રહેતી. તે મોસ્ટ વોન્ટેડ લેડીઝ મેન ગણાતો. ૬૫ વરસની ઉંમરે પણ તેના ત્રીજા લગ્ન થઈ શકે છે. ભલે તેની ભૂતપૂર્વ પત્નીના પુસ્તકમાં તેના વિશે અનેક બુરાઈઓ લખાઈ હોય પણ ભારતમાં જ નહીં વિદેશમાં પણ અનેક બાનુઓ હશે જેમણે ઈમરાન ખાનને નહીં તો તેના પોસ્ટરને ચૂમ્યો હશે. ઈમરાન ખાનનો ચહેરો પરફેક્ટ હતો એવું ન કહી શકાય. તેણે પોતે પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે મારી બહેન મને અગ્લી એટલે કે કદરૂપો કહેતી અને હું પોતે પણ માનતો કે મારો દેખાવ કંઈ આકર્ષક નથી. પણ ક્રિકેટમાં તેની દુનિયાના ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભાએ પઠાણી દેખાવમાં સફળતાનો ચાર્મ ઉમેર્યો.

 

ઈમરાન ખાનની બોડી લેંગ્વેજ ક્રિકેટના મેદાનમાં અગ્રેસીવ અને મારકણી હતી. ૮૦ના દાયકામાં તે મોસ્ટ સેક્સીએસ્ટ અને પીન અપ ક્રિકેટર હતો. પાકિસ્તાનની ટીમ રમવા આવી હોય તો સ્ટેડિયમમાં ખૂબસૂરત સ્ત્રીઓનો જમાવડો રહેતો. પત્રકારો સતત તેનો પીછો કરતા. જો કે તેણે એ વિશે બહુ જવાબો આપવાનું ટાળ્યું જ છે. તેના પગ હંમેશાં જમીન પર જ રહ્યા છે. હા એ ખરું કે સુંદર સ્ત્રીઓ તેની આસપાસ રહેતી ખરી. તેની માતા જીવતી હતી ત્યારે એને પોતાની સેક્સી બોયની ઈમેજ અખરતી હોવાનું પણ કબૂલ્યું હતું. તેમના મૃત્યુ પછી તેને કોઈ ફરક નથી પડ્યો. સ્ત્રીઓને જેમ સુંદર અને આકર્ષક દેખાવાનું ગમે છે તેમ પુરુષોને પણ હેન્સમ, આકર્ષક દેખાવાની ઈચ્છા હોય છે. લેડીઝ મેન એટલે કે સ્ત્રીઓમાં લોકપ્રિય હોવું. પુરુષે સ્ત્રીની પાછળ નહીં પણ સ્ત્રીઓ એવા પુરુષની કંપની ઝંખતી હોય તે. જરૂરી નથી કે એવો પુરુષ દેખાવડો હોય, મોટાભાગના પુરુષોને જાણવું હોય છે કે સ્ત્રીઓને કેવો પુરુષ ગમે છે. હોર્મોનલ આકર્ષણ સ્ત્રી અને પુરુષ માટે સરખું જ હોય છે. પણ કેટલાક પુરુષોમાં એવો ચાર્મ કે કરિશ્મા હોય છે. એ કરિશ્મા આમ તો જન્મજાત જ હોય છે, પણ કેટલીક બાબતો કેળવી પણ શકાય છે. સ્ત્રીઓને પૈસાદાર પુરુષો જ ગમે છે એવું નથી. સફળ પુરુષો આકર્ષે છે. ઈમરાન ખાન ક્રિકેટર તરીકે સફળ હતો અને પાકિસ્તાન ટીમનો સફળ કેપ્ટન હતો. તેણે પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતી આપ્યો હતો. પોતાની રમતમાં આક્રમક હોવા છતાં તે ધીરગંભીર હતો. ઉછાંછળો કે ઝઘડાખોર નહોતો. તેને મળનારા પુરુષ પત્રકારો પણ તેની નમ્રતાના વખાણ કરે છે તો તેની આંખોની ચમક, વ્યક્તિત્વની પ્રતિભાની નોંધ લે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તે ભણ્યો છે અને બુદ્ધિશાળી છે. એટલે સૌ પ્રથમ તો લીડર તરીકેની પુરુષની ગુણવત્તા કે આવડત સ્ત્રીઓને સૌથી વધુ ગમે છે એવું કહી શકાય. મોટાભાગના લોકોને લીડર તરીકેની જવાબદારી ઉપાડવી ગમતી નથી. બીજાની નીચે કામ કરવું કે બીજાને ફોલો કરવું ગમે છે. કોઈપણ પરિસ્થિતિમાં નેતૃત્વ ઉપાડી લેનાર પુરુષ જવાબદારીથી ભાગતો નથી એ સાબિત થાય છે.

 

ડોન વાન અને કાસાનોવાનું નામ લેડીઝ મેન તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પણ પહેલા નંબરે આવે ડાયનોસસ પ્રાચીન ગ્રીસનો દેવતા. તેને ગ્રીક ગોડ ઓફ સેક્સુઅલ પેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે તે એટલો આકર્ષક હતો કે વીમેન સ્ટીલર તરીકે પણ ઓળખાતો. તેની પાછળ સ્ત્રીઓ પાગલ બનતી એવી માન્યતાઓ છે. સ્ત્રીઓના દિલ જીતવામાં તે માહેર હતો. ગ્રીક માયથોલોજીમાં તે વાઈન મેકર તરીકે પણ ઓળખાતો. અનેક કિવંદતીઓ ગ્રીક ઈતિહાસમાં તેના વિશે જોવા મળે છે પણ તે લેડીઝ મેન હતો તે બાબત સામાન્યપણે દરેક વાર્તાઓમાં મળી આવે છે.

 

સત્તરમી સદીમાં ટિરસો ડી મોલિના નામના મોન્કે ડોન વાન નામનું એક નાટક લખ્યું હતું. ડોન વાન વિશે ઘણી કિવંદતીઓ છે તેમાં તેણે ૧૭૦૦થી વધુ સ્ત્રીઓને સિડ્યુસ્ડ કરી હોય તેવી બાબત પણ છે. હેન્ડસમ, ઊંચો કદ,કાઠીનો દેખાવ ધરાવતો ડોન વાન પોતાની વાતોથી, ચાર્મથી , સેક્સ અપીલથી સ્ત્રીઓને આકર્ષી શકતો. રાણીઓથી લઈને માછણો પણ તેના પ્રેમમાં હતી એવું કહેવાય છે. ખ્રિસ્તી ધર્મ પ્રમાણે તે સારો માણસ નહોતો પણ સ્ત્રીઓમાં તે પ્રિય હતો. ત્યારબાદ ફ્રેન્ચમેન કાસાનોવાનું નામ આવે છે. હજી આજે પણ સ્ત્રીઓને આકર્ષી શકતા પુરુષને કાસાનોવાનું ઉપનામ આપવામાં આવે છે. કાસાનોવાનો અર્થ થાય છે સ્ત્રીઓને આકર્ષી શકતો પુરુષ કે જેને અનેક પ્રેયસી હોય. ડોન વાનનો અર્થ પણ કંઈક એવો જ થાય છે. સ્ત્રીઓને પ્રેમમાં પાડી શકતો. કાસાનોવા મૂળ વેનિસનો હતો અને લેખક પણ હતો. તેના અનેક અફેર હતા. પાછળથી તે ફ્રેન્ચ ભાષામાં લખતો. તેના અફેરની ચર્ચાઓ અને વાયકાઓ એટલી હતી કે આજે વુમનાઈઝર કે લેડીઝ મેનને કાસાનોવા કહીને સંબોધવામાં આવે છે. પ્રસિદ્ધ રશિયન લેખક ટોલ્સટોયની વાર્તા આના કેરોનિનાનો નાયક કાઉન્ટ વરોન્સ્કિ દરેક સ્ત્રી વાચકોના કલ્પનાનો પુરુષ છે. હેન્ડસમ, પૈસાદાર, સ્માર્ટ અને સ્ત્રીઓને ગમે એવો મિત્ર બની શકે. આવા પુરુષોની સાથે તમારા જોખમે સંબંધ રાખવો એવી ચેતવણી આ નવલકથામાં આપવામાં આવી છે. કારણ કે આવા પુરુષો કોઈ એક સ્ત્રીના થઈ જ ન શકે.

 

આપણા જાણીતા લેખક કનૈયાલાલ મુનશીએ માલવપતિ મુંજનું જે આલેખન કર્યું છે તે પણ બહાદુર અને આકર્ષક વ્યક્તિત્વનો સ્વામી હોવા ઉપરાંત તે બુદ્ધિશાળી હતો અને વાકપતિ એટલે કે બોલવામાં હોશિયાર હતો. માલવાનો આ રાજા તૈલપની સામે હાર્યો પણ તૈલપની વિધવાબહેન મૃણાલ પણ તેના પ્રેમમાં પડી જાય છે. માલવપતિ મુંજ નામે ગુજરાતી ફિલ્મ પણ બની છે. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને તનુજા હતાં.

 

આજે કેવો પુરુષ ગમે સ્ત્રીને તો નેતૃત્વ કરી શકે અને જવાબદારી ઉઠાવી શકે. એ સિવાય બુદ્ધિશાળી હોય, સ્ત્રીને પામવા માટે લટૂડા પટુડા ન કરે, તેના પર આધિપત્ય પણ ન જમાવે તેવો. એક સમય હતો જ્યારે સ્ત્રીને તાબામાં રાખે એવો પુરુષ ગમતો. જો કે આજે તેની વ્યાખ્યા બદલાઈ છે, કારણ કે સ્ત્રીઓનું જીવન પણ બદલાયું છે. ઈ એલ જેમ્સની ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે જે સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય બની હતી તે એના નાયકને લીધે. તેનો નાયક હેન્ડસમ, પૈસાદાર છે અને તેને સ્ત્રીની મરજીથી હિંસક પ્રેમ કરવો ગમતો હતો. સ્ત્રીને બાંધીને પ્રેમ કરવામાં તેને તાબામાં લઈ સરન્ડર કરવાની વાત છે. કેટલાક અંશે મોટાભાગની સ્ત્રીઓને બેડ બોય ગમતા હોય છે તેથી જ આવી નવલકથા લખાઈ અને તે ધૂમ વેચાઈ અને વંચાઈ. પૌરુષીય પુરુષની વ્યાખ્યા સ્ત્રીઓના મનમાં પણ કોતરાઈ ગઈ હોય એવું લાગે છે.

 

તો પછી કેમ દરેક પુરુષને સ્ત્રી મળતી નથી. કે પછી દરેક પુરુષ કાસાનોવા બની શકતો નથી. પુરુષને સ્ત્રીનું આકર્ષણ એટલું હોય છે કે તે માટે કોઈ પણ હદે તેઓ જઈ શકે છે, એટલે જ સ્ત્રીને હંમેશાં પુરુષોથી થોડો ભય રહ્યા કરતો હોય છે. સ્ત્રી કોઈપણ પુરુષ પર જલદીથી વિશ્ર્વાસ નથી મૂકી શકતી. તે દરેક પુરુષને સંબંધોમાં પણ સતત ચકાસતી રહે છે. મુખ્ય કારણ તો એ છે જ કે સ્ત્રીને ફક્ત શારિરીક સંતોષ નથી જોઈતો. સ્ત્રીને સંતોષ માનસિક રીતે ફીલ થવો જોઈએ. કહેવાય છે કે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે, તે વાત સાવ ખોટી નથી. બીજું સ્ત્રીને પ્રિન્સેસ હોવાનો અહેસાસ કરવો ગમે છે. પોતે હજી વોન્ટેડ છે, રોમાન્સને લાયક છે તેવો અહેસાસ કરવો ગમે છે. આ લેડિઝ મેનમાં કુદરતી ચાર્મ સિવાય સ્ત્રીઓને ખુશ રાખવાની આવડત હોય છે. તેઓ સ્ત્રીની લાગણીઓની મજાક નહીં ઉડાવે પણ તેની કદર કરશે. ઈમરાન ખાન એવો છે કે નથી એવું તેની બીજી પત્નીએ પુસ્તકમાં લખ્યું છે. એ પુસ્તક બહાર આવ્યા છતાં તે ચૂંટાઈ આવ્યો તેનું કારણ એનું કામ અને કરિશ્મા હોઈ શકે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os-5OMQHg8u5yXur9SHpxwcUxpA9Qb84Wg3yOLEfnsGaA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અન્ન તેવો ઓડકાર એ વાત સાચી, પણ અન્ન કેવું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અન્ન તેવો ઓડકાર એ વાત સાચી, પણ અન્ન કેવું?
પોઈન્ટ બ્લેન્કઃ એમ. એ. ખાન

 

 

ખૂબ જૂની ઉક્તિ છે, ખોરાક, પોષાક અને ભાષા દરેક પ્રદેશની આગવી હોય, એને કોઈ ધર્મ-જાતિ કે જ્ઞાાતિ સાથે કોઈ લેવા-દેવા નથી. અગાઉના જમાનામાં આ ઉક્તિ સાચી હતી. એ જમાનામાં લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા એટલે એક ઠેકાણેથી કોઈ પાક બીજા શહેર કે ગામ લઈ જવો હોય તો અઠવાડિયાઓની મુસાફરી કરવી પડતી હતી. ત્યારે એક પ્રદેશનું અનાજ, ફળ, શાકભાજી વગેરે બીજા પ્રદેશમાં ભાગ્યે જ પહોંચતા. એ વખતે દરેક પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા શાકભાજી, અનાજ, તેલીબિયાં વગેરેથી પોતાનું ભોજન બનાવી લેતા હતા. ઉત્તર ભારતમાં ઘઉં વધારે થતા એટલે ત્યાં ઘઉંની જ વાનગીઓ વધારે બનતી અને દક્ષિણ ભારતમાં ચોખા વધારે થતા એટલે ત્યાં ચોખાની જ વાનગીઓ વધારે બનતી. આપણે ત્યાં ઘઉં ચોખા બંનેની ખેતી સારી થતી હતી, એટલે આપણા ભોજનમાં ઘઉં અને ચોખા બંને લેવામાં આવતા.

 

આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. દક્ષિણના ફળ અને અનાજ ગણતરીના દિવસોમાં કાશ્મીર સુધી પહોંચે છે અને કાશ્મીરના સફરજન ગણતરીના દિવસોમાં કન્યાકુમારી સુધી પહોંચી જાય છે. આ સ્થિતિમાં હવે ખોરાક જેતે પ્રદેશનો નથી રહ્યો. હા, પરંપરામાં માનનારા લોકો હજી પોતાના પ્રદેશના ખોરાકને જ વળગી રહેવાનું પસંદ કરે છે, પરંતુ ખોરાકના નિષ્ણાતો કહે છે કે હવે માણસ ગ્લોબલ બન્યો છે, કોઈપણ નોકરી, વ્યવસાય વગેરેમાં હરીફાઈ તીવ્ર બની છે, ત્યારે દરેક સ્ત્રી-પુરુષે સૌથી વધારે ફિટ રહેવું ફરજિયાત બની ગયું છે.

 

ન્યૂટ્રીશન(પોષણ)ના નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે આપણામાં શ્રેષ્ઠ કૌશલ વિકસાવવું હોય તો શરીરને જરૂરી બધા જ પોષકતત્ત્વો આપણા ખોરાકમાં સામેલ કરવા જરૂરી છે. દરેક પોષકતત્ત્વ આપણા બુદ્ધિ અને કૌશલના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ પોતાના જ પ્રદેશના ખોરાકને વળગી રહેવાનું વલણ અપનાવે તો એ પોતાનું જ નુકસાન કરી બેેસે એ દેખીતી વાત છે. પોષણ-નિષ્ણાતોએ વિવિધ રાજ્યોના પારંપરિક ખોરાકનો અભ્યાસ કરીને એમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ ઉજાગર કરી છે. જેમ કે તામિલનાડુના ખોરાકમાં સાંબર વિવિધ શાક ધરાવતું હોવાથી ભરપૂર ખનિજ અને રેસા મળી રહે છે. રાતનો ખોરાક હળવો હોવાથી પાચન સરળતાથી થઈ જાય છે. પરંતુ એમાં ભાતનું વધારે પ્રમાણ હોવાથી લોહીમાં શુગરનું લેવલ ઊંચું રહે છે. ફ્રૂટ મોટેભાગે ગેરહાજર રહે છે.

 

રાજસ્થાનના પારંપરિક ખોરાકમાં દૂધનું પ્રમાણ સારું રહેવાથી કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન-ડી જેવું પોષણ ભરપૂર મળે છે, પરંતુ એમાં ફળ ભાગ્યે જ હોવાથી કુદરતી ખનિજ, રેસા અને વિટામિન્સ પોષણ મળતું નથી. શાકભાજી ખૂબ ઓછાં હોય છે અને પાંદડાવાળી ભાજી નહિવત હોય છે તેથી ખનિજ અને રેસાની ખોટ રહે છે.

 

પંજાબી પારંપરિક ખોરાકમાં દૂધ અને દૂધની વાનગીઓ ખૂબ વપરાય એથી પોષણ ખૂબ સારું મળે છે. બંને ટંક દાળ લેવાથી પ્રોટીન પણ ખૂબ મળે છે, પરંતુ અહીંય ફળ અને શાકભાજી નહિવત વપરાય છે. એનું નુકસાન થાય છે. અને ખૂબ તેલ, ખાંડ અને મરચાંવાળા જન્ક ફૂડ પાચન બગાડે છે. ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોલની ભેટ આપે છે.

 

ઉત્તર પ્રદેશમાં બટાકાનો વપરાશ વધારે હોવાથી પોષણ મળે છે, પરંતુ અતિ વપરાશ નુકસાન કરે છે. ચિકનથી પ્રોટીન ભરપૂર મળી રહે છે, પરંતુ ખૂબ બારીક લોટમાંથી અથવા મેંદામાંથી બનતી રોટલીઓ પાચન બગાડે છે. લીલાં શાકભાજી અહીં પણ ખૂબ ઓછાં હોય છે. ફળ ખૂબ જ ઓછાં ખવાય છે.

 

આપણા ગુજરાતના પારંપરિક ખોરાકમાં દાળનું પ્રમાણ સારું હોવાથી પ્રોટીન ભરપૂર મળી રહે છે. શાકાહારના કારણે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન થવાના ચાન્સ ઓછાં થઈ જાય છે, પરંતુ આપણો સવારનો નાસ્તો અપૂરતો હોવાથી શરીરને વધારે ઘસારો પડે છે. લીલાં પાંદડાવાળા શાકભાજી વધારે ન હોવાથી ખનિજતત્ત્વોમાં પણ ઊણપ રહી જાય છે.

 

દરેક પ્રાદેશિક ખોરાકમાં કોઈક ખામી રહી જાય છે. કારણ કે એ પરંપરા અને આસપાસ મળી રહેતા ખાધ્યપદાર્થોના આધારે રૂઢ થયો છે. એમાં પોષણ વિજ્ઞાાનનું સો ટકા ધ્યાન રાખવાની દરકાર નથી.

 

પોષણવિજ્ઞાાનની આંટીઘૂંટીમાં પડવાની જરૂર નથી, આપણા કયા ખોરાકમાં કયું પોષણ છે એ સમજી લઈએ તો આપોઆપ સમજાઈ જાય કે શું ખાસ ખાવું જોઈએ. જેમકે શાકભાજી વિટામિન્સ અને ખનિજ તત્ત્વો આપે છે. એના રેસા પાચન સરળ બનાવે છે. કાંદા, કાકડી, કોબી, ટામેટાં વગેરેનું સલાડ ખનિજ અને રેસા આપે છે. દરેક ટંકના ખોરાકમાં ૨૫ ટકા સલાડ હોવું જોઈએ. ઘઉંની રોટલી કાર્બોહાઈડ્રેટ આપે છે જેને શરીર ઊર્જા મેળવવામાં વાપરે છે. એને એક જ ટંક ખાવી જોઈએ. રોજ જુદા જુદા અનાજની રોટલી ખાવાથી પોષણ અને પાચન બંનેમાં લાભ થાય છે. પાપડ પાચનના રેસાઓ આપે છે. એને મર્યાદામાં જ ખાવા. ફળોમાં શરીરનો કચરો સાફ કરનાર એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. એટલે સીઝન પ્રમાણે બદલતા રહી રોજનું એક ફળ જરૂર ખાવું જોઈએ.

 

લીલાં પાંદડાવાળી ભાજીમાં ભરપૂર ખનિજ તત્ત્વોએ અને લોહતત્ત્વો હોય છે. બીજા સૂક્ષ્મ પોષણતત્ત્વો હોય છે એટલે અઠવાડિયે ઓછામાં ઓછું બે વખત ભાજી ખાવી જોઈએ. લીલાં ધાણા અને ફુદીનાની ચટણી વિટામિનથી ભરપૂર હોય છે. એ રોજ થોડીક લેવી જોઈએ. ચોખા શર્કરા આપે છે જેમાંથી શરીર ઊર્જા બનાવે છે. એ પણ ભોજનના આઠમા ભાગથી વધારે ન ખાવા જોઈએ. દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. એ રોજ બે ટંક ખાવી જોઈએ. દહીંમાં પાચનને ઉપયોગી બેક્ટેરિયા હોય છે. એ રોજ નાની વાટકી ખાવું લાભદાયક છે. આ ઉપરાંત રોજ છથી આઠ ગ્લાસ પાણી થોડી થોડી મિનિટે એક એક ઘૂંટ કરી પીવું જોઈએ. બસ, શરીર ફિટ અને થનગનતું રહેશે. રોગ આંટાફેરા કરીને જતા રહેશે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou86utefkKTxEczuesr9rwY%2B3ijnz__NOjei97YyN7ugA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કારગિલ યુદ્ધનો હીરો એઠાં ગ્લાસ ધૂએ છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કારગિલ યુદ્ધનો હીરો એઠાં ગ્લાસ ધૂએ છે!
યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ

૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિન ઉજવાયો. વાહ. તેર જૂને શરૂ થયેલા અને ૨૬ જુલાઈએ પૂરા થયેલા કારગિલ સંગ્રામમાં ૫૨૭ જવાન શહીદ થયા અને ૧૩૦૦થી વધુ ઘાયલ થયા એટલે એ સૌના પરાક્રમને બિરદાવવા રાજકારણીઓએ પાડેલા બરાડા, અખબાર-ટીવીમાં આવેલી જાહેરખબરો થકી સન્માન વ્યક્ત કરવાનું સૌને સારું લાગ્યું. કારગિલ વિજય દિને જ પાકિસ્તાનમાં દેખાવે મોડર્ન પણ અંદરથી એકદમ રૂઢિચુસ્ત અને કટ્ટર તથા લશ્કરના ટેકાવાળા ઈમરાન ખાનનું સત્તાનશીન થવાનું નક્કી થઈ ગયું એ કેવો કારમો યોગાનુયોગ. એ તો ઠીક પણ આપણા પ્રધાનો જ નહિ, પ્રજા માટેય પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને કારગિલ વિજય દિન એક ઔપચારિક્તા, દેખાડો અને સિઝનલ બાબત બનીને રહી ગઈ છે.

જો ખરેખર એવું ન હોય તો સતવીરસિંહ જ્યૂસની રેકડી ન ચલાવતા હોત અને પોતે બીજાનાં એઠાં ગ્લાસ ન ધોતા હોત અને તેઓ આ બધું ક્યાં કરે છે? રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને લોકસભા જ્યાં છે એ નવી દિલ્હીમાં. આ બધું જોઈ, જાણી અને સાંભળીને અંગેઅંગમાં લાય લાગી જાય છે. આંખના ખૂણાં ભીના થઈ જાય છે. પોતાના માટે, સમાજ માટે અને વ્યવસ્થા માટે નફરત થઈ જાય નફરત.

આ સતવીરસિંહજી લશ્કરી જવાન છે લાન્સનાયક સતવીરસિંહ. હાલ દિલ્હીના મુખમેલપુર ગામમાં રહે છે. પોતાની લાચારી, બીમારી, પત્ની અને બે દીકરા સાથે. તેઓ કારગિલ યુદ્ધમાં લડનારા દિલ્હીના એકમાત્ર જવાન છે. તેઓ લશ્કરનો સ્પેશ્યલ સેવા મૅડલ મેળવનારા પ્રથમ દિલ્હીવાસીય ખરા.

આજેય સતવીરસિંહજીને ૧૯ વર્ષ અગાઉનો એ દિવસ બરાબર યાદ છે, કેમ ન હોય? માભોમ માટે હથેળીમાં મોત લઈને નીકળ્યા હતા. મરવાનો લેશમાત્ર ભય નહોતો, માતૃભૂમિ માટે કામ લાગવાનો રોમાંચ હતો નસનસમાં. એ સમયે તેઓ સેક્ધડ રાજપૂતાના રાઈફલ્સમાં લાન્સનાયક હતા. તોલોલિંગના પર્વત પર પાકિસ્તાની ઘૂસણખોરોએ અડિંગો જમાવી દીધો હતો, ત્યાંથી તેઓ નેશનલ હાઈવે પર ઘડી ઘડી ગોળીબાર કરતા હતા. કોઈ પણ સંજોગોમાં તોલોલિંગ પર સાફસફાઈ જરૂરી હતી, પરંતુ આ કામગીરી આસાન નહોતી. ભારતીય લશ્કર માટે તોલોલિંગ પર ફરી કબજો જમાવવો એ લોઢાના ચણા ચાવવાથીય આકરું હતું, પરંતુ એમ પડકારથી ડરે તો ભારતીય જવાનો શાના?

આ કામ હાથમાં લીધું તો એમાં ઘણો સમય લાગ્યો અને ખાસ્સી ખુવારી પણ ખમવી પડી હતી, પરંતુ ખુમારી, વટ અને દેશદાઝ અકબંધ જ નહોતા, બે-પાંચ ગણા વધીય ગયા હતા.

અને તોલોલિંગ પરથી દુશ્મનોનો પૂરેપૂરો એકડો કાઢી નાખવા માટે પસંદ થઈ ૧૯૯૯ની ૧૨મી અને તેરમી જૂન વચ્ચેની રાત. આની જવાબદારી સોંપાઈ સેક્ધડ રાજપૂતાના રાઈફલ્સને. લાન્સનાયક સતવીરસિંહની આગેવાની હેઠળ નવ જવાનો જોશભેર આગેકૂચ કરતા હતા. છેક તેરમી જૂનની સવારે ભારતીય જવાનો અને પાકિસ્તાની ઘૂસણખોરો સામસામા આવી ગયા. ચિત્તાની ચપળતા વાપરીને સતવીરસિંહે એક હેન્ડગ્રેનેડ ઉછાળ્યો શત્રુઓ તરફ બરફાળ જમીન પર લગભગ છ સેક્ધડ બાદ ગ્રેનેડ ફૂટ્યો. એક ધડાકા સાથે સાત પાકિસ્તાનીના નામ આગળ મરહૂમનું વિશેષણ લાગી ગયું. બન્ને તરફથી ધાણીની જેમ ધડાધડ ગોળીઓ છૂટી રહી હતી. આમાં આપણા સાત જવાન શહીદ થઈ ગયા. સતવીરસિંહનેય ઘણી ગોળીઓ વાગી. આમાંથી એક પગમાં લાગીને નીકળી ગઈ, તો બીજી પગમાં વાગીને એડીમાં ઘૂસી ગઈ.

બેફામ લોહી વહી રહ્યું હતું. સતવીરસિંહજી ઢળી પડ્યા. સત્તર સત્તર કલાક પહાડ પર ઘાયલ અવસ્થામાં રહેવું પડ્યું. એમને લેવા માટે આપણા હેલિકૉપ્ટર આવ્યાં, પણ પાકિસ્તાનના સતત ગોળીબારને લીધે ઉતરાણ ન કરી શક્યાં. અંતે જવાનો જ તેમને લઈ ગયા. ઍરબેઝમાં સારવારથી કામ ચાલે એમ નહોતું, એટલે શ્રીનગર લઈ ગયા. નવ દિવસ બાદ ત્યાંથી ખસેડીને દિલ્હી મોકલી દેવાયા.

જોકે લાન્સનાયક સતવીરસિંહ અને સાથીઓના પ્રયાસ થકી તોલોલિંગમાં ફતેહ મળી અને કારગિલમાં ભારતના વિજયનો માર્ગ મોકળો થયો. પોતાની ગંભીર ઈજા છતાં સતવીરસિંહજીને બેહદ ખુશી હતી કે ભારતે આખરે કારગિલમાં જીત મેળવી જ. આ યુદ્ધનો આંચકો શમ્યા બાદ કારગિલના શહીદો અને ઘાયલોના પરિવારોને પેટ્રોલ પંપ અને જમીન ફાળવવાની જાહેરાત કરી હતી.

સતવીરસિંહના પગમાંથી એક ગોળી તો નીકળી ગઈ, પણ બીજીને કાઢવાનું શક્ય નહોતું. એક વર્ષથી વધુ સમય તેમની સારવાર દિલ્હીની લશ્કરી હૉસ્પિટલમાં ચાલતી રહી. તેઓ બહાર આવ્યા ત્યારે પેટ્રોલ પંપ વિતરણની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી હતી એટલે પેટ્રોલ પંપ તો ગયો! આ તે વળી કેવી પદ્ધતિ? પછી જીવનનિર્વાહ માટે પાંચ વીઘા જમીન અપાઈ. આના પર તેમણે ફળનો બાગ બનાવ્યો, પરંતુ ત્રણ વર્ષ બાદ આ જમીન પણ આંચકી લેવાઈ.

બે દીકરાએ પૈસાના અભાવે ભણતર છોડવાનો વારો આવ્યો. સતવીરસિંહને મહિને ૨૨ હજારનું પેન્શન મળતું હતું પણ એનો મોટોભાગ એમની સારવારમાં ખર્ચાઈ જતો હતો. એક તો દિલ્હી જેવા શહેરની મોંઘવારી અને એમાં પાછી એમને હાયપર ટેન્શનની તકલીફ. હવે ઘર પાસે ઊભી રખાતી જ્યૂસની લારીથી માંડ માંડ ગુજારો થાય છે. પોતાની વેદનાને વાચા આપતા તેઓ કહે છે, "પૂરા તેર વર્ષ અને એક મહિનો લશ્કરમાં સેવા આપી. પછી મેડિકલ કારણસર મને અનફિટ ઘોષિત કરાયો. હૉસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ એક નેતાએ ઓફર કરી કે પેટ્રોલ પંપ મારા નામે કરી દો. મે ઈનકાર કરતા જમીન સુધ્ધાં આંચકી લેવાઈ.

ઓગણીસ વર્ષ વીતી જવા છતાં આજે શત્રુની એક ગોળીએ પગમાં કાયમી ઘર કરી લીધું છે. આને પ્રતાપે સરળતાથી ચાલી શકાતું નથી. કાંખઘોડીની જરૂર પડે છે. કારગિલ યુદ્ધમાં જીતી ગયેલા અને મરીનેય જીવી ગયેલા આ યોદ્ધા સિસ્ટમ સામે હારી ગયા.

છેલ્લાં ઓગણીસ વર્ષથી ન્યાય મેળવવા માટેના પોતાના હક માટેના પેટ્રોલ પંપ અને જમીન મેળવવાની અરજની ફાઈલ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને વિવિધ મંત્રાલયોમાં ધૂળ ખાઈ રહી છે. સરકારો આવી અને ગઈ. શું કૉંગ્રેસની કે શું ભાજપની, આ દેશભક્ત સૈનિકની સ્થિતિમાં લેશમાત્ર ફરક પડ્યો નથી. દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવીએ છીએ, પણ આ કારગિલના હીરોના જીવનમાં ક્યારેય સાચો વિજય દિવસ આવશે? કંઈક એવી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ કે આ ૧૩૫ કરોડની વસતિ એક-એક રૂપિયોય જમા કરાવીને ભ્રષ્ટ, નિંભર અને આળસુ અમલદારશાહીના મોઢા પર સણસણતો તમાચો મારી શકે.

લાન્સનાયક સતવીરસિંહની અંતહીન યાતનાથી માથું શરમથી ઝૂકી જાય છે. આપણે કંઈ જ ન કરી શકીએ?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvmDjfkv9kFKZsYqzspKoQi%2B3hnD8vEu3T7%2Bro7BdCO1g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફ્રોમ સ્ટુડન્ટ વિથ લવ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફ્રોમ સ્ટુડન્ટ વિથ લવ!
શિશિર રામાવત

 

 

નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી 'નોઆહ' અને મલ્ટિપલ ઓસ્કર નોમિનેટેડ 'બ્લેક સ્વાન'ના પ્રતિભાશાળી ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કીના કિસ્સામાં આ વાત કેવી રીતે સાચી પડી?

હોલિવૂડમાં એક તેજસ્વી નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેજીથી ઊપસી આવ્યું છે- ડેરેન અરોનોફ્સ્કી. તાજેતરમાં ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થયેલી અને ઇન્સ્ટન્ટ હિટ ઘોષિત થયેલી 'નોઆહ' ફિલ્મના એ ડિરેક્ટર. 'નોઆહ' આ વર્ષની મોસ્ટ-અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. આમેય રસેલ ક્રો જેવો બબ્બે વાર બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ચૂકેલો અદાકાર જેમાં કામ કરતો હોય તે ફિલ્મ આપોઆપ હાઈ પ્રોફાઇલ બની જવાની. વળી, ફિલ્મનો વિષય બાઈબલની એક કહાણી પર આધારિત હોવાથી ઓડિયન્સ અને ઈન્ડસ્ટ્રી બન્નેની ઉત્કંઠા વધી ગયેલી.
શું છે 'નોઆહ'માં? સૃષ્ટિ પર એટલી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે કે સર્જનહાર પોતાના જ સર્જનથી નાખુશ છે. તેઓ સઘળું ભૂંસીને, નષ્ટ કરીને એકડે એકથી શરૂ કરવા માગે છે. નોઆહ નામનો પુરુષ, જે સર્જનહાર સાથે કમ્યુનિકેટ કરી શકે છે, એ એક વિરાટ વહાણ બનાવે છે. પ્રલય વખતે નોઆહને પાગલ ગણતાં ગામવાસીઓ અને પશુપક્ષીઓ નર-માદાની જોડીમાં વહાણ પર સવાર થઈ જવાથી બચી જાય છે અને ક્રમશઃ સૃષ્ટિનો ક્રમ આગળ વધે છે. અમુક લોકો 'નોઆહ'ને '૨૦૧૨' પ્રકારની ડિઝાસ્ટર મૂવિ તરીકે જુએ છે, તો અમુક એને પર્યાવરણની કટોકટી વિશેની ફિલ્મ તરીકે મૂલવે છે. નોઆહની કથા પરથી 'ઈવાન ઓલમાઈટી' નામની મોડર્ન સેટઅપમાં બનેલી કોમેડી ફિલ્મ તમે કદાચ જોઈ હશે. આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ હતી. 'નોઆહ'ની ખૂબ તારીફ થઈ છે, થોડી ઘણી ટીકા અને વિવાદ પણ થયાં છે, પણ એક વાત સૌએ સ્વીકારવી પડી છે કે ડેરેન અરોનોફ્સ્કી એક સુપર ટેલેન્ટેડ વર્સેટાઈલ ફિલ્મમેકર છે.

૪૫ વર્ષીય ડેરેન અરોનોફ્સ્કીએ ફિલ્મ સ્કૂલમાં રીતસર ફિલ્મમેકિંગની ટ્રેનિંગ લીધી છે. એમની પહેલી જ ફિલ્મ 'પાઈ'એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એમણે બનાવેલી છએ છ ફિલ્મોમાં તેમની નિશ્ચિત સિનેમેટિક લેંગ્વેજ અને ખુદની પર્સનાલિટીની સજ્જડ છાપ દેખાય છે. કોઈ ડિરેક્ટરની કરિયરની પહેલી છ ફિલ્મોમાં કામ કરનાર ચચ્ચાર એક્ટરો ઓસ્કર નોમિનેશન સુધી પહોંચી જાય એટલે દુનિયાભરના અદાકારો તેમના તરફ સ્વાભાવિકપણે આકર્ષાવાના. આ ચાર એક્ટર્સ એટલે એલને બર્સ્ટીન ('રિક્વિમ ફોર અ ડ્રીમ'માટે), મિકી રુર્કી અને મારીઆ ટોમેઈ (બન્નેને 'ધ રેસ્લર' માટે) અને નેટલી પોર્ટમેન ('બ્લેક સ્વાન' માટે). નેટલી તો ૨૦૧૦માં બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર જીતી ગઈ હતી.
ડેરેન અરોનોફ્સ્કીનાં પાત્રોમાં કોઈ ને કોઈ વાતનું લગભગ પાગલપણાની કક્ષાનું ઓબ્સેશન હોય છે. આ પાત્રો સતત કશાકની શોધમાં હોય છે. 'પાઈ'ના નાયકને બ્રહ્માંડનો ભેદ શોધવો છે, 'ધ ફાઉન્ટન'માં ભૂતકાળ અને ભવિષ્યકાળને જીવતાં કરવાની મથામણ છે, 'રિક્વિમ ફોર ધ ડ્રીમ'માં પાત્રો એવા યુટોપિયાની શોધમાં છે કે જ્યાં ફક્ત સુખ અને ખુશાલી હોય, જ્યારે 'બ્લેક સ્વાન'ની નેટલી પોતાની ક્રિએટિવિટીના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને પોતાના નૃત્યમાં પરફેક્શન શોધે છે.

ડેરેન લખી લખીને ફિલ્મમેકર બન્યા છે. 'નોઆહ' સાથે સંકળાયેલો એક સરસ કિસ્સો ડેરેન એક ઇન્ટરવ્યૂ દરમિયાન યાદ કરે છે, "હું સ્કૂલમાં હતો ત્યારે મારાં એક ટીચર હતાં, મિસિસ Vera Fried નામનાં. મારા પર એમની ખૂબ અસર છે. મને યાદ છે, સાતમા ધોરણમાં હતો ત્યારે એક વાર ક્લાસમાં આવીને એમણે કહ્યું: છોકરાંવ, નોટ કાઢો, પેન લો અને 'શાંતિ' વિષય પર એક કવિતા લખો. મને શું સૂઝ્યું કે મેં નોઆહ વિશે કવિતા લખી. પછી ખબર પડી કે યુનાઈટેડ નેશન્સે યોજેલી કોઈ સ્પર્ધાના ભાગરૂપે ટીચરે અમારી પાસે આ લખાવ્યું છે. જોગાનુજોગ હું એમાં ફર્સ્ટ આવ્યો. પછી મેં યુનાઈટેડ નેશન્સના ઓડિટોરિયમમાં એનું પઠન પણ કર્યું. ટીચરે તે વખતે કહેલું: વેરી ગૂડ, ડેરેન. મોટો થઈને તું લેખક બને ત્યારે તારી પહેલી ચોપડી મને અર્પણ કરજે."
બાર-તેર વર્ષના છોકરા માટે આ બહુ મોટી વાત કહેવાય. એ માંડયો કવિતાઓ અને વાર્તાઓ લખવા. એમના હાથમાંથી કલમ અને કી-બોર્ડ એ પછી ક્યારેય ન છૂટયાં. મોટા થઈને ફિલ્મડિરેક્ટર-રાઇટર બન્યા બાદ 'નોઆહ' પર કામ કરવાનું શરૂ થયું ત્યારે ડેરેનને સ્ક્રિપ્ટ પરથી ગ્રાફિક નોવેલ બનાવવાનો વિચાર આવ્યો. પોતાનાં ટીચરે કહેલી વાત યાદ કરીને ડેરેને નક્કી કરી લીધું કે આ ગ્રાફિક નોવેલ હું ખરેખર મિસિસ ફ્રીડને અર્પણ કરીશ. સવાલ એ હતો કે આટલાં વર્ષો પછી હવે એને શોધવાં ક્યાં? ડેરેનનાં મમ્મી નિવૃત્ત ટીચર છે. એમણે પોતાનાં સંપર્કો કામે લગાડીને રિટાયરમેન્ટ માણી રહેલાં મિસિસ ફ્રીડને શોધી કાઢયાં. પોતાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ, જે હવે સેલિબ્રિટી ફિલ્મમેકર બની ગયો હતો, તેણે આ રીતે યાદ કર્યાં એટલે ટીચર રાજીના રેડ થઈ ગયાં.

"ટીચરને પછી અમે 'નોઆહ'ના સેટ પર પણ ખાસ તેડાવ્યાં હતાં," ડેરેન કહે છે, "ત્યાં સૌની વચ્ચે પેલી ગ્રાફિક નોવેલ તેમને અર્પણ કરી. એટલું જ નહીં, રસેલ ક્રો સાથે એક સીન પણ કરાવ્યો. ટીચરને અમે એક આંખવાળી ચુડેલનો રોલ આપ્યો છે. ફિલ્મમાં આ સીન છે!"
આ અનુભવ પછી મિસિસ ફ્રીડનું આયુષ્ય નક્કી એક વર્ષ વધી જવાનું એ તો નક્કી! એ હવે હરખાઈને સૌને કહે છે કે જે છોકરાને મેં સ્કૂલમાં ભણાવ્યો હતો એણે મને બિગ બજેટ ફિલ્મમાં આવડા મોટા હીરો સાથે એક્ટિંગ કરવાની તક આપીને મારી જિંદગી સુધારી નાખી! "હકીકત એ છે કે મિસિસ ફ્રીડે મારી લાઇફ બનાવી છે," ડેરેન કહે છે, "તે દિવસે જો એમણે મારી પાસે નોઆહની કવિતા લખાવી ન હોત અને પ્રોત્સાહન આપીને લખતો કર્યો ન હોત તો હું કદાચ ફિલ્મમેકર બન્યો ન હોત!

નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. ડેરેનની મોટી બહેન હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે બેલે ડાન્સિંગના ક્લાસ કરતી. નાનકડો ડેરેન જોતો કે બહેન આમાં ખૂબ મહેનત કરી રહી છે. થોડાં વર્ષ પછી જોકે એણે બેલેના ક્લાસમાં જવાનું બંધ કરી દીધું, પણ ડેરેનના મનના કોઈક ખૂણે બહેનનો ડાન્સ, પગની આંગળીઓની ટોચ પર આખું શરીર ઊંચકીને થતી કલાત્મક અંગભંગિમાઓ, એ માહોલ વગેરે અંકિત થઈ ગયું હતું. આ બધું 'બ્લેક સ્વાન'માં કમાલની ખૂબસૂરતીથી બહાર આવ્યું. આ અદ્ભુત ફિલ્મને બેસ્ટ ડિરેક્શન સહિતનાં પાંચ-પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં. અગાઉ નોંધ્યું છે તેમ, દિમાગ ચકરાવી મૂકે એવું ગજબનાક પરફોર્મન્સ આપીને નેટલી પોર્ટમેન બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. ડેરેને નાનપણમાં બહેનને બેલે ડાન્સિંગ કરતાં જોઈ ન હોત તો કદાચ આવી યાદગાર ફિલ્મ બનાવી શક્યા હોત કે કેમ તે સવાલ છે.
દિમાગના પટારામાંથી બાળપણની કઈ સ્મૃતિ કેવી રીતે બહાર આવશે ને કેવો ચમત્કાર કરી દેખાડશે એની આપણને ક્યાં ખબર હોય છે!

શો-સ્ટોપર

"જિંદગી જીવવાની દિશા આપણા પેશન તરફની હોવી જોઈએ. આ રીતે જીવવાથી બીજાઓને દોષ દેવાનો વારો નથી આવતો,કેમ કે સારું-ખરાબ જે કંઈ પરિણામ આવે તે માટે જવાબદાર આપણે જ હોઈએ છીએ. સો જસ્ટ ફોલો યોર પેશન!"
- ડેરેન અરોનોફ્સ્કી




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot%3DYdOvJCXFGJQA2Xi21YDfwF_tdAGE8PkrYT-Lxoh3vw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઓહ ગોડ, વ્હાય મી, હું જ શા માટે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઓહ ગોડ, વ્હાય મી, હું જ શા માટે?
ઝીરો લાઈનઃ ગીતા માણેક

 

 

પંચાવન વર્ષના સમીરભાઈએ ખૂબ મહેનત અને આવડતથી રેડિમેડ ગારમેન્ટનો ધંધો વિકસાવ્યો હતો. મુંબઈમાં ચાર બેડરૂમનો ફ્લેટ, ત્રણ કાર અને સુખ-સુવિધાઓ હતી. દીકરો મલ્ટિનેશનલ કંપનીમાં સારા પગારે નોકરી પર હતો. દીકરીના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. સમીરભાઈએ વિચાર્યું હતું કે બસ, આ એક જવાબદારીમાંથી મુક્ત થઈ જાય પછી નિરાંતનું જીવન વિતાવીશું. પરંતુ છેલ્લા થોડા દિવસથી તેમને હાંફ્ ચડતી હતી. મેડિકલ ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે તેમને ફેફ્સાંનું કેન્સર છે. સમીરભાઈ ભાંગી પડયા. ડોક્ટરોના અને હોસ્પિટલના ચક્કર, કિમોથેરપી, દવાઓ બધાથી કંટાળી ગયેલા સમીરભાઈના મનમાં સતત એક જ પ્રશ્ન ઘૂમરાયા કરતો હતો કે મેં તો ક્યારેય કોઈનું બૂરું કર્યું નથી તો ભગવાન, મને જ શા માટે આવી તકલીફ્? મને જ શા માટે આવું થયું?

 

મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી ચાંદની હોસ્ટેલમાં હતી ત્યારે અચાનક એક દિવસ ફેન આવ્યો, પપ્પાને સિરીયસ છે. જલદી ઘરે આવી જા. ચાંદનીના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દસેક દિવસ બાદ તેમનું મૃત્યુ થયું. ચાંદની માટે આ કારમો આઘાત તો હતો જ પણ પિતાના મૃત્યુ બાદ તેને ખબર પડી કે તેમના પર ખૂબ બધું દેવું હતું. થોડા જ દિવસમાં બેન્કવાળાઓએ ફ્લેટ જપ્ત કરી લીધો. ચાંદનીએ ભણવાનું અધૂરું મૂકવું પડયું. મા અને નાની બહેનની જવાબદારી તેના માથે આવી ગઈ. હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટની નોકરી સ્વીકારી લેવી પડી. ચાંદની સતત સવાલ પૂછતી રહેતી વ્હાય મી ઓ ગોડ? આ બધા દુઃખો મારા પર જ શા માટે?

 

આ બંને કિસ્સાઓમાં નામ કાલ્પનિક છે, પણ ઘટનાઓ સાચી છે. પોતાના પર જીવનમાં કોઈ દુઃખ, વિપદા આવી પડે ત્યારે આપણે પણ પૂછીએ છીએ વ્હાય મી? આ એક સ્વાભાવિક અને મોટાભાગના લોકોમાં ઉદ્ભવતો પ્રતિભાવ હોય છે. આપણા જેવા સર્વસામાન્ય માણસો માટે આવી પરિસ્થિતિઓ બહુ મુશ્કેલ હોય છે એ કબૂલ પણ પ્રશ્ન એ ઊઠે છે કે જે કિસ્સાથી વાતની શરૂઆત કરી એ સમીરભાઈ નાની ઉંમરે સૌરાષ્ટ્રના ગામડાંમાંથી આવીને ધંધો વિકસાવ્યો, સફ્ળતા મેળવી, સમજદાર પત્ની, ગુણવાન સંતાનો એ બધું મેળવ્યું ત્યારે શું એક વાર તેમણે ઈશ્વરને પૂછયું હશે કે વ્હાય મી? આ બધું તેં મને શું કામ આપ્યું? અનેક લોકોને કાળી મજૂરી બાદ પણ બે ટંક ખાવાનું કે માથા પર છાપરું નથી મળતું તો મને જ આટલી બધી સુવિધાઓ શા માટે?

 

ચાંદની માટે મુશ્કેલીનો પહાડ તૂટી પડયો હતો એ ખરું પણ આટલા વર્ષો પિતાના લાડકોડ મળ્યા હતા. તેના પિતાએ સંતાનોમાં બે દીકરીઓ હોવા છતાં ક્યારેય દીકરો ન હોવાનો અફ્સોસ તો નહોતો જ જતાવ્યો પણ ઊલટું કહેતા કે જેમણે અતિશય પુણ્ય કર્યા હોય તેમને બે દીકરીઓ હોય! ચાંદનીનું બાળપણ એક બહુ જ પ્રેમાળ અને હૂંફ્ભર્યા વાતાવરણમાં વીત્યું હતું. આ બધો પ્રેમ અને સુવિધાઓ મળતા હતા ત્યારે શું એકવાર પણ ચાંદનીએ કહ્યું હશે આ બધું મને જ શા માટે? આજના જમાનામાં પણ બાળકીઓની ગર્ભમાં હત્યા કરી નાખવામાં આવે છે, તેમને જન્મ જ નથી લેવા દેવામાં આવતો ત્યારે મારા પરિવારે દીકરી હોવા માટે મારો ક્યારેય તિરસ્કાર ન કર્યો. મને આટલું બધું શા માટે મળ્યું? વ્હાય મી?

 

એ સત્ય છે કે મોમાં બત્રીસ દાંત હેમખેમ હોય ત્યારે આપણું ધ્યાન એના પર નથી જતું પણ એક દાંત જો તૂટી જાય તો જીભ વારંવાર ત્યાં જ જાય છે. જીવનમાં જે નથી એની કમીઓ તરફ્ જ ધ્યાન ખેંચાતું રહે છે. કેટલાક અપવાદો બાદ કરતા આપણને સ્વસ્થ શરીર, ઇન્દ્રિયો, ઘર-પરિવાર કેટકેટલું મળતું હોય છે પણ ત્યારે તો આપણે ભાગ્યે જ પૂછીએ છીએ કે ઓ ગોડ વ્હાય મી? લાખ્ખો લોકો એ બધી બાબતોથી વંચિત હોય છે ત્યારે ભાગ્યે જ આપણને એ પ્રશ્ન ઊઠે છે કે ભગવાન આ બધું આપવા માટે તેં મને જ શા માટે પસંદ કર્યો?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvVZ_QP%2BH7zbGW%2B9_gY-CJYPrDXm23NhZT%2BauPwLqO_NA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.