Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ૧ થી ૧૪ વર્ષનાં ૨૨ કરોડ ભારતીય બાળકોને છે કરમિયા થવાનું રિસ્ક (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧ થી ૧૪ વર્ષનાં ૨૨ કરોડ ભારતીય બાળકોને છે કરમિયા થવાનું રિસ્ક!
જિગીષા જૈન

 

 

 

કરમિયા સામાન્ય બીમારી છે, પરંતુ એને કારણે બાળક કુપોષણ અને એનીમિયાનો શિકાર થઈ શકે છે. આપણાં બાળકોને હેલ્ધી રાખવા માટે દર ૬ મહિને કૃમિ હોય કે ન હોય દવા પીવડાવી દેવી જોઈએ.


ગયા શુક્રવારે એટલે કે ૧૦ ફેબ્રુઆરીએ ભારતમાં નૅશનલ ડીવૉર્મિંગ ડે ઊજવવામાં આવ્યો હતો જે અંતર્ગત સરકારી આંકડાઓ મુજબ ૩૪ કરોડ બાળકોને પેટમાં થતા કરમિયાને દૂર કરવાની દવા આપવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ હતો કે સ્કૂલે જતાં બાળકોને કીડાઓ કે કરમિયાના ઇન્ફેક્શનથી બચાવવાં જેનાથી તેમના વિકાસ પર એની અસર થાય નહીં. જોકે સ્કૂલે ન જતાં ૪.૩ કરોડ બાળકોને આંગણવાડી કાર્યકર્તાની મદદથી પણ આ દવા આપવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના આંકડાઓ મુજબ દુનિયામાં સૌથી વધુ વૉર્મ ઇન્ફેક્શન એટલે કે કૃમિની તકલીફ ભારતમાં છે. ૨૦૧૪ના આંકડાઓ મુજબ એકથી ૧૪ વર્ષના બાવીસ કરોડ ભારતીય બાળકો આ ઇન્ફેક્શનનું રિસ્ક ધરાવે છે અને ષ્ણ્બ્ના રેકમન્ડેશન મુજબ ૪૦૦ મિલીગ્રામ અલ્બેન્ડાઝોલ ટૅબ્લેટ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. આ દવા એકદમ સેફ અને અસરકારક છે. શુક્રવારે ભારત સરકાર દ્વારા જે ૩૪ કરોડ બાળકોને દવા આપવામાં આવી હતી એ આ જ દવા હતી.


પ્રમાણ
ભારતમાં ૨૦૧૫થી આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો જ્યાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની ૧૦ તારીખે નૅશનલ ડીવૉર્મિંગ ડે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલાં બે વર્ષ આ મિશનમાં સરકારી સ્કૂલોનાં બાળકોને જ એમાં સમાવવામાં આવ્યાં હતાં. આ વર્ષે એમાં પ્રાઇવેટ સ્કૂલોને પણ આવરી લેવામાં આવી હતી જેને લીધે એકસાથે કરોડો બાળકોને એનો લાભ મળ્યો હતો. છતાં મોટા પાયે જોવા જઈએ તો હજી વધુ સક્રિયતાની જરૂર છે જેનાથી દેશના દરેક બાળકને એનો લાભ મળે. નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ દ્વારા કરવામાં આવેલા સર્વે દ્વારા એ જાણવા મળે છે કે ભારતના કયા રાજ્યમાં બાળકોમાં કૃમિની તકલીફ વધુ છે. તામિલનાડુ જેવા રાજ્યમાં ૮૫ ટકા બાળકોને આ તકલીફ છે તો મધ્ય પ્રદેશમાં ફક્ત ૧૨.૫ ટકા બાળકોને આ તકલીફ છે. એમાં ૫૦ ટકાથી વધુ બાળકો અસરગ્રસ્ત હોય એવાં ૧૪ રાજ્યો છે, જ્યારે ૨૦ ટકાથી પણ ઓછાં બાળકો અસરગ્રસ્ત હોય એવા ફક્ત બે જ રાજ્યો છે. ૨૦થી ૫૦ ટકા વચ્ચે બાળકો અસરગ્રસ્ત હોય એવાં ૧૯ રાજ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર આ કૅટેગરીમાં આવતાં રાજ્યો છે.


પ્રકાર
પેટમાં થતા કૃમિમાં મોટા ભાગના કૃમિ પોતાના આકાર પ્રમાણે નામ ધરાવે છે. જેમ કે રાઉન્ડ વૉર્મ, હુક વૉર્મ, થ્રેડ વૉર્મ, પિન વૉર્મ, ટેપ વૉર્મ, રિન્ગ વૉર્મ, વ્હીપ વૉર્મ વગેરે. એમાં રાઉન્ડ વૉર્મ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા કીડા છે. રાઉન્ડ વૉર્મ સફેદ રંગના લાંબા કીડા હોય છે જ્યારે થ્રેડ વૉર્મ્સ દોરા જેવા પાતળા હોય છે. એ જ રીતે ટેપ વૉર્મ્સ ચપટા દેખાતા હોય છે. કરમિયા કે કૃમિ બહારનું ફૂડ ખાવાને લીધે થઈ શકે છે. માટીવાળી શાકભાજી બરાબર ધોઈ ન હોય તો એનાં ઈંડાં પેટમાં જતાં રહે અને આંતરડામાં કીડા થાય. ૬-૮ મહિનાના બાળકથી લઈને ૭૦-૮૦ વર્ષના લોકો સુધી બધાને જ આ પ્રૉબ્લેમ થઈ શકે છે, પરંતુ બાળકોમાં એનું પ્રમાણ વધુ છે, કારણ કે બાળકોને આદત હોય છે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની. એને કારણે કરમિયા થવાની શક્યતા વધારે રહે છે. આ ઉપરાંત જે બાળકનું ધ્યાન રાખતા હોય એ હાઇજીનનું ધ્યાન ન રાખે તો બાળક માટે જમવાનું બનાવતી વખતે કે તેને જમાડતી વખતે તેમના દ્વારા એ ઈંડાં બાળકના પેટમાં જતાં રહે છે.


શું થાય?
ભારતમાં લગભગ ૫૦ ટકાથી પણ વધુ બાળકો જેનો ભોગ બની રહ્યા છે એ છે કુપોષણ. વિશ્વમાં ૪૭.૪ ટકા બાળકો એનીમિયાગ્રસ્ત છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં ૮૯,૦૦,૦૦૦ બાળકો એનીમિયાગ્રસ્ત છે. તાજેતરમાં થયેલા નૅશનલ હેલ્થ ફૅમિલી સર્વે મુજબ ૧૨-૧૭ મહિનાનાં બાળકો ૩૬-૫૯ મહિનાનાં બાળકો કરતાં સિવિયર એનીમિયા હોવાનું ૭ ગણું વધુ રિસ્ક ધરાવતાં હતાં. આ કુપોષણ અને એનીમિયા થવા પાછળનાં મહkવનાં કારણોમાંનું એક કારણ છે કરમિયા કે કૃમિ. એની સાથે જોડાયેલી બીજી તકલીફ વિશે વાત કરતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર-કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, 'કરમિયા આમ તો સામાન્ય બીમારી છે અને એનો ઇલાજ પણ સામાન્ય છે, પરંતુ અમુક કેસમાં એ જટિલ બની જાય છે. જેમ કે એનું ઈંડું મોઢામાંથી અન્નનળીમાં જતી વખતે શ્વાસનળીમાં જતું રહે તો લેફલર ન્યુમોનિયા નામનો રોગ થઈ જાય છે. આ ઉપરાંત ઈઅસિનફિલીઆ નામનો રોગ થઈ જાય છે જેમાં વ્યક્તિના શ્વેતકણોના કાઉન્ટ વધી જાય છે. ક્યારેક ઘણા કરમિયા સાથે મળી પેટમાં એક ગોળ ગાંઠ જેવું બનાવે છે જે કાઢવા માટે આંતરડાનું ઑપરેશન કરાવવું પડે છે. ઘણી વાર એ પેટના બીજા ભાગો સુધી પહોંચી લિવર, કિડની વગેરેને પણ નુકસાન પહોંચાડે છે.'


લક્ષણો
કરમિયા થાય ત્યારે ઘણાં બાળકો એવાં પણ હોય છે જેમને કોઈ લક્ષણો ક્યારેય દેખાતાં નથી. બસ, તેમના મળમાં કરમિયા દેખાય એટલે ખબર પડે છે કે બાળકને કોઈ પ્રૉબ્લેમ છે. જોકે મોટા ભાગના કેસમાં કોઈ ને કોઈ લક્ષણ દેખાય જ છે જે વિશે જણાવતાં મધરકૅર ક્લિનિક-અંધેરીના પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, 'કરમિયા થાય ત્યારે અડધી રાત્રે બાળક ઊંઘમાંથી ઊઠીને રડવા લાગે છે કારણ કે તેને પૂંઠમાં ખંજવાળ આવતી હોય છે અથવા પેટમાં દુખતું હોય છે. અમુક બાળકો રાત્રે ઊંઘમાં દાંત કચકચાવે છે. ઘણાને ખૂબ ભૂખ લાગે તો ઘણાં બાળકોની ભૂખ મરી જાય છે. ઘણાં બાળકોને શુગર-ક્રેવિંગ થાય છે. સૌથી મહkવનું કોઈ લક્ષણ હોય તો એ છે કે બાળક પ્રૉપર જમતું હોય છતાં પણ તેનું વજન ન વધે અને તેનો ગ્રોથ બરાબર ન થતો હોય.'


ડોઝ
બાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે એ મોટા ભાગે પાણીજન્ય છે. પાણીમાં ફરતા કરમિયાનાં ઈંડાં પેટમાં જાય અને બાળકને કરમિયા થઈ શકે છે. એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન તરફથી ભારત સરકારને ૧૮ કરોડ અલ્બેન્ડાઝોલ દવાઓ દાન કરવામાં આવી હતી, જેનો ઉપયોગ આ નૅશનલ ડીવૉર્મિંગ ડે પર કરવામાં આવ્યો હતો. આ દવા ઘણાં જુદાં-જુદાં સ્વરૂપમાં આવે છે જેમાં એક ગોળી એવી પણ છે જે ફક્ત ચૂસવાની જ હોય છે. એ વિશે સલાહ આપતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, 'બાળકોએ જ નહીં, પરંતુ સમગ્ર પરિવારે ચોમાસામાં કરમિયા માટેનો ર્કોસ કરી લેવો જોઈએ, કારણ કે ઘરમાં એક જ ટૉઇલેટ યુઝ કરતા લોકોને એકબીજાને કારણે ચેપ લાગી શકે છે. આ પ્રૉબ્લેમ એવો છે જેના માટે લક્ષણોની રાહ જોવાની જરૂરત નથી હોતી. એની દવા ઘણી જ સેફ છે. શંકા થાય કે ન થાય આ રોગ માટે પણ દર ૬ મહિને તો એ દવા લઈ જ લેવી.'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou55Y6TkBo3Hnqu%2B1n48DeXea7itdJqSx%2BvtBvrQkQh%3DA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment