Thursday 30 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રેગ્યુલર ઍસિડિટી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમને થતા રેગ્યુલર ઍસિડિટીના પ્રૉબ્લેમમાં તમે ઍન્ટૅસિડ સિરપ કે પાઉડર પીઓ છો?
જિગીષા જૈન

acidity

તો જાણી લો કે તમે મોટી ભૂલ કરી રહ્યા છો. ૬ મહિને એકાદ વાર ઍસિડિટી થાય અને તમે આ ઍન્ટૅસિડ સિરપ પીઓ તો ઠીક છે, પરંતુ લગભગ દરરોજ કે નિયમિતરૂપે આ દવાઓ ન લેવાય. એનાથી તમારી સિસ્ટમ ખરાબ થાય છે. વળી એ નિયમિતરૂપે થતી ઍસિડિટીનો કાયમી ઉપાય નથી. જેમને રેગ્યુલર ઍસિડિટી રહેતી હોય તેમણે શું કરવું અને શું ન જ કરવું એ જાણીએ

 

આજકાલ આપણી જે લાઇફ-સ્ટાઇલ છે જેમાં હરી, કરી અને વરી ત્રણેયનો ભરપૂર સમાવેશ થાય છે અને આ ત્રણેય વસ્તુ આપના પેટમાં ઍસિડિટી અને ગૅસ માટે જવાબદાર બને છે. હરી એટલે કે જમવામાં, જમવાનું બનાવવામાં, ક્યાંય પણ પહોંચવામાં, આપણાં રોજિંદા કામોમાં પણ હંમેશાં આપણને ઉતાવળ જ હોય છે. મુંબઈમાં તો દરેક વ્યક્તિને ભાગવું જ હોય છે. બધાને જ મોડું થતું હોય. કોઈ પાસે શાંતિથી બેસીને જમવાનો સમય પણ નથી હોતો. કરી એટલે આપણું ભોજન- તીખું, તળેલું, મસાલાવાળું ભોજન. કોઈને ઘરનું સીધું-સાદું સાત્વિક ભોજન ભાવે છે જ ક્યાં? અને ભાવતું હોય તો દરરોજ ત્રણ ટાઇમ એવું ભોજન બનાવવાનો સમય ક્યાં છે. માટે બહાર મળતું જે પણ આપણે ખાઈએ એ બધું જ તામસિક ભોજન શરીરમાં તમસનો વધારો કરે અને એને લીધે ઍસિડિટીની તકલીફ વધવાની જ. આ સિવાય વરી એટલે કે સ્ટ્રેસ પણ એક એવી વસ્તુ છે જે શરીરમાં ઉત્પન્ન થનારા આ ઍસિડની માત્રામાં વધારો કરે છે. મુંબઈગરાઓના જીવનમાં સ્ટ્રેસની કોઈ કમી નથી. અહીં ભાગ્યે જ કોઈ વ્યક્તિ સ્ટ્રેસ વગર જીવતી હોય છે. નાનાં-નાનાં સ્ટ્રેસથી લઈને મોટી ચિંતાઓ તમારા શરીરની સિસ્ટમ પર અસર કરતી હોય છે અને એને કારણે આવું થાય છે. ઘણી વાર લોકોની લાઇફ-સ્ટાઇલ એકદમ ઠીક હોય, ખાવા-પીવાનું યોગ્ય સમયે હોય, હંમેશાં ઘરનો સાત્વિક ખોરાક જ ખાતા હોય છતાં તેમને સતત ઍસિડિટી રહેતી હોય એ મોટા ભાગે એ લોકો હોય છે જેઓ ખૂબ ચિંતા કરતા હોય અથવા તો સ્ટ્રેસપૂર્ણ જીવન જીવતા હોય છે. આ ઍસિડિટી કેમ થાય છે? એના વિશે આપણે શું કરીએ છીએ? જે કરીએ છીએ એ યોગ્ય છે કે નહીં એ બાબતે સમજીએ.

 

ઍસિડની કામગીરી

પહેલાં તો શરીરમાં ઍસિડ ક્યાં બને છે? શું કામ બને છે એ સમજવું જરૂરી છે જેના વિશે વાત કરતાં દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, 'ઍસિડ હોજરીમાં બનતું ઘટક છે. એનું મુખ્ય કામ બહારથી જે ખોરાક શરીરમાં પ્રવેશે છે એ ખોરાકમાં રહેલા નુકસાનકારક બૅક્ટેરિયા અને વાઇરસનો નાશ કરવાનું છે, જેને લીધે શરીર ઇન્ફેક્શનથી બચી શકે. હવે આ ઍસિડની એક નિશ્ચિત જરૂરી માત્રા હોય છે. એનાથી એ વધુ બને તો છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, ઊલટી જેવાં ચિહ્નો જોવા મળે છે. આ ચિહ્નોનું કારણ એ છે કે શરીર ઍસિડની આ વધારાની માત્રાને શરીરમાંથી બહાર ફેંકવાની કોશિશ કરતું હોય છે જેને લીધે આ લક્ષણો દેખાય છે.'

 

ખોટી લાઇફ-સ્ટાઇલ જવાબદાર

ઍસિડિટી એક ખૂબ જ સામાન્ય તકલીફ છે. ભાગ્યે જ એવું કોઈ જોવા મળશે જેને ઍસિડિટી ક્યારેય થઈ જ ન હોય, પરંતુ આ ઍસિડિટી પાછળ કોઈ બીજાં કારણો જવાબદાર નથી હોતાં. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, '૯૯ ટકા ઍસિડિટીની તકલીફ પાછળ લાઇફ-સ્ટાઇલનાં કારણો જ જવાબદાર હોય છે. બીજા કોઈ શારીરિક કારણો એની પાછળ જવાબદાર હોય તો એ માત્ર એક ટકા શક્યતા રહે છે. જે વ્યક્તિની ઊંઘ બરાબર ન હોય, ખાનપાન વ્યવસ્થિત ન હોય, બેઠાડુ જીવન જીવતી હોય, ઓબીસ હોય તો એને ઍસિડિટી થવાની શક્યતા રહે છે. માટે જે વ્યક્તિને આ તકલીફ થઈ રહી છે એણે સૌથી પહેલાં એ તપાસવું જોઈએ કે એની લાઇફ-સ્ટાઇલમાં ક્યાં ગરબડ છે. જો વ્યક્તિ પોતાની લાઇફ-સ્ટાઇલ ઠીક કરી શકે તો ઍસિડિટીની તકલીફથી મુક્તિ મળી શકે છે.'

 

શું કરો છો?

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિના ઘરમાં જો જોવામાં આવે તો ઍસિડિટીની કોઈક દવા કે ટીકડીઓ કે પાઉડર કે સિરપ જોવા મળશે જ. ઘરમાં બામ અને તેલ હોય જ એમ ઍસિડિટીની દવા તો હોય જ એવું આજકાલ થઈ ગયું છે, કારણ કે ઍસિડિટી એટલી હદે સામાન્ય રોગ બનતો જાય છે. આ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, 'ઍસિડિટીની દવાઓને ઍન્ટૅસિડ દવાઓ કહે છે. આ દવાઓ પાઉડરના ફૉર્મમાં આવે છે જેને પાણીમાં નાખીને પી જવાનું હોય છે તો કેટલીક દવાઓ સિરપના ફૉર્મમાં આવે છે જે સીધું પીવાનું હોય છે. બાકી કેટલીક ટીકડીઓ પાણી જોડે ગળવાની હોય છે. આ બધી જ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર જ મળતી હોય છે. એટલે લોકો એને ફાવે એમ લેતા હોય છે. આ બધી જ દવાઓ મોટા ભાગે આલ્કલાઇન હોય છે જે પેટમાં જઈને ઍસિડ સાથે ભળી એને ન્યુટ્રલ બનાવી દે છે. એટલે તત્કાલીન જે બળતરા કે અનઈઝીનેસ હોય એ જતી રહે છે. આ દવાઓ તાત્કાલિક રિલીફ આપવા માટે હોય છે.'

 

રેગ્યુલર ઍન્ટૅસિડ નહીં

મોટા ભાગે જોવા મળે છે કે જે લોકોને ઍસિડિટીની તકલીફ રહે છે એ એક દિવસની તકલીફ નથી હોતી, લગભગ દરરોજ જ તેમને કંઈ ને કંઈ તકલીફો રહ્યા જ કરે છે. એક વખત તે આ દવા લેવાનું ચાલુ કરે પછી લગભગ દરરોજ જ તે એક ગોળી ઍસિડિટીની લઈ લે છે. એનાથી તેમને તત્કાલીન રાહત મળે છે એટલે એ એનાથી જ ખુશ હોય છે. આ રીતે લોકો જાતે જ રેગ્યુલર ઍન્ટૅસિડ દવાઓ લઈ લેતા હોય છે, પરંતુ શું એ લેવી સેફ છે ખરી? આ બાબતે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, 'ક્યારેક આ દવાઓ લઈ લેવાય તો વાંધો નથી, પરંતુ રેગ્યુલર એ દવાઓ લેવાથી સિસ્ટમ અપસેટ થાય છે. એ ક્યારેક લેવી એટલે ૬ મહિને એકાદ વાર લઈ શકાય, પરંતુ જે લોકોને રેગ્યુલર જ ઍસિડિટી રહે છે અને આ દવાઓ પર નિર્ભર થઈ ગયા છે તેમણે તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે રેગ્યુલર આ દવાઓ લેવાથી શરીરમાં જરૂરી ઍસિડનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે જેને લીધે ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે. આ સિવાય શરીરની પોતાની ઍસિડ ઉત્પન્ન કરવાની સિસ્ટમને એ કન્ફ્યુઝ કરે છે. કેટલું ઉત્પાદન કરવું અને કેટલું નહીં એનું માપ ગરબડ થઈ જાય છે. આમ એ લાંબા ગાળે નુકસાનકારક જ છે.'

 

રેગ્યુલર ઍસિડિટી હોય ત્યારે

૧. જો તમે એને જલદી ઠીક થઈ જવા માટે ઍન્ટૅસિડ દવાઓ લેતા રહેશો તો એનું ટેમ્પરરી સોલ્યુશન મળશે, કાયમી નહીં; કારણ કે આ દવાઓ અંદર જઈ જે વધુ ઍસિડની માત્રા છે એને લેવલ પર લાવશે કે ઓછી કરશે, પરંતુ ઍસિડ બનતું અટકાવી શકશે નહીં.

૨. માટે એ જાણવું પહેલાં જરૂરી છે કે તમારી લાઇફ-સ્ટાઇલમાં કયા પ્રૉબ્લેમને કારણે તમને ઍસિડિટીની તકલીફ વારંવાર થઈ રહી છે. જો એ પ્રૉબ્લેમ ઠીક કરશો તો તમારી તકલીફ એની મેળે ઠીક થશે.

૩. ફક્ત ઍન્ટૅસિડ સિરપ કે પાઉડર પીધા રાખવાથી ઉકેલ આવવાનો નથી. ઊલટું એક સમય એવો આવશે કે એ ઍન્ટૅસિડ પણ તમારા પર કામ કરવાનું મૂકી દેશે. વળી એનાથી લાંબા ગાળે તમારી સિસ્ટમ ખરાબ થશે માટે જાતે ઉપાય કરવાને બદલે ડૉક્ટરની યોગ્ય સલાહ લો અને ઍસિડિટીનો કાયમી ઇલાજ કરો, નહીંતર લાંબા ગાળે અલ્સરની શક્યતા પણ રહે છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvSXXBf9CaxF4kVZDcEo8fxGfCRH1HUcTpKo0j0LUcRaQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment