Monday 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શરદી-શરદી-શરદી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શરદી ! શરદી ! શરદી!
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

 

 

 

જીવનનો અનિવાર્ય ભાગ હોવા છતાં શરદીના દરદીને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળતી નથી. શરદીના બહાના


એક માણસને સખત શરદી થઈ. શરદી એટલે કેવી શરદી ! 'ચેઇન સ્મોકર' હોય છે એમ એ 'ચેઇન છીંકર' થઈ ગયો ! ભગવાને નાક છીંકો ખાવા માટે જ બનાવ્યું છે, એની એને ખાતરી થઈ ગઈ. ત્રણ દિવસમાં તો એ ત્રાહિમામ પોકારી ગયો. આખરે એ એક સંત પાસે ગયો. પોતાને કદી શરદી ન થાય એવા આશીર્વાદ આપવા વિનંતી કરી. સંતે કહ્યું, 'જન્મ્યા પછી જેને કદી શરદી થઈ ન હોય એવા માણસ પાસેથી તું ચપટી રાઈ લઈ આવી શકે, તો હું તને આવા આશીર્વાદ આપી શકું.' પેલો રિક્ષા કરીને ઠેરઠેર રઝળ્યો પણ આવો કોઈ માણસ ન મળ્યો; ઊલટું એ ચપટી રાઈ લેવા ગયો ત્યારે કેટલાંક માણસો કપાળે બામ ચોપડતાં હતાં; કેટલાંક નાસ લેતાં હતાં; કેટલાંક શેક કરતાં હતાં. પેલા માણસને સમજાઈ ગયું કે શરદી જીવનનો અનિવાર્ય ભાગ છે. રિક્ષાવાળાને ભાડા ઉપરાંત શરદી પણ વળગાડીને એણે એવો માણસ શોધવાનો ઉદ્યમ પડતો મૂક્યો.


શરદી એવો રોગ છે કે જે માણસના જન્મથી એની સાથે જોડાય છે ને મૃત્યુપર્યંત એને વળગી રહે છે. કાયમ શરદીથી પીડાતા રહેતા મારા એક મિત્રને તો એવો વહેમ છે કે એમને જન્મ પહેલાંથી શરદી વળગી છે. એમનો જન્મ થયો એ અરસામાં એમનાં માતાને શરદી થયેલી એવું એમણે એમના પિતાની ડાયરીમાં વાંચેલું. શરદી સાથેના ગાઢ-પ્રગાઢ સંબંધને કારણે એમને લાગે છે કે ખરેખર તો જન્મ પહેલાં જ એમને શરદી થઈ હશે ને એમનો ચેપ માતાને લાગ્યો હશે ! અત્યારે એમને ત્રીસમાંથી વીસ દિવસ શરદી રહે છે. ગયા મહિને વીસને બદલે અઢાર દિવસ શરદી રહી એ કારણે એ ચિંતામાં પડી ગયા હતા. આમ થવાનું શું કારણ હશે એવો પ્રશ્ર્ન એમણે એમના ફૅમિલી ડૉક્ટરને પૂછ્યો હતો, પણ ડૉક્ટરો કૅન્સર વિશે જાણે છે એટલું કબજિયાત વિશે નથી જાણતા, એ રીતે ન્યુમોનિયા વિશે જાણે છે એટલું શરદી વિશે નથી જાણતા. કોઈને શરદી થઈ હોય તો એનો ઇલાજ ડૉક્ટરો પાસે નથી. શરદીનો દરદી શરદીમાંથી ન્યુમોનિયા સુધી પ્રગતિ કરે, તો પછી ડૉક્ટર ઉત્સાહપૂર્વક એનો ઇલાજ કરી શકે છે. આ કારણે મિત્રને વીસ દિવસને બદલે અઢાર દિવસ જ શરદી કેમ થઈ એનો ખુલાસો ડૉક્ટર કરી શક્યા નહિ, પણ પછીના મહિને મિત્રને પાછી વીસ દિવસ શરદી રહી એટલે એમને નિરાંત થઈ. આ મિત્ર ટીવીમાં શરદીવાળા દરદીની જાહેરાત જુએ છે તોય એમને શરદી થઈ જાય છે. એક વાર તો એમને શબ્દકોશમાં 'શરદી' શબ્દની જોડણી જોવાને કારણે પણ શરદી થઈ ગઈ હતી એવું એ કહે છે !


શરદી જીવનનો આવો અનિવાર્ય ભાગ હોવા છતાં શરદીના દરદીને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળતી નથી. શરદીના બહાના હેઠળ ઑફિસમાંથી રજા પણ મળી શકતી નથી. ન્યુમોનિયા થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. આવો તદ્દન સામાન્ય ગણાતો રોગ અસામાન્ય માણસોને પણ ઢીલાંઢફ કરી નાખે છે. રામ-રાવણના યુદ્ધ વખતે રાવણને સખત શરદી થઈ ગઈ હોત અને એનાં દસ નાક્ધાાં વીસ નસકોરાંમાંથી પાણી નીકળવા માંડ્યું હોત, એનાં દસેદસ માથાં ફાટફાટ થવા માંડ્યાં હોત, તો કદાચ એ શ્રીરામને શરણે થઈ ગયો હોત ! મહાભારતના યુદ્ધના પહેલા જ દિવસથી ભીષ્મ, દ્રોણ અને કર્ણને સખત શરદી થઈ ગઈ હોત તો દુર્યોધનને સંધિ કરી લેવાની ફરજ પડત. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે હિટલરને સખત શરદી થઈ ગઈ હોત, તો બીજા વિશ્ર્વયુદ્ધમાં કદાચ આટલો નરસંહાર ન થયો હોત. એકવીસમી સદીમાં કે ત્રીસમી સદીમાં (ત્રીસમી સદી સુધી આ જગતનું અસ્તિત્વ હશે તો) જે રાષ્ટ્ર શરદી-બૉમ્બ બનાવશે એ રાષ્ટ્ર કશી જાનહાનિ કર્યા વગર વિશ્ર્વવિજેતા બની શકશે.


મને જન્મથી જ શરદી વળગેલી. જીવનનાં પ્રારંભનાં ત્રીસ-પાંત્રીસ વરસ સુધી એ અત્યંત ઉત્કટતાથી મને વળગી રહી. આ પછી ફરી આવવાનો વાયદો કરીને એ જતી રહી હતી, પણ હવે જીવનના ઉત્તરાર્ધમાં વાયદો પાળી બતાવવા માગતી હોય એમ હમણાં-હમણાંથી એ વારંવાર આવી ચડે છે. શરદીને કારણે મારો એક કાન 'શહીદ' થઈ ગયો છે ને બીજા કાન પર જોખમ તોળાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં મને મારા જીવનની શ્રેષ્ઠ શરદીનો અનુભવ થયો. એ દિવસે બપોરે ઊંઘમાંથી ઊઠ્યો ને છીંકોના પ્રચંડ હુમલાઓ શરૂ થઈ ગયા. તદ્દન નરમ માણસ ગણાતો એવો હું એકાએક માથાભારે માણસ થઈ ગયો ! મારા માથામાં ખાસ કંઈ ભરેલું નથી એવું લાગ્યા કરતું હતું એને બદલે મારું માથું ભગવાને ઠાંસીઠાંસીને ભરી દીધું હોય એવું લાગવા માંડ્યું. જગત નિસ્સાર જણાવા માંડ્યું. (આપણા જે તત્ત્વજ્ઞાનીઓએ આ જગતને નિસ્સાર કહ્યું છે, તેમને આવું જ્ઞાન શરદી થયા પછી જ લાદ્યું હશે એવું મને લાગે છે.)


શરદી થયા પછી પહેલું કામ હું નાસ લેવાનું કરું છું. નાસ માટે કોઈ પાણી ઉકાળી આપે, ઊકળતા પાણીનું તપેલું પાટલા પર ગોઠવી આપે, પાટલા પાસે ધાબળો મૂકી આપે, તો નાસ લેવાની ઘટના ઘણી રમણીય લાગે. જીવનના પૂર્વાધમાં આ વૈભવ સુલભ હતો. પણ હવે જીવનના ઉત્તરાર્ધમાં હાલતાં ને ચાલતાં શરદી થવા માંડી એટલે ધીરે ધીરે એ વૈભવ લુપ્ત થતો ગયો. હવે તો સોમવારે શરદી થાય તે પછીના રવિવાર સુધી ચાલે. રવિવારે બપોર પછી માંડ શરદી મટી હોય ત્યાં પાછી સોમવારે સવારે છીંકો શરૂ થઈ જાય. આ સંજોગોમાં નાસ લેવા માટે સ્વાવલંબી થવાનું અનિવાર્ય બની જાય છે. નાસ લેવામાં સ્વાવલંબી બનવું અઘરું નથી એ ખરું, પણ મારા માટે બધાં કામો અઘરાં છે. તપેલામાં પાણી ભરીને ગૅસ પર મૂકવા જતાં આજ સુધીમાં મેં સાત તપેલાંને ગોબા પાડ્યા છે અને બે વાર અંગૂઠાને અને ત્રણ વાર આંગળીઓને ફ્રૅક્ચર કર્યાં છે. ઊકળતા પાણીના તપેલાને કાળજીથી ઉતારીને પાટલા પર મૂકવાનું કામ તો મત્સ્યવેધ અને ધનુષભંગ કરતાંય વધુ અઘરું છે, એમ મને હંમેશા લાગ્યું છે. મારી જન્મકુંડળીમાં પાણીની ઘાતનો નિર્દેશ છે ને અંગારયોગનો પણ નિર્દેશ છે. નાસ માટે ઊકળતા પાણીથી હું દાઝી જાઉં તો એ પાણીની ઘાતને કારણે દાઝી ગયો ગણાઉં કે અંગારયોગને કારણે દાઝી ગયો ગણાઉં એ વિશે જ્યોતિષ જાણનાર મારા બે મિત્રોમાં તીવ્ર મતભેદ છે. આ અંગેનો સાચો નિર્ણય તો હું દાઝી જાઉં એ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય તેના આધારે જ થઈ શકે એવું ત્રીજા જ્યોતિષી મિત્ર માને છે. જોકે પાણીની ઘાત ન હોય કે અંગારયોગ પણ ન હોય તોય કેવળ મારી અણઆવડતને કારણે દાઝી જવાના ચાન્સીસ ઘણા વધારે છે, એમ મને ઓળખનારાં સૌ માને છે. એટલે શરદી થાય છે ત્યારે બામની શીશીની સાથે બર્નોલ કે સોફ્રામાયસિનની ટ્યૂબ પણ હું હાથવગી રાખું છું.


સામાન્ય રીતે શરદી થાય છે ત્યારે હું ઘરગથ્થુ ઉપાયો જ કરું છું, પણ તે દિવસની મારા જીવનની શ્રેષ્ઠ શરદીને દિવસે હું મારા ફૅમિલી ડૉક્ટર પાસે ગયો. મારી શરદીની ભયંકરતા જોઈ એમણે જથ્થાબંધ દવાઓ લખી આપી અને બીજા દિવસે અચૂક બતાવી જવાનું કહ્યું. બીજે દિવસે હું ડૉક્ટર પાસે ગયો ત્યારે કમ્પાઉન્ડરે કહ્યું, 'સાહેબને સખત શરદી થઈ છે. સવારથી પથારીમાંથી ઊભા જ થયા નથી. આજે એ દવાખાને આવી નહિ શકે !'


નોંધ : તમે નાસ લઈને કે બામ ચોળીને આ લેખ વાંચજો. આ લેખ વાંચ્યા પછી કદાચ તમને શરદી થઈ જાય એ તદ્દન સંભવિત છે. આ સૂચના જોકે મારે લેખની શરૂઆતમાં આપવી જોઈતી હતી, પણ સરતચૂકથી રહી ગયું. આ લેખ વાંચવાને કારણે તમને શરદી થાય, તો જાણજો કે થવાનું હોય છે તે કોઈ પણ બહાને થાય જ છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OucyhAWiTRqFetezz_MzTCKtCRuR-rzFV253NdiJqLMFw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સુખનો ટાપુ જેમ નજીક જાવ તેમ દૂર સરકતો રહે છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુખનો ટાપુ જેમ નજીક જાવ તેમ દૂર સરકતો રહે છે!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

 

 

 

જીવનમાં સુખદુ:ખ, ચડતી-પડતી અને ઉતાર ચડાવ આવ્યા કરે છે. દુ:ખ અને મુસીબતથી ગભરાઈ જવાની જરૂર નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેનાં કારણો શોધી કાઢીને આ અંગે સાવધ રહેવું જોઈએ. આમ છતાં જીવનની ઘટમાળમાં જે બનવાનું છે તે બન્યા કરવાનું છે, પણ તેના કારણે માથે હાથ મૂકીને બેસી જવાની જરૂર નથી. જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવું હોય, સફળતા મેળવવી હોય તો આ બધા પરિતાપો સહન કરવા પડે છે. કેટલીક વખત દુ:ખ અણધાર્યું આવી પડે છે અને માણસ હલબલી ઊઠે છે. દુ:ખની જ્યારે કલ્પના પણ ન હોય અને એકાએક મુસીબતના ડુંગરો ખડકાઈ જાય તો આકરું લાગે છે અને હતાશા-નિરાશા ઊભા થાય છે. દુ:ખ અને આફતના સમયે ધૈર્ય રાખવું અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢવો એ ડહાપણભર્યું છે. આવા સમયે જો માણસ આત્મવિશ્ર્વાસ ગુમાવી બેસે, નાસીપાસ થાય અને સંતુલન ગુમાવી બેસે તો ફરી બેઠા થવાનું મુશ્કેલ બને છે. દુ:ખના સમયમાં જ આપણને અંતરમાં ડોકિયું કરવાનો સમય મળે છે. ભૂલો અને ક્ષતિઓ તરફ નજર કરવાની તક મળે છે. જીવનની સુખદ કે દુ:ખદ ઘટનાઓ કાંઈક ને કાંઈક બોધ આપતી જાય છે. સોનું અગ્નિમાંથી પસાર થાય ત્યારે તે વધુ શુદ્ધ બને છે. દુ:ખમાં વાસ્તવિક પરિસ્થિતિનું જેટલું ભાન થાય છે તેટલું સુખમાં થતું નથી.

જીવનમાં આશા-નિરાશા તો ઊભી થવાની છે, પણ આપણે તેને કઈ રીતે મન પર લઈએ છીએ તેની પર બધો આધાર છે. કેટલીક વખત કાલ્પનિક દુ:ખોથી પણ પરેશાની અનુભવવી પડે છે. ભવિષ્યમાં આવું બનશે એવી કલ્પના માણસને ડરાવતી હોય છે. જે માણસ ખોટું કામ કરે છે, અવળે રસ્તે ચાલે છે અને પોતાની જાતને છેતરે છે તેને એવો ડર રહેવાનો. કેટલાક માણસો સહેજ મુશ્કેલી આવે તો ડગમગી જાય છે, જ્યારે હિંમતવાન માણસો સ્વસ્થતાથી તેનો મુકાબલો કરે છે. દુનિયામાં ભયભીત થવા જેવું કશું નથી. મન મક્કમ હોય અને અડગ નિર્ધાર હોય તો માણસ ધાર તે કરી શકે છે. સુખ અને દુ:ખ એક સંજોગ છે. આપણી ધારણાથી જે વિપરીત બને અને જેમાં ધનહાનિ અને માનહાનિ થવાનો સંભવ ઊભો થાય તેને આપણે દુ:ખ માનીએ છીએ. જેનાથી ધન, યશ અને કીર્તિ વધે તે આપણા માટે સુખ બની જાય છે. હકીકતમાં તો માણસને જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જાય તો દુ:ખ જેવું કશું નથી. દુ:ખનું મોટું કારણ એ છે કે માણસને પોતાની જરૂરિયાત કરતાં વધુ

જોઈએ છે.

આપણે ઘણી વાર દુ:ખ અને આપત્તિઓને હોય તેના કરતા મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને તેનાં પરિણામો અંગે મનને ચગડોળે ચડાવી દઈએ છીએ. તેના કારણે આ દુ:ખ વધુ ઘેરું બની જાય છે. ઉંમર વિત્યા પછી ઘણાને લાગે છે. જીવનમાં જેટલું ધાર્યું હતું તેટલું કરી શકાયું નથી. કેટલાકને કહેવાતા બધા સુખો મળ્યા હોવા છતાં ખાલિપો લાગે છે. જીવન નિષ્ફળ ગયું હોવાનો ભાસ થાય છે. ઉંમર વધતા કશુંક વધુ મેળવવાની, પ્રાપ્ત કરવાની ઝંખના વધુ પ્રબળ બને છે. કશું છૂટતું નથી, સંતોષ થતો નથી.

પાછલી ઉંમરે જીવનમાંથી જે કાંઈ પસાર થઈ ગયું છે તેની કિંમત સમજાય છે. લોકો પોતાના ભૂતકાળને વાગોળ્યા કરે છે. તેને એમ લાગે છે કે આના કરતા પહેલાં સારું હતું. ઓછું હતું પણ મોજ કરતા હતા. હવે બધું છે, પણ શાંતિ નથી, નિરાંત નથી. સુખ અને દુ:ખ દરેક સમયમાં હોય છે ત્યારે પણ તે સમય તેમને કપરો જ લાગતો હતો. ત્યારે સહન કરવાની સંઘર્ષ કરવાની શક્તિ હતી એ અત્યારે ન હોય એટલે પણ એવું લાગતું હોય. જીવન એટલે સંઘર્ષ અને પડકાર. કોઈ પણ બાબતમાં સુખ અને આનંદ જેને શોધતા આવડે છે તેમના માટે કોઈ પણ સમય કઠિન નથી. મન અને તન સ્વસ્થ હોય તો બધું સારું લાગે. આમાંથી એક પણ બગડે તો જીવન જીવવા જેવું લાગે નહીં. અમુક ઉંમરે પૈસાનું બહુ મૂલ્ય રહેતું નથી. ગમે તેટલું હોય પણ ભોગવી શકાતું નથી. સમયાનુસાર જે કાંઈ મળતું રહે તેનો આનંદ માણી શકાય તો તે પ્રભુની કૃપા સમજવી. જેટલી જરૂરિયાત ઓછી તેટલો માણસ સુખી. જે માણસ સાદું-સરળ જીવન જીવે છે અને સહજભાવે રહે છે તેને વધુ ઉધામા કે વલોપાત કરવો પડતો નથી. આપણે વર્તમાનમાં જીવતા નથી. ભૂતકાળને યાદ કર્યા કરીએ છીએ અને ભવિષ્યનાં સ્વપ્નો જોઈએ છીએ. આ રીતે વર્તમાન હાથમાંથી સરકતો રહે છે અને તે ભૂતકાળ બન્યા પછી આપણને એમ લાગે છે કે એ સમય સારો હતો. જીવનની દરેક અવસ્થાનો આનંદ હોય છે, પણ આ માટે આપણે સમય અને સંજોગોને અનુરૂપ બનવું પડે છે. જીવનનું આ સીધુંસાદું ગણિત છે, પણ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ઝંખનાઓને કારણે જીવનનો દોર વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. સંપૂર્ણ ઈચ્છિત સુખ કોઈને પ્રાપ્ત થતું નથી. આ ટાપુ પર કોઈ પહોંચી શકાતું નથી. આપણે જેમ નજીક જઈએ તેમ આ ટાપુ દૂર ખસતો રહે છે. મૃગજળ જેવી આ સ્થિતિ છે.

માણસના નકારાત્મક વલણમાંથી પણ દુ:ખો સર્જાતા હોય છે. લોભ, સ્વાર્થ, અહંકાર અને ઈર્ષ્યા તેને સુખેથી રહેવા દેતી નથી. માણસને પોતે જે કાંઈ છે તેમાં સંતોષ નથી. તે બીજાની સાથે સરખામણી કરીને દુ:ખી થતો રહે છે. માણસ પોતાની પાસે શું છે તેના કરતાં બીજા પાસે શું છે તેનો વિચાર કરીને જીવ બાળે છે. તેને એમ લાગે છે કે આ સ્થાને પહોંચવા માટે તેને ઘણું કરવાનું બાકી છે. કદાચ એ સ્થાન મળી જાય તો પણ બીજું ઊંચું સ્થાન હાજર હોય છે. ગમે તેટલું મળે તો પણ કોઈ ને કોઈ તો આપણાથી ચડિયાતો રહેવાનો જ છે. કેટલા સાથે સ્પર્ધા કરશો? દરેક જગ્યાએ શેરને માથે સવાશેર છે. આપણાથી અનેક લોકો અનેક ક્ષેત્રમાં આગળ રહેવાના જ છે. આવું વિચારવાનો કોઈ અર્થ નથી.

માણસ પાસે જે કંઈ છે તે પર્યાપ્ત છે. પ્રભુએ તેને પૂરતી શક્તિ અને તાકાત આપેલી છે. પોતાના ગુણધર્મો અનુસાર આગળ વધવાનું હોય છે. આપણે બીજાના ગુણોને જીવનમાં ઉતારી શકીએ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકીએ પણ આપણે તેમના જેવા બનવાની કે કોઈની નકલ કરવાની જરૂર નથી. આપણે બીજાનું વ્યક્તિત્વ આપણામાં આરોપિત કરી શકીએ નહીં. આપણે જે કંઈ છીએ તે બની રહીએ અને બિનજરૂરી બીજાથી પ્રભાવિત ન થઈએ. આ અંગે એક દૃષ્ટાંત કથા...

અકબરે પોતાના દરબારમાં નવ રત્નોને બોલાવ્યા અને કહ્યું, આ દેશમાં મેં રામાયણની ખૂબ પ્રશંસા સાંભળી છે. હું કાંઈ રામથી નાનો રાજા નથી તો મારા જીવન પર રામાયણ કેમ લખી ન શકાય?

બધા ચૂપ રહ્યા. બોલે પણ શું?

અકબર ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ તેના જીવન પર રામાયણ કઈ રીતે લખી શકાય, પરંતુ બાદશાહને આ સાચી વાત સમજાવે કોણ?

છેવટે બિરબલ બોલ્યો, હજૂર લખી શકાય, શા માટે ન લખી શકાય? આપનામાં શું ખામી છે? રામનું રાજ્ય તો આપના કરતા પણ નાનું હતું. આપના જીવન પર હું રામાયણ લખીશ, પરંતુ આ કાર્ય ખૂબ મહેનતનું છે. આ માટે એક લાખ અશરફી અને એક વર્ષનો સમય લાગશે.

બિરબલ તો એક વર્ષ સુધી મોજમજા કરતો રહ્યો. તેને આ રામાયણ ક્યાં લખવી હતી. એક વર્ષ પૂરું થયું. અકબરે બિરબલને બોલાવ્યો અને પૂછયું, મારા જીવન પરની રામાયણ લખાઈ ગઈ?

બિરબલે કહ્યું, હજૂર બધું લખાઈ ગયું છે બસ માત્ર એક પ્રસંગ અંગે આપને પૂછવાનું છે તે વગર રામાયણ પૂરી નહીં થાય.

અકબરે કહ્યું, પૂછી લો વાંધો શો છે? બિરબલે કહ્યું: મહારાજ, અમારા રામની સીતાનું રાવણે અપહરણ કર્યું હતું. આપની બેગમનું કોણે અપહરણ કર્યું હતું તે જણાવો એટલે રામાયણ પૂરી થાય.

અકબર આ સાંભળીને ગુસ્સે થઈ ગયો. તેણે તલવાર કાઢવા મ્યાન પર હાથ મૂક્યો અને બોલ્યો, તું પાગલ થઈ ગયો છે. મારી બેગમ સામે કોઈ આંખ ઊંચી કરે તો તેની આંખો ફોડી નાખું, કોઈ બોલે તો ખરું તેની જીભ કાપી નાખું. તું કેવી વાત કરી રહ્યો છે. બીજો કોઈ હોત તો મેં તેનું માથું વાઢી નાખ્યું હોત!

બિરબલે કહ્યું: હજૂર તો પછી રામાયણ નહીં લખી શકાય. મૂળ રામાયણમાં સીતાનું અપહરણ થયું હતું અને રામ તેને યુદ્ધ કરીને છોડાવી લાવ્યા હતા.

અકબરે કહ્યું: આમ હોય તો મારે રામાયણ લખાવવી નથી. જવા દે એ વાત.

બિરબલે કહ્યું, હજૂર આમ નિરાશ ન થાવ. આપના જીવન પર રામાયણ ભલે ન લખી શકાય પણ મહાભારત તો લખી શકાય ને?

અકબરે કહ્યું: તેમાં અપહરણની કોઈ મુસીબત નથી ને? બિરબલે કહ્યું, જહાપના આમાં અપહરણ જેવી કોઈ વાત નથી.

બિરબલે પાછી એક વર્ષ સુધી મોજમજા કરી અને વર્ષ પૂરું થતા દરબારમાં આવ્યો અને કહ્યું: મહારાજ મહાભારત લખાઈ ગયું છે પણ એક નવી ગૂંચવણ ઊભી થઈ છે. તેના વગર આ ગ્રંથ અધૂરો રહેશે. મહાભારતમાં દ્રોપદીના પાંચ પતિ હતા. બેગમના આપ એક પતિ છો બીજા ચાર પતિ કોણ છે?

આ વખતે તો અકબરે તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી અને ત્રાડ નાખીને કહ્યું, તું શું સમજે છે તારા મનમાં.

બિરબલે કહ્યું: મહારાજ, શાંત થાવ. મારો એમાં શું વાક? હું તમારા પર લખવા જાઉં છું અને મુસીબત ઊભી થાય છે હવે તમે કહો તેમ કરું.

અકબરે કહ્યું: મારે કાંઈ પણ લખાવવું નથી. હું બીજા કોઈની ચરિત્રકથા મારામાં આરોપિત કરવા માગતો નથી. આ વાત હવે મને સમજાઈ ગઈ છે.

ઓશોએ ટાંકેલી આ કથાનો સાર માત્ર એટલો છે આપણે આપણી ચાલે ચાલવાનું છે. બીજાની ચાલે ચાલવા જઈએ તો ઠોકર લાગતા વાર લાગે નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvvBCm-2TzZmbmjK5jLJJ25cHfK6izbx4G-JrLFzDeg1w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સસ્સા રાણા આવે છે મોટી ફોજ લાવે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સસ્સા રાણા આવે છે મોટી ફોજ લાવે છે!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

 

 

 

આ કૂચ ગીત આપણે સહુએ બાલ્યાવસ્થામાં દાદા-દાદીએ કહેલી વાર્તામાં સાંભળ્યું છે. છેલ્લા છએક મહિનાથી આવું જ બીજું એક કૂચ ગીત આજકાલ સવાર, બપોર, સાંજ સંભળાય છે. આ કૂચ ગીતના શબ્દો છે - 2019 આવે છે, 2019 આવે છે, 2019 આવે છે. (આ 2019ને કેટલાક અનુ આધુનિકો 2સ19 કહે છે. શૂન્યની જગ્યાએ આ સ વચ્ચે ક્યાંથી ઘૂસી ગયો એની તો તપાસ કરવી પડે.) આ 2019 જાણે બૂંગિયો વાગતો હોય એ રીતે સંભળાય છે. આ બૂંગિયો એટલે શું એ જો તમે ન જાણતા હો તો મેઘાણીભાઈ લિખિત 'સોરઠી બહારવટિયા' પુસ્તકનાં પાનાં ઊથલાવી જજો.

 

2019 એ કંઈ નવી વાત નથી. આપણે 2018 સુધી બધું જોયું છે. 2019માં પણ 2018 સુધી ઊગતો રહ્યો છે એવો જ સૂરજ પૂર્વમાં ઊગશે અને એ જ સૂરજ પશ્ર્ચિમમાં આથમી થશે. સમુદ્રમાં ભરતી-ઓટ પણ નિયમ પ્રમાણે જ થશે, યુદ્ધો થશે, વિશ્ર્વશાંતિની વાતો થશે, નવાં બાળકો જન્મશે અને જૂનાં થઈ ગયેલાં જતાં રહેશે. આવું બધું ક્રમાનુસાર બન્યા જ કરશે અને આમ છતાં 2019નાં ઢોલનગારાં જાણે કે કશુંક અવનવું બનવાનું હોય એમ એકધારાં વાગી રહ્યાં છે.


આ 2019નાં વધામણાં પ્રસાર માધ્યમો આ વરસમાં યોજાનારી સંસદીય ચૂંટણીઓને લક્ષમાં રાખીને વગાડી રહ્યાં છે. આપણા દેશમાં 1950માં જે બંધારણ અમલી થયું તદ્અનુસાર 1952માં પહેલી વાર સાર્વત્રિક મતાધિકારના ધોરણે ચૂંટણીઓ યોજાઈ હતી. 1952થી 2018 સુધીમાં પાર વિનાની ચૂંટણીઓમાં આપણે મત આપ્યા છે. સંસદ, ધારાસભા, મ્યુનિસિપાલિટીઓ, મધ્ય સત્ર કે પેટા ચૂંટણીઓ આવું બધું સતત ચાલતું જ રહ્યું છે. 1971 અને એ પછી 1977માં યોજાયેલી ચૂંટણીઓને પેલા સસ્સા રાણાની જેમ જ જોરશોરથી ગજાવવામાં આવી હતી.


1980ની ચૂંટણીમાં પણ આવું જ થયું. ચૂંટણીની આપણને કોઈ નવાઈ નથી અને જૂની સરકાર રહે કે નવી સરકાર આવે એનાથી પણ આપણને ઝાઝો ફેર પડતો નથી. ગાંધીજી એવું કહેતા કે સત્તા સ્થાને ખુરશીઓમાં ગોરા સાહેબોને બદલે કાળા સાહેબો બેસી જાય એનાથી પ્રજાનો ઉદ્ધાર થતો નથી. સાચું લોક સ્વરાજ આવતું નથી. સ્વાતંત્ર્યોત્તર 70 વરસમાં આપણે જોયું છે કે સત્તા સ્થાને બેસવા માટે ઢોલનગારાં વગાડનારાઓ જે કહે છે એને રૂપાળા શબ્દો સિવાય બીજું કંઈ કહી શકાય એમ નથી.


સત્તા સ્થાને ખુરશીઓમાં ગોઠવાયેલા ભાજપી વીરો હોય કે કૉંગ્રેસી હીરો કે પછી શિવસેનાથી માંડીને અકાલી દળ સુધીનાં કોઈપણ વગેરે વગેરે હોય, બે-પાંચ વરસમાં એમની ઈમારતો બને છે અને 70 વરસ પછી પેલો મતદાર તો ઘરબાર વગરનો એમને એમ જ નવી ચૂંટણીની રાહ જોતો હોય છે.


2019ની ચૂંટણી ભલે પક્ષીય ધોરણે થવાની હોવાનું કહેવાતું હોય પણ વાસ્તવમાં વ્યક્તિ વિરુદ્ધ વંટોળિયો એવું દૃશ્ય નજરે પડી રહ્યું છે. 1971 અને 1977માં પણ આવું જ ચિત્ર હતું. ઈંદિરા ગાંધી નામની એક વ્યક્તિની વિરુદ્ધ વિરોધ પક્ષો જોડાણ કરીને એકત્રિત થયા હતા. આવાં જોડાણો કે મહાજોડાણો કે સંયુક્ત વિધાયક દળો એક અદ્ભુત રચના જ કહેવાય, જેઓ આગલી સાંજ સુધી પરસ્પર સામે દાંતિયા કરતા હતા, ગાળાગાળી કરતા હતા, પરસ્પરને બચકા ભરીને કરડતા હતા તેઓ બધા બીજે દિવસે સવારે બંને હાથ ઊંચા કરીને પરસ્પરના હાથમાં હાથ પરોવીને ભૈબંધ થઈને ફોટા પડાવવા ઊભા રહી જાય એનાથી વધુ આશ્ર્ચર્યજનક બીજું શું હોઈ શકે? અને આ ફોટાની શાહી હજુ સુકાઈ પણ ન હોય ત્યાં પેલા પરસ્પરના હાથમાં પરોવેલા હાથ છુટ્ટા હાથની મારામારીમાં પણ પરિણમી જાય એવું પણ આપણે ક્યાં નથી જોયું?


વ્યક્તિ વિરુદ્ધ એકઠા થઈ જનારા આ સહુ હવે જોડાણ કે મહાજોડાણ તરીકે નથી ઓળખાતા. હવે તેઓ ગઠબંધન કે મહાગઠબંધન બની ગયા છે. ગઠબંધનની સરકારોના હાલહવાલ આપણે જોયા છે. જયપ્રકાશ નારાયણ કે મોરારજી દેસાઈની કક્ષાના રાષ્ટ્રીય નેતાઓ પણ આવા જોડાણની જોકને નભાવી શક્યા નહોતા. આજે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સંયુક્ત સરકાર જે રીતે ચાલે છે એ જોતાં આવા ગઠબંધન કે યુતિને કાયમ માટે છૂટી કરી દેવી એ જ શાણપણનો માર્ગ છે.


સપ્તપદીમાં ફેરા ફરીને કુંવારી ક્ધયાને પત્નીપદે સ્થાપિત કરી શકાય (કે પછી પતિપદે સ્થાપિત થઈ શકાય) પણ એ પછી ઘરમાં રહીને પડોશી સાથે જાર કર્મ કરાય નહિ. શિવસેનાનું ધોળે દિવસે આ જાર કર્મ કોઈપણ પ્રકારની યુતિને કાયમ માટે વિદાય કરવા માટે પૂરતું છે.


2019ની ચૂંટણીઓમાં ધારો કે સરકાર બદલાય પણ ખરી. સરકાર બદલીની આપણને કોઈ નવાઈ નથી. વીસમી સદીના છેલ્લા દાયકામાં નરસિંહ રાવની સરકારે પોતાનો આયુષ્ય કાળ પૂરો કર્યો, પણ પછીનાં છ-સાત વરસોમાં વરસે-બે વરસે સરકારો બદલાતી ગઈ. વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ, દેવેગૌડા, ઈન્દ્રકુમાર ગુજરાલ, એમના પૂર્વજો ચરણસિંહ અને ચંદ્રશેખરની જેમ ટપોટપ આવ્યા અને ટપોટપ ગયા. તેઓ આવ્યા નહોતા, તેમને લવાયા હતા અને લવાયેલા આ બધા આવ્યા એવા ગયા. હવે પછી 2019માં ફરી એક વાર આપણે આવા લવાયેલા અને ગયેલાનાં ટોળાં એકત્રિત કરવા છે કે એમનું સ્થાન દર્શાવી દેવું છે એ આપણે નક્કી કરવાનું છે.


નરેન્દ્ર મોદી પોતાના શાસન કાળનાં પાંચ વરસ પૂરાં કરે છે ત્યારે એનો હિસાબ-કિતાબ માગવાનો મતદારોને અધિકાર છે, જે માણસ રોજના સોળ કલાક એટલે કે ડબલ શિફ્ટમાં કામ કરતો હોય એ માણસના કામનો હિસાબ જોતાંવેંત મળી જતો હોય છે. એણે તમારા બૅંકના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા ભલે ન કરાવ્યા હોય પણ દેશના અબજો રૂપિયા પોતાના કોઈ ભાઈ, ભત્રીજા, બહેન, બનેવી, દીકરી, જમાઈ કે સાસુ-સસરાના નામે હવાલા પાડ્યા છે ખરા? એણે જે કંઈ કરવા ધાર્યું હતું એ બધું એણે કર્યું નથી એ વાત સાચી પણ એનાથી એવું થયું નથી એ માટે આપણી જવાબદારી કેટલી છે એ ક્યારેય વિચાર્યું છે? સસ્તાં ઘર લોકોને મળ્યાં નથી એ વાત સાચી પણ આવાં ઘરો નહિ મળી શકવાનું કારણ, આપણે સહુએ એટલે કે પામતા પહોંચતા આસનસ્થ માણસોએ કેટલી લોંટાઝોંટી કરી છે એનો ક્યારેય વિચાર કર્યો છે? સ્વચ્છતા અભિયાન કે શૌચાલયો બાંધવાની હાકલ આ બધું શું કહેવા જેવી વાત છે? પ્રસારમાધ્યમો આ એક માણસની વિરુદ્ધ આપણને ગમે તે કહે પણ એનું સ્વતંત્ર મૂલ્યાંકન કરતાં આપણે શીખવું જોઈએ.


પ્રસારમાધ્યમનાં ટોળાંઓને પ્રધાનમંત્રીની કોઈપણ વિદેશયાત્રા વખતે સરકારી ખર્ચે હવાઈ જહાજમાં ગોઠવાઈ જવાની આદત થઈ ગઈ હતી અને 2014 પછી આ આદતને નવા પ્રધાનમંત્રીએ છુટ્ટી કરાવી દીધી. દેખીતું જ છે કે આવી છુટ્ટીને કારણે લાગતાવળગતાઓને કળ ચડી જ જાય.


સરખામણીનો કોઈ ઉદ્દેશ નથી છતાં કહેવું હોય તો કહી શકાય કે ગાંધીજીની આસપાસ જે રીતે દંભીઓનું ટોળું ગાંધીવાદી તરીકે વીંટળાઈ વળતું એ જ રીતે નરેન્દ્રભાઈના સત્તાધારી પક્ષમાં પણ સત્તા સ્થાને બેસી ગયેલા લાંચિયાઓ પણ કંઈ ઓછા નથી. આવા લોકોના કારણે કરવા જેટલાં કેટલાંક કામો પણ થઈ શકતાં નથી. આવાં કામો કરી શકાય એવાં હોય છે, પણ સત્તા સ્થાને ગોઠવાઈ ગયેલા પેલા ભ્રષ્ટ રાજકારણીઓ આવાં કામો થવા દેતા નથી.


ખરું કહીએ તો ચૂંટણીઓ એ કંઈ રાજકીય પક્ષોની પરીક્ષા નથી હોતી. રાજકીય પક્ષોના હિસાબ-કિતાબ કે લેખાજોખાંની પરીક્ષા આ પળે નથી થતી. આ પળે તો મતદાતાઓની પરીક્ષા થાય છે. સંસદની ચૂંટણી અને મ્યુનિસિપાલિટીની ચૂંટણી આ બંનેને એક નજરથી જોઈ શકાય નહિ. આ સૂઝબૂઝ મતદાતાઓમાં હોવી જોઈએ. 1977માં જ્યોર્જ ફર્નાન્ડિસ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા એસ. કે. પાટીલને પરાજિત કરીને સંસદસભ્ય બન્યા હતા. આ વખતે એમણે મતદારોને એમના ઘરમાં બંધ પડેલા નળમાં પાણી પહોંચાડવાનું વચન આપ્યું હતું. ફર્નાન્ડિસના મતવિસ્તારમાં ત્યારે પાણીની ભારે તંગી હતી. મતદારોએ ફર્નાન્ડિસની વાત સાચી માની લીધી અને એસ. કે. પાટીલ પરાજિત થયા. એનું વધુ નજીકનું ઉદાહરણ થોડાં વરસો પહેલાં જ આપણે ઉત્તર મુંબઈમાં પણ જોયું. સંજય નિરુપમ રામ નાઈકને પરાજિત કરે એમાં ઝાઝું આશ્ર્ચર્ય નથી પણ પચાસ વરસના જાહેર જીવનના પાયાના કાર્યકર તરીકે પ્રતિષ્ઠિત રામભાઉને ગોવિંદા પણ હરાવે ત્યારે તો મતદાર જ નાપાસ થયા છે એમ કહેવું પડે.


2019 આવે છે - ભલે આવે. એનાં આપણે સહુ વધામણાં કરીએ. રાજકીય પક્ષોનું તો જે થવાનું હોય તે થાય પણ આપણે આપણું શું કરવા ધારીએ છીએ? આપણે પાસ થવું છે કે નાપાસ? આપણે ટોળાંને હવાલે થવું છે કે પછી આપણને શિસ્તબદ્ધ કરવા મથતા એક માણસને સફળ થવાની તક આપવી છે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou3%2BFNDdR9UCtACdKgtc_SWqD46bwVn_QciwYSSQ7YwMQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈને માફ કરવામાં ક ર્મનો સિદ્ધાંત જોવાનો નહીં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈને માફ કરવામાં કર્મનો સિદ્ધાંત જોવાનો નહીં!
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

 

 

 

 

કથાનો આજે આઠમો દિવસ. મન સહેજ ઉદાસ છે. કાલે કથાનો છેલ્લો દિવસ. એક અલગ જ રૂટિન સેટ થઈ ગયું છે છેલ્લા થોડાક દિવસ દરમ્યાન. વહેલી સવારે ઊઠીને નહાઈને તૈયાર થઈને આઠ વાગ્યે નીકળી પડવાનું. નાસ્તો કરીને કથાના સ્થળ પર. અયોધ્યાની શેરીઓ સાંકડી છે. કથા નિમિત્તે વાહનોનો ખૂબ ભરાવો છે. અહીં એટલું સારું છું કે અડધોઅડધ રિક્શાઓ બેટરી ઓપરેટેડ છે. દેખાવમાં પણ નાજુક નમણી. છતાં ચાર જણ તો સહેલાઈથી બેસે. એક વખત ૧૩ મુસાફરો જોયા હતા. નવ વાગ્યે કથા મંડપમાં પ્રવેશી સ્થાન લઈ લેવાયું. શાર્પ દસના ટકોરે બાપુનાં પગલાં થાય. નૉન સ્ટોપ દોઢ-પોણા બે સુધી કથા ચાલે. જતી વખતે પાછી ભીડ. બહેતર છે કે પંદરેક મિનિટ છો ત્યાં જ બેસી રહો. બહાર નીકળીને શેરડીના તાજા રસના પ્યાલાઓ ગટગટાવવાના પછી ભોજન. આજે પહેલીવાર કથાના આયોજકો તરફથી ગોઠવાયેલી વ્યવસ્થા માણી. બાપુ ઘણી વખત કથામાં રમૂજ ઊભી કરવા 'આજનું મેનુ' વાંચતા હોય છે. આજે 'આલુ ધમાકા'ની સબ્જી ઉપરાંત બીજી અવનવી વાનગીઓ હતી. બીજે ક્યાંય લાંબા થવાને બદલે 'માનસ સદન'માં રાખવામાં આવેલી આ ભોજન વ્યવસ્થામાં સામેલ થઈ ગયા. રોજ હજારો શ્રોતાઓ પ્રસાદ લે. ભીડ કાબૂમાં રહે એ માટે બે-ચાર અલગ અલગ જગ્યાઓએ ભોજનનો પ્રબંધ હોય પણ રસોઈ બધી એક જ રસોડે બને, એક સરખી વાનગીઓ, એક સરખી ક્વૉલિટી, એક સરખો સ્વાદ. પૂજ્ય મોરારિબાપુનાં આયોજનોની આ ખાસિયત હોય છે. ભોજનમાં કોઈ વહેરો-આંતરો નહીં, સૌ કોઈ સમાન. આ બાબતનો સાક્ષી છું એટલે વિશ્ર્વાસપૂર્વક કહી શકું છું.

 

ભોજન પછી જાણે એક દિવસ પૂરો થઈ ગયો હોય એવું લાગે. ઉતારે આવીને વિશ્રામ કરવો પડે. સાંજે ચાર વાગે અને સાંજ ઢળવા માંડે. પાંચ વાગે તો અંધારું છવાઈ જાય. છ વાગ્યે રાત પડી જાય. કથા વિશે લખવાનું કામ રાત્રે સાડા નવ-દસ વાગ્યા સુધી સતત ચાલે. 'ગુડ મોર્નિંગ'નો નૉર્મલ પીસ લખું એના કરતાં લગભગ ત્રણથી ચારગણો સમય લાગે. બાપુનો એક પણ શબ્દ મિસ-ક્વૉટ ન થઈ જાય એનું ગર્ભિત ટેન્શન રહે. બાપુની કોઈ વાતને ઈન્ટરપ્રીટ કરવા જતાં એમને જે અભિપ્રેત ન હોય એવા અર્થોનું દોઢ-ડહાપણ ન કહી બેસીએ એની સાવચેતી રાખવાની હોય. તલવારની ધાર પર ચાલતાં ચાલતાં ક્યારેક લોહીના ટશિયા ફૂટી નીકળે તો નીચેથી ચા મગાવીને કાંટો ચઢાવીએ અને દસ મિનિટના અલ્પવિરામ બાદ લેખનો દોર ફરી સાંધી લઈએ.

 

આ નવા રૂટિનમાં એવા સેટ થઈ ગયા છીએ કે આવતી કાલ પછી જૂનું રૂટિન પાછું ચાલુ થઈ જશે એ વિચારે મન સહેજ ભારે થઈ  જાય છે. બાપુની કથાથી છૂટવું આસાન નથી. અયોધ્યા સાથે એવો લગાવ થઈ ગયો છે કે રામ-લક્ષ્મણ-જાનકી ૧૪ વરસ પછી વનવાસ પૂરો કરીને પુષ્પકમાં આવે એની રાહ જોતાં અહીં જ રહી પડીએ એવું થાય છે. મુંબઈનું કામ મુંબઈ જાણે. આપણા વિના વળી મુંબઈ શહેરનું કયું કામ અટકી પડવાનું છે.

 

પછી વિચાર આવે કે બાપુ આવી ઈમોશનલ ભરતી-ઓટને કેવી રીતે પોતાનામાં સમાવી લેતા હશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મહુવા શહેરના નાના અમથા, અને હવે વર્લ્ડ ફેમસ થઈ ગયેલા તલગાજરડા ગામમાં જન્મ્યા, મોટા થયા અને આજની તારીખે પણ ત્યાં જ કાયમી નિવાસ. વરસમાં પંદરેક જેટલી નવ દિવસીય કથા માટે આખા ગુજરાતમાં, ભારતમાં અને વિશ્ર્વમાં પરિભ્રમણ કરી પાછા તલગાજરડા આવી જવાનું. કથાના દિવસો દરમ્યાન તો એ શહેરમાં ભરચક કાર્યક્રમ હોય જ. કથા ન હોય ત્યારે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા તલગાજરડાથી દૂરદૂરના પ્રવાસો થતા રહે. આપણે પગ વાળીને નિરાંતે બેઠા હોઈએ તો બેસી જ રહીએ. બાપુના જીવનનું કેન્દ્ર તલગાજરડા અને એમના વર્તુળનો પરિઘ આખા વિશ્ર્વમાં. ક્યાંથી આવતી હશે આવી ઊર્જા. અડધી સદી કરતાં વધુ સમયથી બાપુ રામકથા કરે છે. ૭૨ પૂરાં કરીને ૭૩ થયાં. બાપુએ પરમ દિવસે કહેલું: 'એક સાધુએ મને પૂછેલું કે તમે યુવાનીમાં શેનો શેનો ત્યાગ કર્યો હતો? ત્યારે મેં એને જવાબ આપ્યો હતો: હજુ મને યુવાન તો થવા દો, આ તો મારી બાલ્યાવસ્થા છે - કુમાર અવસ્થા છે.'

 

'માનસ : ગણિકા'ના આઠમા દિવસની કથાના આરંભે બાપુએ આજે સવારે જ કરેલો મનોરથ વ્યક્ત કર્યો. ભવિષ્યમાં અયોધ્યામાં ચરૈવેતિ કથા કરવી છે. હરતીફરતી કથા. આજે અહીં તો કાલે ત્યાં. ગયા વર્ષે બાપુએ આ જ રીતે 'માનસ : વ્રજચોરાસી' કરી હતી. વૃંદાવનમાં એક સ્થળેથી બીજા સ્થળે જતાં જતાં બાપુએ પાણીપુરીના ખુમચાવાળાઓને જોઈને ફોન કરીને કહ્યું: 'પાણીપુરી જોઉં છું ને તમે યાદ આવો છો!'

 

કવિ હરીન્દ્ર દવેને પાન લીલું જોઈને કો'ક યાદ આવતું બાપુને પાણીપુરી જોઈને અમે યાદ આવીએ! ખુશનસીબ છીએ. અતિ અતિ ખુશનસીબ છીએ.

 

'માનસ: અયોધ્યાકાંડ'નો મનોરથ એવો છે કે અયોધ્યાથી કથાનું મંગલાચરણ કરવું. બીજો દિવસ પણ અયોધ્યામાં જ. ત્રીજો દિવસ તમસાના તીરે. ચોથો દિસ શ્રૃંગવેરપુર, પાંચમો દિવસ પ્રયાગ, છઠ્ઠો વાલ્મીકિ આશ્રમ, સાતમો ચિત્રકૂટ, આઠમો ફરી અયોધ્યા અને નવમા દિવસે નંદીગ્રામમાં પૂર્ણાહુતિ.

 

બાપુ કહે છે: આવો મનોરથ છે. બે-ત્રણ વર્ષ સુધી તો સમય જ નથી પણ પછી વિચાર છે. થાય તો હરિકૃપા અને ન થાય તો હરિ ઈચ્છા. અમારે મન તો કથા ગાજરની પિપૂડી છે. વાગે ત્યાં સુધી વગાડવાની, પછી...

 

બાપુની આ ફિલસૂફીને કારણે જ તેઓ આટલા મોટા ચિંતક હોવા છતાં પોતાના ચિંતનના ભાર હેઠળ દબાઈ જવાને બદલે હળવાફૂલ રહી શકે છે. આગ્રહો નહીં રાખવાના, જીદ તો બિલકુલ નહીં. છતાં પોતાને જે કામ કરવું છે તે કરતાં રહેવાનું. સપનાંઓ સેવવાનાં. મનોરથો પણ કરવાના. એ પૂરા થાય, ન થાય એની ચિંતા નહીં રાખવાની. સાચો ચિંતક એ જ કહેવાય જે ચિંતન કરે, ચિંતા નહીં. (જોયું, અમે પણ બાપુની સ્ટાઈલનું અનુકરણ કરતા થઈ ગયા!)

 

વાલ્મીકિ રામાયણમાં સમુદ્રમંથનની વાર્તા પણ આવે છે, બાપુ કહે છે. સૌથી પહેલાં વિષ નીકળે છે. એ પછી વાલ્મીકિ નોંધે છે કે સમુદ્રમંથનમાંથી વિષ નીકળ્યા પછી વૈદોના વૈદ ધન્વંતરિ પ્રગટ થાય છે, એક પછી એક સૌ કોઈ નીકળી રહ્યા છે - સમુદ્રમંથનમાંથી. એ પછી અપ્સરાઓ નીકળી - અપ્સરા નહીં, અપ્સરાઓ. અપ્સરાઓ પ્રગટ થઈ. અપ એટલે જળ. જળ અને રસથી જે પ્રગટ થાય છે તે અપ્સરા છે.

 

વાલ્મીકિજી કહે છે કે ૬૦ કરોડ અપ્સરાઓ પ્રગટ થઈ. ષષ્ટિ કોટ્યો અને આ ૬૦ કરોડ અપ્સરાઓની પરિચારિકાઓ તો અગણિત. આપણા દિમાગમાં ન ઊતરે એવી આ વાતો છે. વાલ્મીકિ ઉપર સંતો-મનીષોએ ઘણાં ભાષ્યો કર્યાં છે. એક સમાધાન વ્યાસપીઠને એ મળે છે કે ૬૦ કરોડ પણ હોઈ શકે છે, વાલ્મીકિ જે કહે છે એનો સીધોસાદો અર્થ કરવામાં આપણને શું આપત્તિ હોઈ શકે? સ્વીકારી લઈએ. પણ માણસનું દિમાગ છે: ૬૦ કરોડ કેવી રીતે હોઈ શકે? તો એવું સમજીએ કે 'કોટિ' તો એક અર્થ થાય છે 'પ્રકાર'. ૬૦ પ્રકારની અપ્સરાઓ પ્રગટ થઈ હશે જેમાંની કોઈ આ હશે, કોઈ આ હશે, કોઈ આ હશે. અને આ ૬૦ પ્રકારની અપ્સરાઓની પરિચારિકાઓ એમની વૃત્તિઓ છે. આપણી વૃત્તિઓ અગણિત છે. ઈવન, આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તે પોતાનો સ્વધર્મ ન નિભાવે અને વિપરીત ધર્મમાં યાત્રા કરે તો એ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને ગણિકા કહી છે. જીભ. એનો ધર્મ છે સ્વાદ પારખવાનો, બેસ્વાદને નકારવાનો. જિહ્વાથી જે વાણી પ્રગટ થાય છે એ વાણી જો પોતાનો સ્વધર્મ ન જાળવે તો એ વાણી ગણિકા છે.

 

બાપુ સહેજ ફંટાઈને મમરો મૂકે છે કે યુવાનોને એક જ વાત કહેવાની છે કે ભારતીય સંસ્કૃતિને લાંછન લાગે એવી દરેક વાતથી દૂર રહેજો. આજકાલની જે પાર્ટીઓ થાય છે. ભણેલાગણેલા અને સંપન્ન લોકોને એમાં એમની બહેન બેટીઓનું જે વર્તન હોય છે. માત્ર એને લેબલ નથી લાગ્યું. શું ફરક છે આ બંનેમાં - આપણે સાહસ તો કર્યું કે મેદાનમાં આવી (બાપુ જમણી તરફ બેઠેલી બહેનબેટીઓ તરફ હાથ કરે છે). શ્રોતાઓ બાપુની આ ચોટદાર કમેન્ટને સ્વીકારી લે છે એટલું જ નહીં, તાળીઓથી વધાવી પણ લે છે.

 

બાપુ ગૌતમ ઋષિ અને ઋષિપત્ની અહલ્યાની વાત માંડે છે. ઈન્દ્ર ભગવાન ગૌતમઋષિની ગેરહાજરીમાં ગૌતમઋષિનો વેશ ધારણ કરીને આવે છે અને અહલ્યા ભોળવાઈ જાય છે. ગૌતમ ઋષિને ખબર પડે છે ત્યારે પત્નીને શાપ આપે છે. અહલ્યા શલ્યા થઈને, પથ્થર બનીને ગુમનામીના અંધકારમાં ખોવાઈ જાય છે. ભગવાન રામ આવીને એનો ઉદ્ધાર કરે છે. રામના ચરણની રજથી અહલ્યાનો ઉદ્ધાર થયો. બાપુ કહે છે અહલ્યાની જેમ જ આ લોકોને (જમણી તરફ હાથ) સમાજે જોયા જ નહીં, અંધારામાં જ રાખ્યા. એમનાં કર્મનો હિસાબકિતાબ કરવાવાળા આપણે કોણ? અહલ્યાનાં કર્મોનો હિસાબકિતાબ કર્યા વિના ભગવાને એને ડાયરેક્ટ તારી લીધી. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ ઠીક જ છે પણ અહીં એનાથીય ઉપર ઉઠવાની વાત છે. તુલસીએ રાઘવના હાથે અહલ્યાનો ઉદ્ધાર કરાવીને પોતાના શીલનું પ્રમાણ આપ્યું. શ્રાવણ વદ સાતમ તુલસીનો જન્મદિવસ. તુલસી જયંતીના આ દિવસને નિર્ણયસાગર પંચાગ 'શીલ સપ્તમિ' તરીકે ઓળખે છે.

 

સાધુના શીલ વિશેની પ્રસ્તાવના માંડીને સાધુનાં ૧૬ શીલ વિશે વાત કરતાં પહેલાં બાપુ કર્મના સિદ્ધાંતની ભગવાન દ્વારા અવગણના થઈ તેને વાજબી ઠેરવતાં આજના સંદર્ભમાં એક જબરજસ્ત દાખલો આપે છે. સુપ્રીમ કોર્ટે પણ જેને દેહાન્ત દંડની સજા સુણાવી હોય એવો ગુનેગાર રાષ્ટ્રપતિને જ્યારે દયાની અરજી કરે છે ત્યારે એનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોવા છતાં રાષ્ટ્રપતિ ધારે તો એને દેહાંત દંડમાંથી મુક્તિ અપાવી શકે છે.

 

છાશવારે ત્રાજવું લઈને લોકોના વર્તન-વિચારોને તોળ્યા કરતા આપણા જેવા જજમેન્ટલ લોકોને બાપુ જબરજસ્ત લપડાક મારે છે. અહલ્યાએ કરેલા કર્મનો બદલો એને મળવો જોઈએ એવું જો શ્રીરામે માન્યું હોત તો એમણે અહલ્યાનો ઉદ્ધાર ન કર્યો હોત. સમજવાવાળાઓ માટે આટલો ઈશારો કાફી છે. બાપુ જે વાતો કહે છે એના સૂચિતાર્થો સમજીને જેઓ કથા શ્રવણ કરતા હશે તે સૌને જિંદગીભર ન ખૂટે એવાં રત્નોનો ખજાનો મળ્યા કરવાનો.

 

બાપુ કહે: અહલ્યાનો ઉદ્ધાર કરવા માટે અયોધ્યાવાળો આપવાનો જ છે. અને તમે (જમણી તરફ હાથ) સ્વયં અયોધ્યા આવી ગયા છો.

 

સાધુનાં ૧૬ શીલ ગણાવતાં પહેલાં બાપુ કહે છે કે સાધુ એટલે માત્ર કોઈ ખાસ વેશ જેણે ધારણ કર્યો હોય તે નહીં. જેની વૃત્તિ સાધુની છે, એવી વ્યક્તિ. બાપુની આ વાત હું જેટલી સમજ્યો છું તે પ્રમાણે આ ૧૬ શીલ વત્તેઓછે અંશે ધરાવતી કે પોતાનામાં આવી વૃત્તિઓ ઉછરતી રહે તે રીતે જીવતી કોઈ પણ વ્યક્તિ સાધુ છે - સંસારમાં ગળાડૂબ હોવા છતાં.

 

સાધુનું પ્રથમ શીલ. તે મનનશીલ હોય. સદૈવ, નિરંતર મનન કરતો રહે. જેના માટે એણે મૌનશીલ બનવું પડે. બહુ બોલ બોલ ન કરે. મૌન રહે. એ બોલે તો દિશાઓ ફાટી જાય અને મૌન રહે તો આખું આકાશ નિ:શબ્દ બની જાય.

 

સાધુ વચનશીલ હોય. એના વચનમાં શીલ ટપકે. એની વાણીમાં શીલ પ્રગટે.

 

સાધુ વિનયશીલ હોય. બીજાઓના અપરાધ પણ પોતાના માથે લઈને એમને હળવાશ બક્ષે. સાધુ કૃપા શીલ હોય. સાદુ બલશીલ હોય. એનામાં આત્મબળ બહુ હોય. એ કાયર ન હોય - બળવાન હોય. એ મરણશીલ હોય. મૃત્યુનું ચિંતન એનો સ્વભાવ હોય. ઓશો આચાર્ય હતા ત્યારે દ્વારકાની શિબિરમાં એમણે પ્રવચનો કર્યાં હતાં: મૈં મૃત્યુ સીખાતા હૂં. સાધુ અધ્યયનશીલ હોય-પુસ્તકોનું જ નહીં, જમાનાના મસ્તકનું પણ અધ્યયન કરનાર હોય. સાદુ કર્મશીલ હોય. આજકાલના તથાકથિત ઍક્ટિવિસ્ટો જેવો કર્મશીલ નહીં પણ વિનોબા, ગાંધી, રવિશંકર મહારાજ કે ઠક્કરબાપા જેવો કર્મશીલ.

 

સાધુ ધર્મશીલ હોય, સાધુ નમનશીલ હોય. સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે... સાધુ સ્વરશીલ હોય, એનું જીવન છંદોબદ્વ હોય, ક્યારેય સ્વ-સૂર ચૂકે નહીં. સાધુ કરુણાશીલ હોય. સાધુ વૈરાગ્યશીલ હોય. વૈરાગ્ય ત્યાગથી પણ ઉપરની કક્ષા છે. હાથથી છૂટે તે ત્યાગ અને હૈયાથી છૂટે તે વૈરાગ્ય. (બાપુની વાત સાંભળીને અમને નિષ્કુબાનંદજી સ્વામી યાદ આવે છે: ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે કેમ કરી તજાયજી). સાધુ ધ્યાનશીલ હોય. ક્યારેય બેધ્યાન ન હોય. સાધુ રસશીલ હોય. નીરસ ન હોય. ચીડચીડો ન હોય બહુ તપ કરીને સિરિયસ થઈ ગયેલો ન હોય. જે તપ તમારું સ્મિત છીનવી લે એ શું કામનું? અને છેલ્લે: સાધુ ભજનશીલ હોય.

 

સાધુના આ ૧૬ શીલ વિશે બાપુ ધારે તો એક આખી સ્વતંત્ર કથા કરી શકે પણ એમણે આ સાગરને ગાગરમાં ભરીને આપ્યો. અયોધ્યાથી પાછા જવાનું ઘરે થશે ત્યારે આખો સાગર તો ઊંચકાવાનો તો નથી, ગાગર જ ભલી.

ગણિકા કલ્યાણ ફંડમાં કુલ સાડા છ કરોડ જેવી જંગી રકમ ભેગી થઈ ગઈ છે. આજે કવિ નીતિન વડગામા જેનું નિષ્ઠાપૂર્વક સંપાદન કરે છે તે બાપુની દરેક કથાનો સાદ સમાવી લેતી સચિત્ર-રંગીન એવી બે પુસ્તિકાઓનું બાપુએ લોકાર્પણ કર્યું. એક લખનૌની 'માનસ: અરણ્યકાંડ' છે અને બીજી થાણેની 'માનસ: ક્ધિનર. હિંદી તથા ગુજરાતીમાં પુસ્તિકારૂપે અને અંગ્રેજીમાં પી.ડી.એફ. વર્ઝનમાં પ્રગટ થાય છે. નિ:શુલ્ક વિતરણ થાય છે. કોઈપણ વ્યક્તિને મળી શકે છે. તમારે તમારું નામ, કઈ ભાષામાં જોઈએ છીએ તે તથા સરનામું અહીં ઈમેલ કરી દેવાનું:માત્ર ટેક્સ્ટ મેસેજ આ નંબર પર મોકલી આપવાનો: + ૯૧ ૭૦૪ ૫૩ ૪૨ ૯૬૯.

 

નીતિન વડગામા અને એમની ટીમ ખૂબ જહેમતપૂર્વક ભારે ચોકસાઈ રાખીને આ એક કાયમી ડૉક્યુમેન્ટેશનનું કામ કરી રહ્યા છે. સૌ રામકથા પ્રેમીઓના અભિનંદનના તેઓ અધિકારી છે. હૈયું એકદમ ભારે છે. વધુ શું લખું.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvrBZJ7BB2Qe30MStKe%3D1BzF1aehun6bR-dASJYsGGK_w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુરોપનો બૌઆ સિંઘ અચાનક ખલી બની ગયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુરોપનો બૌઆ સિંઘ અચાનક ખલી બની ગયો!
મોન્ટાજ-અભિમન્યુ મોદી

amdavadis4ever@yahoogroups.com

એક જ જિંદગીમાં થોડા વર્ષના અંતરે વામન અને વિરાટ આ બંને સ્વરૂપો અનુભવ્યા હોય એવો એકમાત્ર દાખલો ઓસ્ટ્રિયાના એડમ રેનરનો છે. તેની વીસેક વર્ષ સુધી હાઈટ પાંચ ફૂટથી ઓછી હતી અને જયારે તે અવસાન પામ્યો ત્યારે તેની ઊંચાઈ હતી આઠ ફૂટથી થોડીક જ ઓછી

 

'ઝીરો' ફિલ્મ કેવી લાગી હોય એ તો જોનારા જુદા જુદા દર્શકોને ખબર પણ શાહરૂખનું પાત્ર 'બૌઆ સિંઘ' ખાસ્સું પ્રખ્યાત થયું અગર તો તેને પ્રખ્યાત કરવાના પ્રયત્નો થયા. હિન્દીમાં વામન માટે શબ્દ છે 'બૌના'. તેની સાથે પ્રાસ મળે અને દર્શકોના કાને એ નામ પડે એવું તરત તેઓના મનમાં એક બટકો માણસ આવે એવા વિચાર સાથે જ ફિલ્મના દિગ્દર્શકે બૌઆ સિંઘના નામ ઉપર મંજૂરીની ફાઈનલ મોહર મારી હશે. જુદી શારીરિક સંરચના ધરાવનાર માણસો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમનો ભાવ ઉપજાવવામાં નિષ્ફળ જનાર ઝીરો ફિલ્મ ઉપર જોક્સ ને મીમ્સ બન્યા. ભારતીયોએ મોટા પડદા ઉપર નાના કદ ધરાવતા પાત્રોને ભૂતકાળમાં તો સ્વીકાર્યા હતાં. અપ્પુ રાજા તેનું જાણીતું ઉદાહરણ છે. ગેમ ઓફ થ્રોન્સમાં વામન એવા પીટર ડીંકલેજનું પાત્ર ભજવનાર કલાકાર ટાયરીન લેનીસ્ટર પણ વિશ્ર્વપ્રસિદ્ધ થયો. સરકસમાં કે જોકર તરીકે સ્વતંત્ર મનોરંજન કરનાર ઓછી શારીરિક ઊંચાઈ ધરાવનાર અમુક કલાકારો ક્યારેક ક્યારેક નજરે ચડતા હોય છે અને યાદ પણ રહી જતા હોય છે.

પણ ઈતિહાસમાં એકમાત્ર કિસ્સો એવો બન્યો છે કે એક માણસ તેની જિંદગીની શરૂઆતમાં ઠીંગુજી પણ હતો અને પછી ખલી જેટલો જાયન્ટ સાઈઝનો પણ થયો. એક જ જિંદગીમાં થોડા વર્ષના અંતરે વામન અને વિરાટ આ બંને સ્વરૂપો અનુભવ્યા હોય એવો એકમાત્ર દાખલો ઓસ્ટ્રિયાના એડમ રેનરનો છે. તેની વીસેક વર્ષ સુધી હાઈટ પાંચ ફૂટથી ઓછી હતી અને જયારે તે અવસાન પામ્યો ત્યારે તેની ઊંચાઈ હતી આઠ ફૂટથી થોડીક જ ઓછી. પોતાના કદ-કાઠીને કારણે ઈતિહાસમાં અમર થઇ જનાર આન્દ્રે ધ જાયન્ટની હાઈટ પણ સાત ફૂટ ચાર ઇંચ હતી જ્યારે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે એડમ રેનરની ઊંચાઈ સાત ફૂટને દસ ઇંચ સુધી પહોંચી ગઈ હતી!

ઓસ્ટ્રિયાના પાટનગર વિયેના શહેર પછી દેશના સૌથી મોટા પરગણા એટલે દક્ષિણમાં આવેલા સ્ટીરીયાના પાટનગર ગ્રેઝમાં એડમ રેનરનો જન્મ 1899માં થયો હતો. વિજ્ઞાન પણ કહે છે કે મમ્મી-પપ્પાની ઊંચાઈ જેટલી હોય અંદાજિત એટલી જ ઊંચાઈ તેના સંતાનોની થાય. એડમના વાલીઓની શારીરિક ઊંચાઈ સામાન્ય હતી, પણ એડમના શારીરિક ઘાંટઘૂંટ અસામાન્ય થયા. તેની હાઈટ વધતી જ ન હતી. નાનપણમાં બધા તેને ત્યાંની સ્થાનિક ભાષામાં બટકો કહીને જ બોલાવતા. પરંતુ તેના મમ્મી-પપ્પાએ તેની શારીરિક સ્થિતિને નજરઅંદાજ કરીને પ્રેમથી ઉછેર કર્યો હતો.

ઈ.સ. 1918માં એડમ અઢાર વર્ષનો થયો ત્યારે તેની ઊંચાઈ હતી ત્રણ ફૂટને સાત ઇંચ. હવે એ વર્ષે જ પહેલું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળ્યું. ત્યારે જોકે તે મહાયુદ્ધ કહેવાતું. ઘણાં બધા દેશો એક પછી એક યુદ્ધમાં શામેલ થઇ રહ્યા હતા. આમ સૈનિકોની કમી હોવાથી દેશના જુવાનોને લશ્કરમાં જોડાવવા માટે હાકલ પડી હતી. મા-બાપના લાડકવાયા એવા એડમને પણ સૈનિક બનવું હતું. પણ લશ્કરના ડૉક્ટરોએ તેની તપાસ કરી અને તે રીજેક્ટ થયો.

ડૉક્ટરોએ તેની ઊંચાઈને થોડા સમય માટે અવગણીને બધા ટેસ્ટ કર્યા પણ નાછૂટકે છેવટે સર્ટિફિકેટ આપવું પડ્યું કે ભીષણ સંગ્રામમાં ખરાખરીની લડાઈ લડી શકે તેના માટે શારીરિક સ્થિતિના માપદંડો અમુક રેન્જમાં હોવા અનિવાર્ય છે. એડમ રેનર તે રેન્જમાં ફીટ બેસતો ન હોવાથી સલામતીના ધોરણો ઉપર તેને લશ્કરમાં સ્થાન ન મળ્યું. કુદરતની ખોટને કારણે વાસ્તવિક જિંદગીમાં હારનો સામનો કરવો પડ્યો, એડમને બહુ દુ:ખ થયું.

શક્ય છે કે તે સમયે એડમે ખૂબ ઊંચાઈ ધરાવતા લોકોની ઈર્ષ્યા કરી હોય અથવા તો ભગવાનને પ્રાર્થના કરી હોય કે પોતે પણ તાડ જેટલો ઊંચો હોવો જોઈએ. ઘણી વખત આપણે પ્રાર્થના કરીએ, કશુક માંગીએ અને એ માંગણી વધુ પડતી સંતોષાઈ જાય તો કેવી વિપરીત અસર આવી શકે તેનું ઉદાહરણ આ એડમ રેનર છે. અઢાર વર્ષની ઉંમરે જયારે લશ્કરના કુશળ ડૉકટરોએ તેને 'વામન' અર્થાત ઠીંગણા માણસનો કરાર આપીને જતો કર્યો ત્યારે તેઓએ એક બાબત માર્ક નહિ કરી હોય અને કરી હશે તો ભવિષ્યની ધારણા નહિ બાંધી હોય. ચાર ફૂટની હાઈટ હોવા છતાં એડમના હાથના અને પગના પંજા બહુ મોટા હતા, જે તેના શરીરના હોર્મોનનું ઈમબેલેન્સ સૂચવતા હતા.

એડમ રેનર એકવીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તેની હાઈટ વધુ બે ઇંચ વધી હતી. પણ તે પાતળો હતો અને તેનું શરીર નબળું હતું. એકવીસ વર્ષ પછી સામાન્ય રીતે કોઈ માણસનો શારીરિક વિકાસ ન થાય, ઊંચાઈના સંદર્ભમાં. એડમ રેનરની હાઈટ એકવીસ વર્ષ પછી ડબલ સ્પીડે વધી. તે એકત્રીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો સાત ફૂટ ઉપર એક ઇંચનો તે થઇ ગયો હતો. પહેલા તે ડૉકટરોને હાઈટ વધારવાની દવા વિષે પૂછતો હતો હવે તે ડૉકટરોને હાઈટ ન વધે તેના માટે પૃચ્છા કરવા માંડેલો અને બંને પરિસ્થિતિમાં ડૉક્ટર લોબી નિરુત્તર હતી. આવો ચમત્કાર મેડિકલ હિસ્ટરીમાં ક્યાંય નોંધાયો ન હતો.

અમુક હદ કરતાં વધુ હાઈટ શરીરને નબળું કરે. ચહેરો વિચિત્ર થઇ જાય, હોઠ જાડા થાય, બે દાંત વચ્ચે જગ્યા વધી જાય. બૂટ અને કપડાં સીવડાવવા પડે એ તો હજુ સહ્ય તકલીફો કહેવાય., એડમ રેનરને પીઠમાં સતત દુખાવો થતો રહેતો હતો. ઈ.સ. 1930 માં ડૉ. વિન્ડલોઝ અને ડૉ. મેન્ડલે નિદાન કર્યું કે એડમની પીચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ છે જેને કારણે ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ અતિશય માત્રામાં થાય છે. 1931 પછી તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન જોખમી હતું પણ સકસેસફૂલ રહ્યું. જો ઓપરેશન ન કર્યું હોત તો એડમની ઊંચાઈ વધતી જ રહેતી હોત.

એડમ રેનરની કરોડરજ્જુને કાયમી ધોરણે નુકસાન થયું હતું એટલે તે સીધો ટટ્ટાર ઊભો રહી શકતો ન હતો. તેને સતત પથારીમાં સૂવું પડતું અને તેનો પીઠનો દુખાવો ક્યારેય મટ્યો નહિ. શરીર નબળું પડતું ગયું અને એકાવન વર્ષની ઉમરે 1950માં તેનું મૃત્યુ થયું. એડમ રેનરના નામે વિશ્ર્વનો એકમાત્ર વામન માણસ જે સમય જતા વિરાટ બન્યો તે રેકોર્ડ આજ સુધી બોલે છે અને અકબંધ છે. આવી રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કંડીશન ન ભૂતો ન ભવિષ્યતિ હોય છે. આપણે આવા વિક્રમથી અચંબિત થઈએ પણ નિયતિના ધણીને આખી જિંદગી જે પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હોય તેનો અંદાજ આપણને ક્યાંથી હોય?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYTtPfE1LuMGHRhALqkOUXUQNW8eM_ajaNiSxNW9Naqg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.