Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભારત-પાક મુકાબલાની મોકાણ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારત-પાક મુકાબલાની મોકાણ!
અજય મોતીવાલા

amdavadis4ever@yahoogroups.com

 

આગામી ૩૦મી મેએ ઇંગ્લૅન્ડમાં શરૂ થનારા વન-ડેના ૧૨મા વર્લ્ડ કપને આડે માંડ ૩૩ દિવસ તથા પાકિસ્તાન સામેના ભારતના મુકાબલાને આડે બરાબર ૫૦ દિવસ બાકી છે ત્યારે ભારતીય ક્રિકેટમાં મતમતાંતરો પ્રવર્તે છે. ક્રિકેટપ્રેમીઓમાં અને ખાસ કરીને દાયકાઓથી ભારત-પાકની ટક્કરના સાક્ષી બનેલા ક્રિકેટચાહકોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. આ મેગા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ન રમવું કે રમવું? દેશદાઝ બતાડીને રમવાનો સાફ ઇનકાર કરી દેવો કે ક્રિકેટની કરતબથી દુશ્મન-દેશની ટીમને જોરદાર પછડાટ આપવા રમી લેવાનો દૃઢ નિર્ધાર કરવો? ન રમીને અને મફતમાં બે પૉઇન્ટ આપીને પાક ટીમને વિશ્ર્વકપના લીગ રાઉન્ડમાં આસાનીથી આગળ વધવા દેવું કે રમીને એને ફરી એકવાર ક્રિકેટજગતની આ સૌથી મોટી ઇવેન્ટમાં હરાવીને આંચકો આપવો? ન રમીને આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) સાથેના વિવાદને વહોરી લેવો કે પછી રમીને ભૂતપૂર્વ પ્લેયરો-નિષ્ણાતોના ક્રોધને વહોરી લેવો?

ભારત સરકારનો કોઈ પણ નિર્ણય શિરોમાન્ય ગણાશે, પરંતુ ઉપર આપણે જાણ્યા એવા બીજા અનેક પ્રશ્ર્નો ઘણા લોકોના મનમાં ઉદ્ભવતા હશે. તટસ્થ દૃષ્ટિકોણથી જોઈએ તો ન રમવામાં ફાયદો છે અને રમીએ તો પણ કેટલાક લાભો મળવાના જ છે. ભૂતકાળમાં ઘણા દેશો તેમના જોડિયા રાષ્ટ્ર સાથેની દુશ્મનાવટ, લડાઈ, ખુન્નસ અને વૈમનસ્ય છતાં એની સાથે ખેલના મેદાન પર સામાસામી કરવા ઊતર્યા હોવાના કિસ્સા બની ચૂક્યા છે. પશ્ર્વિમ જર્મની-પૂર્વ જર્મની એકમેકના કટ્ટર હોવા હતા છતાં એકબીજા સામે રમતગમતની હરીફાઈઓમાં રમ્યા હતા. દક્ષિણ કોરિયા-ઉત્તર કોરિયાની બાબતમાં પણ આવું બની ચૂક્યું છે અને હવે તો તેમની વચ્ચે ઘણી રીતે સમાધાનો પણ થયા છે. બીજું વિશ્ર્વયુદ્ધ સપ્ટેમ્બર ૧૯૩૯થી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું અને એ દરમિયાન પ્રજાનો ઉત્સાહ વધારતી રમતોમાં દુશ્મન-દેશોએ એકમેક સામે પોતાની ટીમો મેદાન પર ઉતારી હતી. એ જોતાં, આગામી વિશ્ર્વકપમાં પાકિસ્તાન સામે ભારત રમશે તો કંઈ આભ નહીં તૂટી પડે. હા, પ્રબળ દેશદાઝ ધરાવનારાઓને ઠેસ પહોંચશે અને તેમના તરફથી આપણા ક્રિકેટરો, ક્રિકેટ બોર્ડ તેમ જ સરકાર પર ક્રોધ વરસી શકે, પરંતુ રમતગમતને રાજનીતિથી અલગ રાખવાની પરંપરા જરૂર જળવાશે.

ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે ભારતમાં પાક-પ્રેરિત આતંકવાદે દાયકાઓથી આપણી કરોડોની પ્રજાને હેરાન-પરેશાન કરી નાખી છે અને સમયાંતરે આત્મઘાતી હુમલા કર્યા પછી કાશ્મીરમાં ઉરી પછી હવે પુલવામા જિલ્લામાં કેન્દ્રીય અનામત પોલીસ દળના ૪૦થી વધુ જવાનોનો ભોગ લેનારો જીવલેણ હુમલો થવાથી ત્રાસવાદ હવે તો ચરમસીમાએ આવી ગયો છે. આવા આતંકવાદને બળ આપનાર પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે આપણે રમાય જ કેમ? એવો સવાલ અસંખ્ય લોકોના મનમાં હશે. આ લોકો કહે છે કે આપણી અસ્મિતા મોખરે હોવી જોઈએ અને પાકિસ્તાન સામે ન જ રમવું જોઈએ. એક અહેવાલ તો એવો હતો કે પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી સાવ હટાવી દેવાની આઇસીસીને વિનંતી કરતો પત્ર પણ ભારતમાં તૈયાર થઈ ગયો છે. ક્રિકેટરોના મંતવ્યો જાણીએ તો સૌરવ ગાંગુલીના મતે ભારતે ક્રિકેટ તો શું, બધી રમતોની હરીફાઈઓમાં પાક સામે રમવાનું ટાળવું જોઈએ. હરભજન કહે છે કે વિશ્ર્વકપમાં ભારતે પાક સામે ન રમવું જોઈએ. યુઝવેન્દ્ર ચહલે પણ પાકને બરાબર પાઠ ભણાવવાની વાત કરી છે.

જોકે, બીજા ઘણા લોકોનું સાવ જૂદું માનવું છે. તેમનું કહેવું છે કે વર્લ્ડ કપમાં જો આપણે પાક સામે ૧૬મી જૂને મૅન્ચેસ્ટરમાં યોજાનારી લીગ મૅચમાં ન રમીએ તો પાક ટીમને રમ્યા વગર મફતમાં બે પૉઇન્ટ મળી જાય અને એ બે પૉઇન્ટ થકી પાક આગળ વધીને નૉકઆઉટ રાઉન્ડમાં સહેલાઈથી પહોંચી શકે. બીજું, પાકિસ્તાનની પ્રજા દ્વારા અને પાક-તરફીઓ દ્વારા એવો ઉપજાવી કાઢેલો નિષ્કર્ષ ઉઠી શકે કે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમને સરફરાઝ અહમદના સુકાનવાળી પાકિસ્તાનની ટીમ સામે રમવામાં ડર લાગતો હતો એટલે એણે રમવાનું ટાળેલું. ત્રીજું, પાક સામે લીગ રાઉન્ડમાં રમવાનું ટાળીએ પણ ખરા, પરંતુ એ પછી જો નૉકઆઉટ રાઉન્ડમાં (શક્યત: ફાઇનલમાં) પણ પાક સામે રમવાનો વખત આવે તો ત્યારે શું કરવું? ફરી રમવાનું ટાળવું? નૉકઆઉટમાં રમીશું તો કહેવાશે કે લીગ રાઉન્ડમાં એની સામે ન રમ્યા અને નૉકઆઉટમાં રમ્યા, આવું કેમ? જો નૉકઆઉટમાં પણ એની સામે રમવાનું ટાળીશું તો પાકને આગળ વધવાનો સીધો માર્ગ મળી જશે.

સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ભારત જો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાનું સાવ ટાળે (લીગ રાઉન્ડમાં અને પછી નૉકઆઉટ રાઉન્ડની સંભવિત મૅચમાં) અને જો પાકિસ્તાન છેવટે વર્લ્ડ કપની ટ્રોફી જીતી જાય તો ભારતીય ટીમને અને ભારતીય પ્રજાને મોટો અફસોસ થાય. અફસોસ એવો થાય કે જો વિરાટ ઍન્ડ કંપની એની સામે રમી હોત તો તેઓ આગળ જ ન વધી શક્યા હોત અને ટ્રોફી સુધી પહોંચી જ ન શક્યા હોત.

આમેય, આપણે તો ૮ વર્ષ પહેલાં (૨૦૧૧માં) બીજી વાર વિશ્ર્વવિજેતા બન્યા હતા, પરંતુ પાકિસ્તાનને ૧૯૯૨ના તાજ પછી (૨૭ વર્ષથી) ફરી ચૅમ્પિયન બનવા નથી મળ્યું અને એવામાં જો ભારત એની સામે રમવાનું ટાળે અને એ જો વિશ્ર્વવિજેતા બની જાય તો ઇતિહાસમાં એની સુવર્ણ અક્ષરે વાહ-વાહ લખાય. સરફરાઝ ઍન્ડ કંપની ચૅમ્પિયન બને તો ખાસ લખવામાં આવે કે 'ઇમરાન ખાન ૧૯૯૨માં કૅપ્ટન હતો ત્યારે પાકિસ્તાન વર્લ્ડ કપ જીત્યું હતું અને આ વખતે (૨૦૧૯માં) ઇમરાન ખાન વડા પ્રધાન છે ત્યારે પણ પાકિસ્તાને વિશ્ર્વકપની ટ્રોફી જીતી લીધી.'

આવું થાય તો ભારતને પાકિસ્તાન સામે ન રમવાનો મોટો રંજ રહી જાય અને હૃદયમાં એ ઘા ક્યારેય ન ભુલાય. ટૂંકમાં કહીએ તો પાકને ચૅમ્પિયન ન બનવા દેવા ભારતે એની સામે રમવું જ જોઈએ.

આપણા મુકાબલામાં ઉતર્યા વગર મફતમાં બે પૉઇન્ટ મેળવ્યા પછી પાક ચૅમ્પિયન બની શકે એવી સંભાવના વિશે વિચાર કરીએ તો પણ આપણું લોહી ગરમ થઈ જાય. એ જોતાં, વર્લ્ડ કપમાં પાક સામે રમવામાં જ આપણને વધુ લાભ છે એવું ઘણા માનતા હશે. સુનીલ ગાવસકરે તો કહ્યું જ છેને કે, 'ભારત જો પાક સામેની મૅચમાંથી ખસી જશે તો પાકને વિજેતા જાહેર કરાશે અને એના ખાતામાં બે પૉઇન્ટ ઉમેરાઈ જશે. હજી તો આપણે લીગ મૅચની વાત કરીએ છીએ. સેમી ફાઇનલ કે ફાઇનલની વાત પણ મેં નથી કરી. આપણે એની સામે રમવું જ જોઈએ અને એને હરાવીને ખેલના મેદાન પરથી જડબાતોડ જવાબ આપવો જોઈએ. આપણે દરેક વર્લ્ડ કપના મુકાબલામાં પાકને હરાવ્યું છે તો પછી આ વખતે ફરી રમીને એને કેમ ન હરાવવું? હું મારા રાષ્ટ્રની જોડે જ છું અને સરકારના નિર્ણયને યોગ્ય ગણાવીશ.'

વિશ્ર્વકપના રણમેદાન પર પાક સામે રમવા ઉતરીએ એમાં ખોટું કંઈ જ નથી. આપણા ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાનો અને ન્યૂ ઝીલૅન્ડનો સફળ પ્રવાસ કરીને પાછા આવ્યા છે અને માર્ચ-એપ્રિલની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રમીને આપણા બૅટ્સમેનો 'બૅટ વધુ ધારદાર' બનાવી લેશે અને બોલરો તરખાટ માટે વધુ તત્પર હશે. આ સ્થિતિમાં પાક સામે રમવાનું આવે તો આપણા પ્લેયરો પાછળ રહે એવા છે ખરા? નહીંને? તો પછી તેમને રમવા જ દેવા જોઈએ અને પાક સામે તમામ વર્લ્ડ કપ મુકાબલાઓમાં વિજય મેળવ્યો હોવાની પરંપરા જાળવી રાખવાનો તેમને સુવર્ણ મોકો આપવો જોઈએ. વન-ડેમાં આપણે નંબર-ટૂ છીએ અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે એટલે એ રીતે પણ આપણે એનાથી ઘણા ચડિયાતા છીએ.

'હાઉ ઇઝ ધ જોશ?' કહીને મૅન્ચેસ્ટરના મેદાન પર ઉતરી પડો. કૅપ્ટન વિરાટ કોહલીને તેના સાથીઓ 'હાઇ સર' કહીને જોશ બુલંદ હોવાનો કૉલ આપીને તેનો (ખુદ કૅપ્ટનનો) જોશ વધારી આપશે. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડ કપમાં આપણે પાકિસ્તાનને મોહાલીની સેમી ફાઇનલમાં ૨૯ રનથી હરાવ્યું હતું અને ત્યાર પછી ફાઇનલમાં શ્રીલંકાને પરાજિત કરીને ભારતીય ટીમે ગ્રેટેસ્ટ બૅટ્સમૅન સચિન તેન્ડુલકરને નિવૃત્તિ પહેલાં સૌથી મૂલ્યવાન ટ્રોફીની ભેટ આપી હતી. આ વખતે શક્યત: મહેન્દ્રસિંહ ધોનીનો આખરી વિશ્ર્વકપ છે અને એમાં પાકિસ્તાનને પછડાટ આપીને અને પછી ફરી એકવાર વિશ્ર્વવિજેતાના રૂપમાં આપણી ટીમ ધોનીને તાજની ભેટ સાથે યાદગાર ફેરવેલ આપી શકે એમ છે.

---------------------------

દુશ્મન-દેશો વચ્ચે રણમેદાનમાં ટક્કર થઈ ચૂકી છે

ૄ ૧૯૯૦ના દાયકામાં પશ્ર્ચિમ જર્મની અને પૂર્વ જર્મની એક થઈ ગયા એ પહેલાં તેમની વચ્ચે ૧૯૪૯થી ૧૯૯૦ સુધીમાં ઘણી રમતોમાં ક્લબ-સ્તરે ઘણા મુકાબલા થયા હતા. ૧૯૭૪ના ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપનો આ બે પાડોશી દેશો વચ્ચેનો મુકાબલો સૌથી પ્રખ્યાત ગણાય છે. એમાં પૂર્વ જર્મનીએ પશ્ર્ચિમ જર્મનીને ૧-૦થી હરાવ્યું હતું.

ૄ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વર્ષોથી એકમેકના દુશ્મન છે, પરંતુ તેઓ ફૂટબૉલમાં એકબીજા સામે ન રમતા હોય ત્યારે તેઓ એકમેકની ટીમને ટેકો આપવાનું ક્યારેય નથી ચૂકતા. આ બે દેશો વચ્ચે એશિયન ગેમ્સ અને ફિફા વર્લ્ડ કપમાં (પુરુષો તેમ જ મહિલાઓની) ઘણી મૅચો રમાઈ છે જેમાંથી અમુક દક્ષિણ કોરિયા જીત્યું છે અને કેટલીકમાં ઉત્તર કોરિયાએ વિજય મેળવ્યો છે. ક્યારેક તો તેમણે સ્પર્ધામાં સંયુક્ત ટીમો પણ મોકલી છે. થોડા મહિનાઓથી બન્ને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધો સુધર્યા છે જેને પરિણામે તેઓ ૨૦૩૨ની સાલની ઑલિમ્પિક્સ પોતાને ત્યાં સંયુક્તપણે યોજવા વિચારી રહ્યા છે.

ૄ ૧૯૩૯થી ૧૯૪૫ સુધીના બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન વિશ્ર્વભરમાં લાખો ને કરોડો લોકોએ જાન ગુમાવ્યા હતા, પરંતુ મનોરંજનની સંયુક્ત મહેફિલો જામી હતી એમ ખેલકૂદના મેદાન પર દુશ્મન-દેશોના ખેલાડીઓ આમનેસામને રમ્યા હોવાના કિસ્સા પણ બન્યા હતા. એક રીતે સ્પોર્ટ્સ તથા એન્ટરટેઇનમેન્ટને કારણે વિશ્ર્વયુદ્ધ દરમિયાન થોડી શાંતિનો પ્રસાર થયો હતો. અમેરિકા-જર્મની વચ્ચે બૉક્સિગંની રિંગમાં મુકાબલા થયા હતા તો ઇંગ્લૅન્ડ કેટલાક દુશ્મન રાષ્ટ્રો સામે રમતના મેદાનમાં રમવા ઊતર્યું હતું. અમેરિકા અને જાપાન પણ દુશ્મન રાષ્ટ્રોના ખેલાડીઓ વિરુદ્ધ રમ્યા હતા.

ૄ સૌથી મહત્ત્વની વાત એ છે કે ૧૯૯૯માં કારગિલની વૉર ચાલી રહી હતી ત્યારે ઇંગ્લૅન્ડના વન-ડેના વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચે મુકાબલો થયો હતો.

--------------------------

વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં રમવું પડતું હોય છે!

ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલકૂદ સ્તરે ૨૦૦૮ના મુંબઈ ટેરર-અટૅક પછી દ્વિપક્ષી સંબંધો ભલે નથી રહ્યા, પરંતુ તેમણે મોટી ટુર્નામેન્ટોમાં એકમેક સામે રમવું પડ્યું છે. ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફીની જ વાત કરીએ. ત્યારે લંડનમાં ભારત-પાક વચ્ચે ફાઇનલમાં ટક્કર થઈ હતી જેમાં પાકિસ્તાનનો ૧૮૦ રનથી વિજય થયો હતો. વર્લ્ડ કપ જેવી સૌથી મોટી સ્પર્ધામાં (આઇસીસીના નિયમ મુજબ) કોઈ પણ દેશે બીજા કોઈ પણ હરીફ સામે (પછી ભલે એ એનો દુશ્મન-દેશ હોય તો પણ) રમવું જ પડે. કારણકે આવી મેગા સ્પર્ધામાં બ્રૉડકાસ્ટરો તેમ જ સ્પૉન્સરો સહિતના અનેક પ્રકારના કરોડો ડૉલરના કરારો થયા હોય છે અને એને પરિપૂર્ણ કરવા જ પડે. જો કોઈ દેશ કોઈ કારણસર એ કરાર પૂરા કરવામાંથી હટી જાય તો એ દેશની ટીમે અમુક પૉઇન્ટ તો ગુમાવવા જ પડે, એના ક્રિકેટ બોર્ડે જંગી રકમની પેનલ્ટી પણ ભરવી પડે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtNYFxvacSUcy-_F%2BwC9uZizHU9zkDrUeW3XDW97cYtgA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment