Tuesday 31 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઓહ ગોડ, વ્હાય મી, હું જ શા માટે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઓહ ગોડ, વ્હાય મી, હું જ શા માટે?
ઝીરો લાઈનઃ ગીતા માણેક

 

 

પંચાવન વર્ષના સમીરભાઈએ ખૂબ મહેનત અને આવડતથી રેડિમેડ ગારમેન્ટનો ધંધો વિકસાવ્યો હતો. મુંબઈમાં ચાર બેડરૂમનો ફ્લેટ, ત્રણ કાર અને સુખ-સુવિધાઓ હતી. દીકરો મલ્ટિનેશનલ કંપનીમાં સારા પગારે નોકરી પર હતો. દીકરીના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. સમીરભાઈએ વિચાર્યું હતું કે બસ, આ એક જવાબદારીમાંથી મુક્ત થઈ જાય પછી નિરાંતનું જીવન વિતાવીશું. પરંતુ છેલ્લા થોડા દિવસથી તેમને હાંફ્ ચડતી હતી. મેડિકલ ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે તેમને ફેફ્સાંનું કેન્સર છે. સમીરભાઈ ભાંગી પડયા. ડોક્ટરોના અને હોસ્પિટલના ચક્કર, કિમોથેરપી, દવાઓ બધાથી કંટાળી ગયેલા સમીરભાઈના મનમાં સતત એક જ પ્રશ્ન ઘૂમરાયા કરતો હતો કે મેં તો ક્યારેય કોઈનું બૂરું કર્યું નથી તો ભગવાન, મને જ શા માટે આવી તકલીફ્? મને જ શા માટે આવું થયું?

 

મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી ચાંદની હોસ્ટેલમાં હતી ત્યારે અચાનક એક દિવસ ફેન આવ્યો, પપ્પાને સિરીયસ છે. જલદી ઘરે આવી જા. ચાંદનીના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દસેક દિવસ બાદ તેમનું મૃત્યુ થયું. ચાંદની માટે આ કારમો આઘાત તો હતો જ પણ પિતાના મૃત્યુ બાદ તેને ખબર પડી કે તેમના પર ખૂબ બધું દેવું હતું. થોડા જ દિવસમાં બેન્કવાળાઓએ ફ્લેટ જપ્ત કરી લીધો. ચાંદનીએ ભણવાનું અધૂરું મૂકવું પડયું. મા અને નાની બહેનની જવાબદારી તેના માથે આવી ગઈ. હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટની નોકરી સ્વીકારી લેવી પડી. ચાંદની સતત સવાલ પૂછતી રહેતી વ્હાય મી ઓ ગોડ? આ બધા દુઃખો મારા પર જ શા માટે?

 

આ બંને કિસ્સાઓમાં નામ કાલ્પનિક છે, પણ ઘટનાઓ સાચી છે. પોતાના પર જીવનમાં કોઈ દુઃખ, વિપદા આવી પડે ત્યારે આપણે પણ પૂછીએ છીએ વ્હાય મી? આ એક સ્વાભાવિક અને મોટાભાગના લોકોમાં ઉદ્ભવતો પ્રતિભાવ હોય છે. આપણા જેવા સર્વસામાન્ય માણસો માટે આવી પરિસ્થિતિઓ બહુ મુશ્કેલ હોય છે એ કબૂલ પણ પ્રશ્ન એ ઊઠે છે કે જે કિસ્સાથી વાતની શરૂઆત કરી એ સમીરભાઈ નાની ઉંમરે સૌરાષ્ટ્રના ગામડાંમાંથી આવીને ધંધો વિકસાવ્યો, સફ્ળતા મેળવી, સમજદાર પત્ની, ગુણવાન સંતાનો એ બધું મેળવ્યું ત્યારે શું એક વાર તેમણે ઈશ્વરને પૂછયું હશે કે વ્હાય મી? આ બધું તેં મને શું કામ આપ્યું? અનેક લોકોને કાળી મજૂરી બાદ પણ બે ટંક ખાવાનું કે માથા પર છાપરું નથી મળતું તો મને જ આટલી બધી સુવિધાઓ શા માટે?

 

ચાંદની માટે મુશ્કેલીનો પહાડ તૂટી પડયો હતો એ ખરું પણ આટલા વર્ષો પિતાના લાડકોડ મળ્યા હતા. તેના પિતાએ સંતાનોમાં બે દીકરીઓ હોવા છતાં ક્યારેય દીકરો ન હોવાનો અફ્સોસ તો નહોતો જ જતાવ્યો પણ ઊલટું કહેતા કે જેમણે અતિશય પુણ્ય કર્યા હોય તેમને બે દીકરીઓ હોય! ચાંદનીનું બાળપણ એક બહુ જ પ્રેમાળ અને હૂંફ્ભર્યા વાતાવરણમાં વીત્યું હતું. આ બધો પ્રેમ અને સુવિધાઓ મળતા હતા ત્યારે શું એકવાર પણ ચાંદનીએ કહ્યું હશે આ બધું મને જ શા માટે? આજના જમાનામાં પણ બાળકીઓની ગર્ભમાં હત્યા કરી નાખવામાં આવે છે, તેમને જન્મ જ નથી લેવા દેવામાં આવતો ત્યારે મારા પરિવારે દીકરી હોવા માટે મારો ક્યારેય તિરસ્કાર ન કર્યો. મને આટલું બધું શા માટે મળ્યું? વ્હાય મી?

 

એ સત્ય છે કે મોમાં બત્રીસ દાંત હેમખેમ હોય ત્યારે આપણું ધ્યાન એના પર નથી જતું પણ એક દાંત જો તૂટી જાય તો જીભ વારંવાર ત્યાં જ જાય છે. જીવનમાં જે નથી એની કમીઓ તરફ્ જ ધ્યાન ખેંચાતું રહે છે. કેટલાક અપવાદો બાદ કરતા આપણને સ્વસ્થ શરીર, ઇન્દ્રિયો, ઘર-પરિવાર કેટકેટલું મળતું હોય છે પણ ત્યારે તો આપણે ભાગ્યે જ પૂછીએ છીએ કે ઓ ગોડ વ્હાય મી? લાખ્ખો લોકો એ બધી બાબતોથી વંચિત હોય છે ત્યારે ભાગ્યે જ આપણને એ પ્રશ્ન ઊઠે છે કે ભગવાન આ બધું આપવા માટે તેં મને જ શા માટે પસંદ કર્યો?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvVZ_QP%2BH7zbGW%2B9_gY-CJYPrDXm23NhZT%2BauPwLqO_NA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment