Wednesday, 5 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રેમ દિલથી થાય કે દિમાગથી? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેમ દિલથી થાય કે દિમાગથી?
દીપક સોલિયા


 

એક વાનરે સિંહણને કહ્યું, 'તું મને બહુ ગમે છે. શું હું તને ગમું છું?'
સિંહણ ગરજીઃ 'ચહેરો જોયો છે ક્યારેય અરીસામાં?'
વાનર બોલ્યોઃ 'ચહેરો ન જો. જીગર જો, જીગર.'

 

અલબત્ત, જોક વાહિયાત જ છે, પણ મુદ્દો સમજવામાં ઉપયોગી છે. આપણો મુદ્દો છે, નકલી હું (કાલ્પનિક સ્વ-છબિ, ઇગો). આપણે ગયા લેખમાં જોયું કે રાગ-દ્વેષથી પોષાતો નકલી હું 'છાનો' જ નથી રહેતો. આપણે ઇચ્છીએ કે વિચારો બંધ થાય તો સારું, વિચારને ચાલુ-બંધ કરવાની સ્વિચ આપણા હાથમાં હોય તો સારું, પણ વિચારો બંધ થાય જ નહીં, કારણ કે એની સ્વિચનો કંટ્રોલ નકલી હુંના હાથમાં હોય છે અને નકલી હું માણસને પળવાર પણ વિચારશૂન્ય રહેવા નથી દેતો. તો, આ સ્વિચ વિશે અને નકલી હું વિશે સમજવામાં, એક દાખલા તરીકે, પ્રણયનો મામલો બહુ ઉપયોગી છે. માણસ પ્રેમમાં પડે ત્યારે એની અંદર બે પ્રકારના અવાજ જાગેઃ દિલનો અવાજ અને દિમાગનો અવાજ. બીજી રીતે કહીએ તો, આપણે કોઈ એક જ વ્યક્તિના પ્રેમમાં પડીએ ત્યારે પણ અસલમાં આપણી અંદરના બે જણ પ્રેમમાં પડતા હોય છે. એક છે, અસલી હું અને બીજો છે નકલી હું. આ બંને પોતપોતાની રીતે પ્રેમને અનુભવે. નકલી હું અને અસલી હું વચ્ચેનો ભેદ પારખવા માટે પ્રેમ, એકરાર, ઇન્કાર, મિલન, વિરહ વગેરે સ્થિતિ બહુ ઉપયોગી છે.

 

તો, માની લો કે એક છોકરાને એક છોકરી બહુ ગમી જાય અને માની લો કે એ છોકરી આર્થિક રીતે કે રૂપની દૃષ્ટિએ બહુ ઊંચી હેસિયત ધરાવતી હોય (સમજો કે બંને વચ્ચે જોકમાં ટાંકેલાં સિંહણ-વાનર જેટલો ફ્રક હોય) તો શું પેલા છોકરાએ દરખાસ્ત મૂકવી જ ન જોઈએ? ના, દરખાસ્ત તો મૂકી જ શકાય. અલબત્ત, કશી જ ઓળખાણ વિના, સીધા સામે જઈને ધડ દઈને લગ્નની દરખાસ્ત ન મુકાય. મને એક છોકરી ગમી ગઈ એટલે એણે મને પરણવું જ જોઈએ એવું માનવું એ કેટલું મૂર્ખામીભર્યું છે એ સમજાવાની જરૂર નથી. હિન્દી ફ્લ્મિોમાં ગુંડાઓ અને રાજકારણીના દીકરાઓ આવી રીતે એકપક્ષી પ્રેમમાં પડીને હિરોઈનને હેરાન કરે એવી કિસ્સા આપણે બહુ જોયા છે. આવા કિસ્સામાં છોકરીની પાછળ પડી જનારો છોકરો વિલન ગણાય. માટે, વિલન બનવું નહીં, છોકરીની (કે છોકરીએ છોકરાની) પાછળ પડી જવું નહીં. તમને કોઈ ગમી ગયું એ તમારો 'પ્રોબ્લેમ'છે. તમે એને ગમો છો કે નહીં એ બહુ મહત્ત્વનું છે. આગ બંનેે તરફ્થી લાગવી જોઈએ.

 

માટે, સામે પક્ષે આગ કે આછેરો તણખો છે કે નહીં એ ચેક કરવા ફ્ક્ત એકાદ વાર હળવેકથી પૂછી લેવું, 'તને મારામાં રસ છે?' એટલું નક્કી છે કે પૂછવાની રીત યોગ્ય હશે તો છોકરી સેન્ડલ નહીં મારે કે છોકરો મજાક નહીં ઉડાવે. 'પૈસા' પૂછવાની રીતના છે. માટે, એકદમ સારી રીતે પૂછી લેવાનું અને વ્યવસ્થિત પ્રપોઝલ મૂક્યા પછી પણ સામેનું પાત્ર જો ના પાડે કે સહેજ પણ ખચકાટ દાખવે તો ખેલદિલીપૂર્વક એનો ઇન્કાર સ્વીકારી લેવાનો અને એનો પીછો કરવાનું છોડી દેવાનંું. પછી ફ્રી કોઈ અન્ય પાત્ર પ્રત્યે દિલમાં આગ લાગે તેની (અથવા મા-બાપ છોકરી કે છોકરો દેખાડે એની) શાંતિથી રાહ જોવી અને એ દરમિયાન પેલા જૂના કિસ્સા વિશે એમ વિચારીને રાજી થવું કે 'વાહ, મેં કમસે કમ પૂછી તો લીધું. હું ડરીને બેસી તો ન રહ્યો.'

 

તમારી આસપાસમાં એવા ઘણા લોકો હશે (તમારો પોતાનો કિસ્સો પણ એવો હોઈ શકે) કે જુવાનીમાં કોઈ ગમી તો ગયું હોય, પણ એને પૂછી ન શકાયું હોય. પછી જિંદગીભર અંદર કાંટો ખૂંચ્યા કરેઃ 'પેલીને (પેલાને) એક વાર પૂછી લીધું હોત તો સારું હતું.' આ સ્થિતિથી બચવા માટે વ્યવહારેષુ અને આહારેષુની જેમ પ્રેમેષુ પણ સ્પષ્ટવક્તા બનવું સારું.

કેટલી સાદી વાત છે!

 

પણ આપણે સૌ જાણીએ છીએ કે પ્રણયનો (ખાસ તો પ્રણયભંગનો) મામલો આટલો સાદો નથી હોતો. જ્યારે સામેની પાર્ટી ના પાડે અને ક્યારેક તો પ્રેમના પંથ પર થોડી સફ્ર ખેડી લીધા પછી પણ પાર્ટી ફ્રી જાય… આવા સંજોગોમાં દુઃખ તો થાય. આ દુઃખ શું ફ્ક્ત નકલી હુંને એટલે કે ઇગોને જ થાય? અસલી હુંને, દિલને, આપણી અંદર વસતા એક સહજ-નિર્દોષ માનવપ્રાણીને દુઃખ થાય જ નહીં? થાય, પ્રણયભંગના કિસ્સામાં માત્ર ઇગો જ નહીં, દિલ પણ હર્ટ થાય. આવામાં, દિલનો અવાજ અને ઇગોનો અવાજ જો અલગ તારવી શકાય તો અસલી હું અને નકલી હું વચ્ચેનો ફ્રક બહુ સારી રીતે સમજી શકાય. એટલે આપણે એકરાર-ઇનકારની આ જફમાં ઊંડા ઊતરી રહ્યા છીએ.

 

તો સવાલ એ છે કે છોકરો કે છોકરી પ્રેમની ઓફ્ર ઠુકરાવી દે ત્યારે કેવા કેવા રિએક્શન્સ આવે? (અહીં છોકરા-છોકરી વચ્ચે ઝાઝો ભેદ કરવાની જરૂર નથી. રિએક્શન્સ બંનેમાં આવે, પણ અહીં આપણે ફ્ક્ત છોકરાની વાત કરીએ, જેથી મને લખવામાં અને તમને સમજવામાં સરળતા રહે). કોઈ છોકરાની પ્રણય-દરખાસ્ત છોકરી ઠુકરાવી દે ત્યારે અમુક છોકરા આવું પણ વિચારેઃ 'એણે ના પાડી? મને ના પાડી? મને? મારા જેવું એને બીજું કોણ મળવાનું હતું? એની આ મજાલ? બહુ ગુમાન છે એને પોતાના રૂપનું. આવવા દે લાગમાં. સીધીદોર કરી દઈશ. મારીશ… મારી નાખીશ… ચહેરા પર એસિડ રેડી દઈશ…'

 

આવો આછો-અમસ્તો વિચાર આવે તો પણ એ ગુનો છે. કાયદાની દૃષ્ટિએ ગુનો છે, માનવતાની દૃષ્ટિએ ગુનો છે, ઇશ્વરની દૃષ્ટિએ ગુનો છે. માટે, આવો જરા અમસ્તો વિચાર આવે કે ઇવન ઊંઘમાં આવું સપનું આવે તો પણ પ્રાયશ્ચિતરૂપે બે નકોરડા ઉપવાસ ખેંચી કાઢવા.

 

આવા નકારાત્મક વિચારો પાછળ સોએ સો ટકા એક જ ચીજ કારણરૂપ હોય છેઃ નકલી હું, ઇગો. આ ઇગો જ્યારે હર્ટ થાય ત્યારે બદલો લઈને, સામેવાળાને પાડી-પછાડી-હેરાન કરીને પોતાને રાજી કરવા મથતો હોય છે. ઇગો પોતાના ઘા પર મલમ લગાડવા વેર વિશે વિચારવા પ્રેરાતો હોય છે. ટૂંકમાં, પ્રણયભંગ પછી જાગતી બદલાની ભાવના અસલી હુંનું નહીં, નકલી હુંનું રિએક્શન છે એટલું ખાસ સમજી લેવું.

 

કેટલાક કિસ્સામાં માણસ પ્રણયભંગ બાદ છોકરી પ્રત્યે ઉગ્ર બનવાને બદલે છોકરો આત્મદયાના કૂવામાં ખાબકેઃ 'મારું તો નસીબ જ ખરાબ છે. ગમ હી મેરા સાથી, ગમ હી મેરી મંઝિલ… લોકો મને પગલૂછણિયાંની જેમ વાપરી જાય છે… જિંદગીમાં કંઈ કસ કાઢી લેવાનો નથી… ચાલ, ખૂબ દારુ પીઉં… ચાલ, મરી જાઉં.'

 

આ પણ નકલી હુંનો જ કકળાટ છે. આવા કકળાટનું ઉત્તમોત્તમ ઉદાહરણ છે પેલો દેવદાસ. ગમતી છોકરી સાથે લગન ન થયું એમાં તો ભાઈ દરૂ પી પીને ખતમ થઈ ગયા. તો શું દેવદાસ બહુ ઇગોઇસ્ટિક હતો? એનો નકલી હું બહુ બળુકો હતો?

 

વિચારો… પ્રેમમાં નિષ્ફ્ળતા મળે ત્યારે ઇગો કેટલો હર્ટ થાય અને દિલને કેટલું દર્દ થાય? પ્રેમની અનુભૂતિમાં દિલનું પ્રમાણ કેટલું અને દિમાગની ભૂમિકા કેટલી? પ્રેમમાં અસલી હું શું અનુભવે અને નકલી હું શું વિચારે? પ્રેમ દિલનો ખેલ છે કે દિમાગનો કે બંનેનો? જાતે વિચારો… સહ-વિચારણા આગળ વધારીશું, આવતા લેખમાં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsnZ%2BW-UYUxhDnAGJwJpiDyj7QVnfxpfQo8BJT1zcLF6Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment