Wednesday 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સવારે ઊઠીને તમને ભૂખ નથી લાગતી? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સવારે ઊઠીને તમને ભૂખ નથી લાગતી?
જિગીષા જૈન

 

 

 

નિયમ એવું કહે છે કે જો તમે એકદમ હેલ્ધી હો તો સવારે ઊઠતાંની સાથે ફ્રેશ થયા પછી તમને મસ્ત ભૂખ લાગશે. જોકે આપણામાંથી ઘણા લોકો એવા છે જેઓ કહે છે કે અમને તો ભૂખ જ નથી લાગતી સવારે. કંઈ પણ કરો, પણ સવારે કંઈ ખવાય જ નહીં તેમનાથી. આ પરિસ્થિતિ કયાં કારણોસર ઉદ્ભવે છે અને એને કઈ રીતે બદલી શકાય એ આજે સમજીએ...

 

સવારે હું મારા બાળક માટે ગરમાગરમ નાસ્તો બનાવું છું, પણ તે ખાતું જ નથી. તેને ભાવતું બનાવું તો પણ નહીં. પહેલાં પરાણે દૂધ પીવડાવીને સ્કૂલમાં મોકલતી, પરંતુ હવે તો એ પણ નથી પીતું. તે કહે છે કે તેને ભૂખ જ નથી લાગતી. ખબર નહીં શું કરવું જોઈએ?

 

આવું કહીને આઠ વર્ષના એક દીકરાની મમ્મીએ ચિંતા વ્યક્ત કરી. તો મમ્મીઓના ગ્રુપમાં ઊભેલી બીજી એક સ્ત્રીએ કહ્યું, 'અરે, એમાં શું છે જો તે સવારે ન ખાય તો. મારું બાળક પણ સવારે નાસ્તો નથી જ કરતું, કારણ કે તે મારા પર ગયું છે. મને પણ સવારે ક્યારેય ભૂખ ન લાગે. અમે લોકો મૉર્નિંગમાં ઊઠીએ પછી આરામથી ચારેક કલાક નીકળી જાય પછી કંઈ ખાવાની ઇચ્છા થાય. હું તો નાનપણથી જ એમ મોટી થઈ છું. મેં ક્યારેય બ્રેકફાસ્ટ કર્યો જ નથી અને મારુંં બાળક પણ નથી કરતું. હું તેને નાસ્તો કરવા કહું તો પણ નહીં કરે. જોકે હું સમજી શકું છું, કારણ કે એ મારા જેવું જ છે.'

 

સવારે ઊઠીને બ્રેકફાસ્ટ કરવાને એક અતિ હેલ્ધી આદત માનવામાં આવે છે, પરંતુ આ હેલ્ધી આદત ધરાવતા લોકો કેટલા? એવા લોકો અઢળક મળી રહેશે આપણને જે સવારે ઊઠીને કંઈ ખાતા નથી. સીધા નાહી-ધોઈને તૈયાર થઈને કામે નીકળી જાય છે, સ્કૂલમાં જતા રહે છે કે પછી ઘરનાં કામોમાં પરોવાઈ જાય છે. સવારે ભલે છ વાગ્યે ઊઠે, પરંતુ દસ વાગ્યા સુધી તેમણે ખાધું જ ન હોય. એમાંથી મોટા ભાગના લોકો એ ફરિયાદ કરે છે કે સવારે ભૂખ જ નથી લાગતી તો શું કરીએ? સૌથી મહkવની વાત એ છે કે સવારે ઊઠીને કલાકની અંદર તમારે કંઈક ખાવું જરૂરી છે. ભલે પછી એ ફક્ત ફળ કે ડ્રાયફ્રૂટ્સ હોય તો પણ ચાલે, પરંતુ ઊઠીને કલાકો સુધી ભૂખ્યા રહેવું સામાન્ય રીતે હેલ્ધી ગણાતું નથી. હવે જો આ બાબતને અપનાવવા ઇચ્છીએ તો પણ એ પ્રશ્ન તો ઊભો જ છે કે સવારે ભૂખ ન લાગે તો શું? જો ભૂખ ન લાગે તો કઈ રીતે ખાવું? આ પ્રશ્નના જવાબમાં એ સમજવું જરૂરી છે કે સવારે ઊઠીને ભૂખ ન લાગવા પાછળ કયાં કારણો જવાબદાર છે એ જાણીએ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી.

 

૧. આદત
આપણું શરીર એક એવું મશીન છે જે આદતો અનુસાર ઢળી જાય છે. એ સમજવું હોય તો વિચારો કે તમે દરરોજ બપોરે એક વાગ્યે જમી લો છો. તો તમને દરરોજ એક વાગ્યે ભૂખ લાગતી જ હશે, પરંતુ સમજો કે તમારી જૉબ બદલાણી. દરરોજ ત્યાં બે વાગ્યે જ લંચ-બ્રેક પડે છે. એ પહેલાં જમી ન શકાય. તો શરૂઆતમાં એક વાગશે એટલે તમારા પેટમાં ઉંદરો કૂદવા લાગશે, પરંતુ તમે એ સમયે નહીં જમો એટલે આપોઆપ બીજા દિવસે પહેલા દિવસે થઈ હતી એટલી તકલીફ નહીં થાય. ધીમે-ધીમે એક મહિનો થઈ જશે પછી એક વાગ્યે ભૂખ લાગવાનું જ બંધ થઈ જશે અને બે વાગ્યે જ ભૂખ લાગશે. શરીર એ રીતે પોતાનું ઍડ્જસ્ટમેન્ટ કરતું હોય છે. તમે સવારે ખાતા નથી એટલે તમને ભૂખ લાગતી નથી. એક વખત ખાવાનું ચાલુ કરશો તો આપોઆપ શરીરને એ સિગ્નલ મળશે કે સવારે ખોરાક મળે છે માટે આપોઆપ સવારે ભૂખ લાગવાનું ચાલુ થશે. ૧૦૦માંથી ૯૦ જણ જેમને સવારે ઊઠીને ભૂખ લાગતી નથી તેમનું ભૂખ ન લાગવા પાછળનું કારણ તેમની નાસ્તો ન કરવાની આદત છે. એક વખત એ આદત પાડશો એટલે આપોઆપ ભૂખ લાગશે.

 

૨. અનિયમિત ખોરાક
આપણા દરેકના શરીરમાં એક ઘડિયાળ ફિક્સ હોય છે જે સૂવાનો અને ખાવાનો સમય નિã ત રીતે જતાવતી હોય છે. એટલે કે કોઈ વ્યક્તિને રાત્રે ક્યારે ઊંઘ આવે કે સવારે ક્યારે ઊંઘ ઊડે, દિવસ દરમ્યાન ક્યારે-ક્યારે ભૂખ લાગે એ સર્કાડિયન રિધમ અનુસાર નક્કી થતું હોય છે. જોકે આ રિધમ ત્યારે કામ કરે છે જ્યારે તમે એને સેટ રહેવા દો. આદર્શ રીતે દરેક હેલ્ધી વ્યક્તિને સવારે ઊઠીને ભૂખ લાગવી જોઈએ, પરંતુ તમારો ખોરાક લેવાનો સમય કે સૂવાનો અને ઊઠવાનો સમય અતિ અનિયમિત હોય તો આ રિધમ ખોરવાઈ જાય છે એટલે ભૂખ લાગવાનો સમય પણ નિã ત રહેતો નથી. ક્યારેક તમે સવારે આઠ વાગ્યે નાસ્તો કરો તો ક્યારેક દસ વાગ્યે તો ક્યારેક કંઈ ખાઓ જ નહીં અને સીધા બપોરે જમો તો શરીર તમને સિગ્નલ આપતું નથી કે તમને ભૂખ લાગી છે. બરાબર સિગ્નલ શરીર ત્યારે આપે જ્યારે એ સિગ્નલને તમે સમજો અને એ પ્રમાણે વર્તો.

 

૩. ક્યારેક ભૂખ ન લાગે તો
ઘણી વખત એવું થાય છે કે શેડ્યુલ કે રૂટીન ખૂબ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય, તમે ક્યાંક ફરવા ગયા હો અને ખૂબ બહારનો ખોરાક ખાધો હોય, હાઈ કૅલરીવાળો ખોરાક રાત્રે ખૂબ ખવાઈ ગયો હોય તો આ પરિસ્થિતિમાં સવારે ઊઠો ત્યારે ભૂખ નથી લાગતી. આ એ લોકોની વાત થઈ રહી છે જેમને લગભગ દરરોજ સવારે ઊઠે ત્યારે ભૂખ લાગે જ છે, પરંતુ ક્યારેક એવું થાય કે સવારે ઊઠીને ખાવાની ઇચ્છા જ ન હોય. તો શું કરવું? પહેલાં તો એ સમજવું કે કયાં કારણોસર તેમને આવું થયું. બીજું એ કે ભૂખ ન હોય તો પરાણે નાસ્તો કરવાની જરૂર નથી. બાળકોને પણ આ વાત લાગુ પડે છે. બાળક દરરોજ સવારે નાસ્તો કરીને જતું હોય, પરંતુ એકાદ સવાર તે ના પડે કે તેને ઇચ્છા નથી તો પરાણે ન ખવડાવો. તમને પણ સવારે ભૂખ ન લાગે તો એ સમયે ફળ ખાઈ લો. કોઈ પણ એક ફળ સવારે ઊઠીને લઈ લો. પછી પણ શરીર ફૂલેલું લાગે અને દસ વાગ્યા સુધીમાં પણ ભૂખ ન લાગે તો ફક્ત શાકભાજીનો જૂસ પી લો. એનાથી થોડી ડિટોક્સ પ્રકારની અસર થશે અને શરીર ઠીક થશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot8a5JtfnJQqGyYTiJdecoqfv4D_VVe-9G0qsCE%2B%3DVzgw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment