Saturday, 27 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિશ્વમાં ટીબીના સૌથી વધુ દરદીઓ ભારતમાં છે એનું શું કારણ છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્વમાં ટીબીના સૌથી વધુ દરદીઓ ભારતમાં છે એનું શું કારણ છે?
જિગીષા જૈન

 

ગીચતા, ગંદકી અને જાગૃતિનો અભાવ જેવાં કારણોની સાથે-સાથે બીજાં પણ કેટલાંક કારણો છે જેને લીધે ભારતમાં ટીબીનું પ્રમાણ વધુ છે. જેમકે વધતું કુપોષણ, ડાયાબિટીઝના દરદીઓનો અતિરેક, સ્મોકિંગ અને આલ્કોહૉલ જેવી કુટેવો અને HIV તથા કૅન્સર જેવા ઇમ્યુનિટીને ઘટાડનારા રોગો પણ ટીબીનો વ્યાપ વધારવામાં ભાગ ભજવી રહ્યા છે.

 

આજે વર્લ્ડ ટીબી ડે છે. દુનિયાભરમાં મૃત્યુના પહેલાં દસ કારણોમાં ટીબીનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ ૨૦૧૫માં ૧૦.૪ મિલ્યન લોકો ટીબીગ્રસ્ત બન્યા હતા, જેમાંથી ૧.૮ મિલ્યન લોકો મૃત્યુ પામ્યા હતા એટલું જ નહીં, ૨૦૧૫માં ૧ મિલ્યન બાળકોને ટીબી થયો હતો જેમાંથી ૧,૭૦,૦૦૦ બાળકો મૃત્યુ પામ્યાં હતાં. મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી જેને વકરેલો ટીબી પણ કહી શકાય એવા રોગનો ભોગ બનનારા લોકોની સંખ્યા ૪,૮૦,૦૦૦ હતી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ ટીબીને રોકવાના અઢળક પ્રયત્ïનો છતાં ૨૦૦૦ની સાલથી દર વર્ષે ટીબીના દરદીઓમાં ૧.૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે પૂરતો નથી. આદર્શ પરિસ્થિતિ એ છે કે દર વર્ષે આ સંખ્યામાં ૪-૫ ટકાનો ઘટાડો થાય અને ૨૦૩૦ સુધીમાં ટીબીથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી શકીએ. આજ સુધીના પ્રયત્ïનોથી ૨૦૦૦થી લઈને ૨૦૧૫ સુધીમાં દુનિયાભરમાં ૪૯ મિલ્યન લોકોને આ રોગથી બચાવી શકાયા છે. દુનિયામાં જોવા મળતા ટીબીના કુલ દરદીઓના ૬૦ ટકા જેટલા દરદીઓ ફક્ત ભારત, ઇન્ડોનેશિયા, ચાઇના, નાઇજીરિયા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા જેવા ૬ દેશોમાં છે. આ ૬ દેશોમાં પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં સૌથી વધી ટીબીના દરદીઓ ભારતમાં છે. આ જાણીને એક સવાલ તો ચોક્કસ આપણને થાય કે આખી દુનિયામાં ફક્ત આપણે જ કેમ પહેલા નંબરે છીએ? એવું શું છે જેને કારણે ભારતમાં આ રોગ આટલો ફેલાયો છે? કયા પ્રકારની વ્યક્તિઓને આ રોગ થાય છે? કોના પર આ રોગ થવાનું રિસ્ક વધુ રહે છે? આ બધા જ પ્રfનોનો જવાબ આજે મેળવીએ.

 

ચેપી રોગ
ટીબી એક બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે લગભગ દરેક ભારતીયના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યું જ હશે એનું કારણ છે કે આપણે ત્યાં ટીબીના દરદીઓ વધુ છે એટલે એના જીવાણુ ખૂબ વધારે પ્રમાણમાં છે. ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ માધ્યમથી એ આપના શ્વાસ દ્વારા શરીરમાં જતા જ રહ્યા હોય એમ બની શકે છે, પરંતુ એ શરીરમાં ગયા એટલે ટીબી થયો એવું હોતું નથી. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ આ જીવાણુ સામે લડી નથી શકતી એને આ રોગ થાય છે, બાકી જેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તેને આ રોગ થતો નથી. આ રોગ મોટા ભાગના કેસમાં ફેફસાં પર જ અસર કરે છે, પરંતુ એવું જરૂરી નથી, બીજાં અંગો પર પણ અસર કરી શકે છે. ભારતમાં ફેલાયેલી ગંદકી, હાઇજીનનું ઓછું પ્રમાણ, જાગૃતિનો અભાવ, ગીચ વસ્તી વગેરે કારણોને લીધે આપણા દેશમાં આ રોગનું પ્રમાણ વધુ છે એમ કહી શકાય; કારણ કે ટીબી એક ચેપી રોગ છે અને ચેપી રોગના ફેલાવા માટે આ બધાં પરિબળો ઘણાં મહત્વનાં ગણાય છે.

 

ડાયાબિટીઝ અને ટીબી
જેમ દુનિયામાં સૌથી વધુ ટીબીના દરદીઓ ભારતમાં છે એમ સૌથી વધુ ડાયાબિટીઝના દરદીઓ પણ ભારતમાં જ છે અને આ બન્ને રોગ વચ્ચે સીધો સંબંધ છે જે વિશે વાત કરતાં ઝેન હૉસ્પિટલ-ચેમ્બુરના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અરવિંદ કાટે કહે છે, 'ડાયાબિટીઝ એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે, જેને લીધે કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન થવાની શક્યતા આ દરદીઓમાં વધી જાય છે. ટીબી પણ એક ઇન્ફેક્શન જ છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં એક ડાયાબિટીઝના દરદીને ટીબી થવાની શક્યતા ૧૦ ગણી વધુ હોય છે એટલું જ નહીં, આ દરદીઓને જ્યારે ટીબી થાય છે ત્યારે તેમનો ઇલાજ અત્યંત કઠિન બને છે, કારણ કે ડાયાબિટીઝને લીધે તેમનું ઇન્ફેક્શન જલદી કાબૂમાં નથી આવતું અને એનાથી ઊલટું ટીબીને કારણે તેમની શુગરને કન્ટ્રોલમાં રાખવી અઘરી બની જાય છે. એક ડાયાબિટીઝના દરદીએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કે તેને આ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે, કારણ કે એને ઠીક થતાં એક સામાન્ય વ્યક્તિ કરતા લગભગ બમણો સમય લાગે છે.'

 

સ્મોકિંગ અને ટીબી
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ તમાકુ એ ટીબી થવા માટેનું અને એને કારણે થતા મૃત્યુ માટેનું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર છે. દુનિયાભરમાં ૨૦ ટકા ટીબીના કેસ સ્મોકિંગને કારણે થાય છે. ભારત તમાકુના ઉત્પાદનમાં જ નહીં એના ઉપયોગમાં પણ ઘણું જ આગળ છે. આ બાબતે વાત કરતાં બૉમ્બે હૉસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી નેને કહે છે, 'તમાકુને કારણે ટીબી થવાનંક રિસ્ક તમાકુનું સેવન કરતા લોકોમાં સામાન્ય વ્યક્તિઓ કરતાં અઢી ગણું વધી જાય છે. સ્મોકિંગ કે તમાકુનું સેવન એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે એટલે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સિવાય તમાકુનું સેવન ફેફસાંને નબળાં કરે છે જેને લીધે ઇન્ફેક્શનની અસર ફેફસાં પર થવાની શક્યતા વધુ રહે છે. આ સિવાય આલ્કોહૉલ પણ ઘણે અંશે ટીબી માટેનું રિસ્ક વધારે છે.'

 

HIV અને ટીબી
ટીબી જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમના પર ગંભીર અસર કરે છે. કૅન્સર અને એનો ઇલાજ એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે જેને લીધે આ દરદીઓમાં ટીબીનું રિસ્ક ઘણું વધારે હોય છે. ણ્ત્સ્માં પણ આ જ તકલીફ રહે છે. HIV અને ટીબી વચ્ચેનો સંબંધ જણાવતાં દહિસરના ફૅમિલી ફિઝિયન ડૉ. સુશીલ શાહ કહે છે, 'ભારતમાં HIVના દરદીઓને ટીબી થવાનું પ્રમાણ ઘણું વધારે છે. સૌથી ગંભીર બાબત એ છે કે ભારતમાં HIVનો દરદી AIDS ઓછો અને ટીબીથી વધુ મરે છે, કારણકે ટીબીની જે દવાઓ નૉર્મલ લોકોને જેટલી જલદીથી અસર કરે છે એટલી જલદીથી HIVના દરદીને અસર નથી કરતી, કારણ કે એ દવાઓ જંતુને મારે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી એ જંતુઓ શરીરમાં ખૂબ ઝડપથી વધે છે એટલી ઝડપથી દવાઓ એને મારી શકતી નથી. આમ HIVના દરદીને ટીબી થાય તો તેની બીમારી લાંબી ચાલે છે અને મૃત્યુ થવાની શક્યતા નૉર્મલ લોકો કરતાં વધુ રહે છે.'

 

કુપોષણ અને ટીબી
ભારતમાં કુપોષણનો શિકાર લગભગ ૫૦ ટકા લોકો છે. ગરીબ લોકોને પૂરતો પોષણયુક્ત ખોરાક મળતો નથી માટે એ લોકો કુપોષિત છે અને સધ્ધર લોકોને પોતાનું ધ્યાન રાખવાનો સમય નથી માટે એ લોકો કુપોષિત છે. આ બાબતને સ્પક્ટ કરતાં ડૉ. અરવિંદ કાટે કહે છે, 'આજે ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે સ્ટ્રેસમાં જીવે છે, સમયપર ખોરાક ખાઈ શકતો નથી અને શાંતિથી ૮ કલાક સૂઈ શકતો નથી. આવા વર્ગમાં કુપોષણ હોવાની શક્યતા ઘણી વધારે રહે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી ઓછી હોય છે. તેમને આ રોગ થવાની શક્યતા ઘણી વધારે છે. એક સમય હતો જ્યારે ટીબીને ફક્ત ગરીબોનો રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે એવું રહ્યું નથી.'

 

આપણાં બાળકોને ખતરો
ભારતમાં ટીબી ખૂબ ફેલાયેલો છે અને બાળકોને જન્મતાંવેંત જ BCG વૅક્સિન આ ટીબીથી બચવા માટે જ આપવામાં આવે છે છતાં આપણે ત્યાં કેટલાં બાળકો એવાં છે જે ટીબીનો ભોગ બની રહ્યાં છે. તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે નાનાં બાળકોમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. અમિતા દોશી નેને કહે છે, 'નવજાત બાળકો અને ખાસ કરીને બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં ટીબી થવાનું રિસ્ક ઘણું વધારે હોય છે, કારણ કે હજી તેમની રોગપ્રતિકારક શક્તિ વિકસી નથી હોતી જેને લીધે તેમના શરીરમાં રહેલું ઇન્ફેક્શન સીધું રોગમાં પરિણમી જતું હોય છે એટલું જ નહીં, એ એકમાંથી બીજા અંગમાં જલદી ફેલાઈ જતું હોય છે. બે વર્ષથી નાનાં બાળકો જો ટીબીના દરદીના સંપર્કમાં આવ્યાં તો એમાંથી ૬૦થી ૮૦ ટકા બાળકોને ચોક્કસ ટીબી થતો હોય છે. માટે તેમની કાળજી લેવી અત્યંત જરૂરી છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot-zSFaPn0fSJXetDHwC-NsWrgKTjw_qf%2Bu7-DLfJ9tEg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment