Tuesday 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યજ્ઞથેરાપી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યજ્ઞથેરાપી: તન, મન સાથે વાતાવરણને પણ સ્વસ્થ રાખતી એક માત્ર ચિકિત્સા!
મેડિકલી યોર્સ -મુકેશ પંડ્યા

 

 

નવરાત્રિમાં થતા આઠમના યજ્ઞને આપણા વેદોએ શ્રેષ્ઠ કર્મ ગણાવ્યું છે. યજ્ઞને રૂપિયાની બરબાદી ગણીને તેનો વિરોધ કરતાં લોકોએ એટલું જાણી લેવું જોઇએ કે યજ્ઞ એ વેસ્ટ નથી પણ ઇન્વેસ્ટ છે.

 

આજના આધુનિક વિજ્ઞાને પણ માન્યતા આપેલા હોમિયોપેથીમાં દ્રવ્યના સૂક્ષ્મીકરણને સૌથી વધુ અસરકારક ગણાવ્યું છે. જેમ દ્રવ્યનો કણ સૂક્ષ્મ થતો જાય તેમ તેનો પાવર પણ વધતો જાય છે. જેમ કે હોમિયોપેથીની દવાઓમાં 6 ડ્ઢ , 30 ડ્ઢ, 60 ડ્ઢ, 200 ડ્ઢ વગેરે પાવરોમાં ઉત્તરોત્તર તેમાં રહેલા ઔષધિ દ્રવ્યના કણ સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતો જાય છે અને તે ઔષધિની શરીરમાં અસરકારકતા પણ એટલી જ વધતી જાય છે. આ જ સૂક્ષ્મીકરણના સિદ્ધાંત પર ઘન પદાર્થને અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાયુ સ્વરૂપના કણોમાં ફેરવી સમગ્ર વાતાવરણને તે પદાર્થના ગુણોનો લાભ આપવાની પ્રક્રિયા એટલે યજ્ઞ.

 

સ્થૂળ પદાર્થ કરતાં તે જ પદાર્થના વાયુ સ્વરૂપની અસર વધુ શક્તિશાળી હોય છે. તમાકુ ખાનારી વ્યક્તિને જ કૅન્સર થવાની શક્યતા છે, પણ સિગારેટ કે બીડી પીનાર તો આસપાસની વ્યક્તિઓને પણ આ રોગ ભેટમાં આપી શકે છે. કારણ કે સિગારેટ અને બીડી પીનારી વ્યક્તિએ મોઢામાંથી બહાર કાઢેલો ધુમાડો જેના જેના શ્ર્વાસમાં જાય છે તે બધાને પણ કેન્સર થવાની શક્યતા તે પીનારી વ્યક્તિ જેટલી રહેલી છે એમ નિષ્ણાત ડોક્ટરો હવે તો ચેતવણી સાથે કહે છે. આપણે રોજબરોજના અનુભવથી પણ જાણી શકીએ છીએ કે શરદીમાં શરીરે બામ લગાડો તેના કરતાં ગરમ પાણીમાં થોડો બામ નાખી તેની વરાળ લો તો વધુ અસરકારક બને છે. દમ જેને ચડે તેને દવા કરતાં પમ્પ દ્વારા સૂક્ષ્મ દવા લેવાથી તુરંત તેની અસર થઇ દમનો હુમલો અટકી જાય છે. પાણી વડે ચામડી સ્વચ્છ કરીએ તેના કરતાં આજના આધુનિક સ્ટિમ બાથ (વરાળ સ્નાન) લેવાથી ચામડી વધુ ચોખ્ખી મુલાયમ અને તેજસ્વી બને છે.

 

તમે કોઇ પણ સાત્ત્વિક અને પૌષ્ટિક પદાર્થ આરોગો છો તો તેના ગુણધર્મનો લાભ તમને એકલાને જ થાય છે. એ જ પદાર્થની આહૂતિ યજ્ઞમાં આપી તેનું વાયુમાં રૂપાંતર કરી તેના ગુણધર્મના લાભ ત્યાં હાજર રહેલા સગાં-સંબંધીઓ તેમ જ આજુબાજુમાં રહેલા દરેક મનુષ્યો, પશુપંખીઓ અને વનસ્પતિઓને પણ પહોંચાડી શકીએ છીએ માટે જ શાસ્ત્રોમાં યજ્ઞને સમાજકલ્યાણનું કાર્ય કહેવાયું છે.

 

આપણે દિવસમાં બે કે ત્રણ વાર ભોજન લઇએ છીએ પાણી બહુ બહુ તો આઠ દસ વાર પીએ છીએ, પરંતુ હવા વગર એક પળ પણ નથી રહી શકતા. રાત્રે ખોરાક પાણી બંધ હોય ત્યારે પણ શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલુ જ હોય છે, આમ પૂરા 24 કલાક દરમિયાન 21,600 વાર શ્ર્વાસ વડે હવા શરીરની અંદર લઇએ છીએ. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આપણે ખાવાપીવાની શુદ્ધતાની જેટલી દરકાર કરીએ છીએ તેટલી ચિંતા પળે પળે શરીરમાં જતી હવાની શુદ્ધતા માટે કરતાં નથી. ખોરાક કે પાણી લેવા ઉપર મનુષ્યનો સંયમ છે, જ્યારે હવા ગમે તેવી શુદ્ધ કે અશુદ્ધ હોય જાણે અજાણે જાગૃત અવસ્થામાં કે નિદ્રા અવસ્થામાં ફરજિયાતપણે લેવી જ પડે છે. હવામાં એટલી તાકાત હોય છે કે કોઇ રોગિષ્ઠ માણસને શુદ્ધ હવાખાવાના સ્થળે મોકલ્યો હોય તો તે નિરોગી બની શકે છે. જે કામ દવા નથી કરી શકતી એ કામ હવા કરી શકે છે. અફસોસની વાત એ છે કે વિદેશીઓથી અંજાઇ ગયેલી લાઇફ સ્ટાઇલવાળા સમાજમાં ખાવાપીવા અને મોજ કરવાની આજુબાજુ લોકોનું જીવન કેન્દ્રિત થયેલું છે. એનું કારણ પણ એ છે કે હવા આપણને સહજ રીતે મળી જાય છે. એટલે તેની કિંમત સમજાતી નથી, પરંતુ તેનું મૂલ્ય આપણા ઋષિમુનિઓને હજારો વર્ષ પૂર્વે સમજાઇ ચૂક્યું હતું એટલે જ જન્મથી લઇ મૃત્યુ સુધીમાં સોળ સંસ્કારોમાં યજ્ઞને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.

 

આજે લોકો જન્મદિવસ કે લગ્નતિથિ જેવા વિવિધ દિવસોમાં ખાવાપીવાની પાર્ટી રાખી મનફાવે તેવા ખર્ચા કરે છે, પરંતુ શાસ્ત્રોક્ત સંસ્કાર ક્રિયાઓમાં કરકસર કરે છે. જેમ કે લગ્નને અગ્નિની સાક્ષીએ કરવાને બદલે કોર્ટમાં કરી લેવાની હિમાયત હવે વધુ લોકો કરી રહ્યા છે. શ્રાદ્ધ ક્રિયામાં પણ ઘણા લોકો શોર્ટકટની રીત અપનાવવા લાગ્યા છે. આમ આપણે અનેક ધાર્મિક પ્રસંગોમાં હોમ-હવન ટાળવાની રીત અપનાવી રહ્યા છીએ તેથી યજ્ઞથી થતા લાભોથી વંચિત રહી જઇએ છીએ. ચોમાસાના ચાર મહિનામાં વરસાદની સાથે આપણને મચ્છર તેમ જ મચ્છરથી થતા રોગ પણ ભેટમાં મળતા હોય છે, જેમ કે મલેરિયા, વિષમજ્વર, ચિકનગુનિયા વગેરે આ ઉપરાંત ભેજવાળી હવાના કારણે શરદી, ખાંસી, તાવ, દમ વગેરે રોગ થવાની શક્યતા વધી જાય છે. એમાં પણ ભાદરવો આસોની શરદઋતુ વધુ રોગિષ્ઠ હોય છે. આ બધી સમસ્યાથી પિડાઇને શક્તિહિન થયેલો મનુષ્ય નવરાત્રિમાં શક્તિની ઉપાસના કરે અને આઠમના દિવસે હવન કરે તો એમાં તેનું પોતાનું તેમ જ સમાજનું કલ્યાણ કરે છે. જરૂર છે ફક્ત શુદ્ધ દ્રવ્યોની, શુદ્ધ મંત્રોચ્ચારણોની અને શુદ્ધ ભાવનાની. આપણે કોઇ પ્રસંગ ઊજવતા હોઇએ ત્યારે યજમાનોનું ધ્યાન પૂજા-હવન કરતાં ખાવા- ખવડાવવાની બાબતમાં વધુ હોય છે. બસો કે પાંચસો રૂપિયાવાળી થાળીઓ જમાડીને વટ પાડતો માણસ પૂજા-હવનમાં વપરાતાં દ્રવ્યો તાજાં છે કે વાસી, સારાં છે કે સડેલાં તે જાણવાની તસ્દી લેતો નથી. ઘણા લોકો તો આ ક્રિયા માટે સસ્તામાં સસ્તો માલ શોધે છે. ઘણા લોકો તો દુકાનદારને કહેતા હોય છે કે કંઇ સસ્તો માલ આપજો ખાલી પૂજા માટે જ જોઇએ છે. એનાથી આગળ વધીને કેટલાક લોકો તો પૂજાપાઠનો સામાન લાવવાની જવાબદારી મહારાજ પર નાખી દેતા હોય છે. ત્રણ ત્રણ કેટરર્સને ચકાસીને ચોથા કેટરર્સને ભોજન માટે નક્કી કરીને પોરસાતા માણસો મહારાજ કે યજ્ઞ દ્રવ્યની પસંદગી બાબતમાં ચોથા ભાગની તસ્દી પણ લેતા નથી. આવાં દ્રવ્યો અને આવી ભાવનાથી કરેલા યજ્ઞો અગર ન ફળે એ યજ્ઞનો નહીં આપણો દોષ છે.

 

યજ્ઞમાં વપરાતાં દ્રવ્યોની પણ ઋષિમુનિઓએ વૈજ્ઞાનિક દૃષ્ટિ રાખીને પસંદગી કરી છે તેની વિગત આપણે જોઇએ.

 

ગાયનું ઘી: ઘી પચવામાં ભારે હોય છે, તેથી તે શરીરમાં ભળતાં સમય તો વધુ લાગે છે ઉપરાંત તે પૂરેપૂરું પણ શરીરમાં ભળી શકતું નથી. જ્યારે ઘીનું વાયુ સ્વરૂપ શ્ર્વાસોચ્છ્વાસ દ્વારા રક્તમાં સીધું ભળી જાય છે અને આની સારી ઔષધીય અસર જલ્દી થાય છે. વધુ પડતું ઘી ખાવાથી ચરબી વધી જાય છે તેવો ભય રાખતા લોકો પણ ઘીના સૂક્ષ્મ સ્વરૂપને શ્ર્વાસમાં લે તો તે ઘી ખાવાથી મળતા લાભો ચરબી વધવાના ભય વગર મેળવી શકે છે. ગાયના ઘીને બાળવાથી ફેલાતાં વાયુઓમાં સૌથી વધુ ઔષધિ તત્ત્વો હોય છે. ગાયના ઘીની આહૂતિથી ઉત્પન્ન થતા વાયુઓ અમૃત જેવી અસર ઉત્પન્ન કરે છે, આવું શાસ્ત્રોમાં લખ્યું છે.

 

સાકર: સાકરની ચાસણીમાં બનાવેલા મુરબ્બા કે અથાણાં ઘણાં લાંબો સમય સુધી બગડતાં નથી કારણ કે અગ્નિથી પકવેલી સાકરની ચાસણી, ફૂગ કે વિષાણુઓને દૂર રાખે છે. આજ ગુણ અગ્નિ વડે બનેલા સાકરના સૂક્ષ્મ સ્વરૂપમાં વધુ શક્તિશાળી બની વાતાવરણમાં રહેલા વિષાણુઓને દૂર કરે છે. શ્ર્વાસોચ્છ્વાસ દ્વારા શરીરમાં જઇને મધુપ્રમેહના દર્દીને પણ કોઇ આડઅસર વગર શક્તિ પ્રદાન કરે છે.

 

જવ-તલ: જવ-તલમાંથી ઉત્પન્ન થતો વાયુ વાયુનાશક હોવાથી શિયાળામાં થતા વાયુકારક રોગોથી બચી શકાય છે. વધુમાં જવ-તલ અને ઘીના સંયોજનથી ઉત્પન્ન થતો વાયુ ત્રિદોષશામક બની જાય છે તે તમારા શરીરમાં કફ, વાયુ અને પિત્તનું સમતુલન જાળવી રાખે છે. આમાં કાળા તલ વધુ ઔષધિ ગુણ ધરાવે છે.

 

ચોખા: ચોખા અને ઘી સાથેના સંયોજનથી ઉત્પન્ન વાયુ મગજને વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ બનાવે છે અને આજુબાજુના વાતાવરણને પોઝિટિવ તરંગોવાળું બનાવે છે.

 

કપૂર: ઝડપથી સળગી ઊઠતા કપૂરનો વાયુ વાતાવરણમાં રહેલા કનિષ્ઠ આત્માને દૂર ભગાડે છે. વાતાવરણને પવિત્ર બનાવે છે. ઘરમાં કપૂર સવાર-સાંજ બાળવાથી ઘરના દરેક સભ્યો વચ્ચે એકરૂપ વિચાર કે મનમેળ થવામાં મદદરૂપ થાય છે.કપૂર શ્ર્વસન અને રૂધિરાભિસરણ તંત્રને કાર્યક્ષમ બનાવી હદયને બળ આપે છે. 'આજના ટેન્શનયુગમાં તેની ખાસ જરૂર છે.

સુગંધિત દ્રવ્યો: ગૂગળ, ચંદન, અંબર, કસ્તૂરી, લવિંગ, એલચી,અગર, તગર, કેશર વગેરે અનેક સુગંધીદ્રવ્યો હવનમાં હોમાય છે. સુગંધ ફક્ત મનુષ્યને જ નહીં પણ દેવોને પણ ખૂબ પ્રિય હોય છે. જુદા જુદા પદાર્થની સુગંધ મનને તો પ્રફુલ્લિત કરે છે સાથે શરીરના અનેક રોગ પણ દૂર કરે છે.

 

આજકાલ વધુ પ્રચલિત થઇ રહેલી એરોમાથેરપીમાં પણ વિવિધ પ્રકારની સુગંધોનો ઉપયોગ થાય છે. જુદા જુદા રોગ ઉપર જુદી જુદી સુગંધીઓનો ઉપયોગ કરી તનમનને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન થાય છે. આ બધી ક્રિયા બંધ ઓરડામાં જે વ્યક્તિ કરતી હોય તેને જ ફાયદો થાય છે, જ્યારે યજ્ઞમાં આ સિદ્ધાંતથી અનેક લોકોને ફાયદો મળે છે.

 

સૂકા મેવા: અંજીર, દ્રાક્ષ, ખારેક, બદામ, કાજુ વગેરે સૂકામેવામાંથી નીકળતો વાયુ તન અને મનને તુષ્ટ અને પુષ્ટ કરનારો છે.

 

શ્રીફળ: યજ્ઞના અંતે નારિયેળ હોમવાની પ્રથા છે તે પણ વૈજ્ઞાનિક છે કારણ કે સમગ્ર પૃથ્વી પરનું આ પહેલું ફળ-કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે. નાળિયેરનું તેલ અગ્નિમાં બળતાં વાયુ ઉત્પન્ન કરી શરીરને પુષ્ટ તો કરે જ છે, પરંતુ તેની ઉપર રહેલા છોતરાં પણ વાયુ સ્વરૂપમાં અનેક રોગોનો નાશ કરે છે. નાળિયેર તો એટલું શ્રેષ્ઠ ફળ છે કે માત્ર યજ્ઞમાં જ નહીં કોઇ પણ શુભકાર્યમાં વાપરવામાં આવે છે. તેની વિશેષ માહિતી આપણે આગામી પ્રકરણોમાં જોઇશું.

 

ગાયનું છાણ : યજ્ઞમાં બળતણ તરીકે ગાયના છાણનો ઉપયોગ થાય છે. તેમાંથી ઉત્પન્ન થતો વાયુ જે વાતાવરણમાં ફેલાયેલા કિટાણુંઓનો નાશ કરે છે અને વાતાવરણને પવિત્ર અને પ્રદૂષણમુક્ત કરે છે.

 

વનસ્પતિની સમિધાઓ: યજ્ઞમાં હોમાતી વનસ્પતિઓમાંથી નીકળતા વાયુઓ શરીર પર ઔષધીય અસર ઉપજાવે છે. આંકડાની સમિધામાંથી નીકળતો વાયુ દમના રોગમાં ફાયદો કરે છે. અપામાર્ગ (અંઘેડો)ની સમિધામાંથી નીકળતો વાયુ શરદી -ખાંસી દૂર કરે છે. પીપળો અને ખાખરાની સમિધા, માનસિક શક્તિઓ વધારવામાં મદદ કરે છે. ખેરની સમિધામાંથી નીકળતો વાયુ શરીરમાં ઠંડક પહોંચાડે છે. દર્ભ અને દુર્વામાંથી નીકળતો વાયુ વાતાવરણને શુદ્ધ બનાવે છે. આમ અનેક પ્રકારની ઔષધિયુક્ત વનસ્પતિઓની સમિધાઓ આરોગ્યદાયક અને શુદ્ધ વાયુ મંડળનુ નિર્માણ કરે છે. આવી શુદ્ધ હવા જે જે મનુષ્ય શ્ર્વાસમાં લે છે તેમના શરીર રોગોથી મુક્ત બની બળ અને બુદ્ધિમાં વધારો થાય છે.

 

ઔષધિ દ્રવ્યો અને પૌષ્ટિક પદાર્થોથી જેટલી વ્યક્તિને તંદુરસ્ત બનાવી શકતી હોય તેનાથી અનેકગણા લોકોને દ્રવ્યોને વાયુરૂપે સૂક્ષ્મ કરી વધુ શક્તિશાળી બનાવી લાભ પહોંચાડી શકાય છે. આ ઉપરાંત આજુબાજુના પ્રાણીઓ અને વનસ્પતિઓને જે ઔષધિયુક્ત અને જીવન પોષક વાયુ મળે તે તો નફામાં. આમ યજ્ઞ વડે અનેક મનુષ્ય સહિત જીવસૃષ્ટિના અન્ય જીવોને પણ લાભ મળે છે. તદ્ઉપરાંત આપણને આ જિંદગીમાં જેમણે શ્ર્વાસ આપ્યો (વાયુદેવ), જેમણે પાણી આપ્યું (વરુણ દેવ), જેમણે પ્રકાશ અને આંખમાં તેજ આપ્યું (સૂર્ય દેવ), જેમણે અંગોમાં શક્તિ આપી (જગદંબા દેવી) અને જે જગતની ઉત્પતિ સ્થિતિ અને લય કરે છે (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) તે સર્વનો સત્કાર કરવાની અને આભાર વ્યક્ત કરવાની યોગ્ય તક સાંપડે છે. જે જે સુગંધી દ્રવ્યો તેમ જ ખાદ્યપદાર્થો જે જે દેવદેવીના મંત્રોચ્ચાર કરી યજ્ઞમાં હોમાય છે તે સર્વ પદાર્થો સૂક્ષ્મ સ્વરૂપે તે દેવદેવીઓને તેમના સ્થાને પહોંચે છે તેમને અર્પણ કરાયેલા આ પદાર્થો અનેકગણા થઇ શારીરિક, માનસિક કે આર્થિક જેવા કોઇ પણ સ્વરૂપે આપણને લાભ આપ્યા વગર રહેતા નથી.

 

ભાગવત્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે અન્નથી યજ્ઞ થાય છે. યજ્ઞથી જ વૃષ્ટિ થાય છે અને વૃષ્ટિથી અન્ન પેદા થાય છે. આમ તમે કરેલું રોકાણ તમને વ્યાજ સહિત કુદરત પાછું આપે છે. સારામાં સારી પેઢીઓ અને બૅન્કો 'ઊઠી' જાય છે, પરંતુ કુદરતની બૅન્કમાં રાખેલી થાપણ વ્યર્થ જતી નથી ક્યારેક ને ક્યારેક તો ઊગી જ નીકળે છે. તમને જે પેઢી બેન્કમાં વિશ્ર્વાસ હોય છે તેમાં જ તમારી મૂડીનું રોકાણ કરો છો એ જ રીતે તમને જેમાં પણ શ્રદ્ધા હોય એ શક્તિ (દેવદેવી)નું સન્માન કરી તેનો યજ્ઞ કરી જીવનમાં અનેક લાભ પ્રાપ્ત કરી શકો છો. આમ ભૌતિક ઇચ્છાપૂર્તિ અને દિવ્ય શક્તિઓનો વિકાસ સાધી આધ્યાત્મિક શિખરોની ઊંચાઇએ પહોંચવામાં યજ્ઞ સૌથી મહત્ત્વનું સાધન બની રહે છે.

 

માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ યજ્ઞથેરાપીનો વાયરો વાયો છે. આપણા જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ જર્મન લોકો ખેતીવાડીમાં કરી રહ્યા છે. યજ્ઞમાંથી નીકળતા વાયુ મંડળથી પાક જીવજંતુના ત્રાસથી તો બચે જ છે પણ એ પાકની ગુણવત્તા પણ વધી જાય છે. પાકનું પ્રમાણ પણ વધી જાય છે. યજ્ઞમાં વિવિધ ઔષધિઓ નાખી બીમાર મનુષ્યોને સાજા કરવાનું અધ્યયન વિદેશોમાં તેમ જ ભારતમાં ગાયત્રી પરિવાર(મથુરા) દ્વારા ચાલી રહ્યું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsH9VX-erm8RXkjnT226X9TaWGU7Qu%2BcLJNO_g4LzLW8w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment