કોઈએ મને પ્રશ્ન પૂછ્યો છે કે આપની વાત સ્વીકારીએ છીએ કે પ્રેમ એ શ્રેષ્ઠ છે. ભક્તિ સંપ્રદાયના આચાર્યોએ પ્રેમને પંચમ પુરુષાર્થ કહ્યો છે, છતાં બધાને પ્રાપ્ય કેમ નથી? તમે હનુમાનજીના જીવનમાં તપાસો ભક્તિ કેમ પ્રાપ્ત થાય? પ્રેમ કેમ પ્રાપ્ત થાય? ભક્તિ અને પ્રેમ બંનેને સમાન અર્થમાં વાપરી રહ્યો છું. આચાર્યોની બોલીમાં અંતર પણ છે, સામ્ય પણ છે, વૈષમ્ય પણ છે, પણ અહીં એક સ્થાન પર બંનેને સમજો. પ્રેમ મહાન છે, આપણે બધા જ ઇચ્છીએ છીએ કે આપણે એકબીજાને પ્રેમ કરીએ, દ્વેષ ન કરીએ, પણ એ પ્રેમ કઈ રીતે પ્રગટે? એ ભક્તિ, એ ભાવનું સર્જન કઈ રીતે થાય? હનુમાનજીના ચરિત્રમાંથી લ્યો. પ્રેમનું પ્રગટીકરણ થશે, સેવા અને ત્યાગથી. તમે એના પર આગળ વિચારશો નહીં, કારણ કે તમે વ્યાસગાદીને જલદી સ્વીકારી લ્યો છો. તમારી શ્રદ્ધાને લીધે કે બાપુએ આ વાત કહી છે. મને આનંદ છે કે તમારી આટલી શ્રદ્ધા છે, કારણ લોકો મને પત્ર લખે ત્યારે લખે કે બાપુ તમે કથામાં આમ કહ્યું હતું એટલે અમે આમ કરીએ છીએ. એટલે એનો અર્થ એમ કે તમે એને સ્વીકારો છો, તમે એને અબાધિત સત્ય માનો છો. બીજું સેવાથી પ્રેમ પ્રગટે. લગભગ તમારો અનુભવ એવો હોય છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં સેવા કરવાની ઈચ્છા થાય છે. જગજાહેર સૂત્ર તો એ જ છે જ્યાં પ્રેમ હોય ત્યાં સેવા પ્રગટ થાય. બાળકમાં પ્રેમ છે એટલે એની સેવા કરે છે મા. ભાઈમાં પ્રેમ છે એટલે ભાઈ સેવા કરે છે. ઘણું ખરું તો આવું પ્રસિદ્ધ છે અને એ ઠીક પણ છે કેટલીક માત્રામાં કંઈ ખોટું નથી. બાકી તત્ત્વત:, સિદ્ધાંત, પ્રેમની જનેતા સેવા નથી, સેવાની જનેતા પ્રેમ છે. સેવાથી પ્રેમ ઉત્પન્ન થાય, જન્મે એ નિયમ છે. સેવા, પ્રેમને લીધે તમે સેવા કરો તો તમારી સેવાનો એક ખંડ હશે, તમારી સેવા એક ફ્રેઈમમાં મઢેલી હશે, કારણ તમને જ્યાં પ્રેમ હશે ત્યાં જ તમે સેવા કરશો. ઠીક છે? તમને તમારા સંપ્રદાયમાં પ્રેમ હશે તો તમે ત્યાં સેવા કરશો. તમને તમારા પરિવારમાં પ્રેમ હશે એ તો તમે સમજો એટલે પ્રેમ શબ્દ લગાડવો પડે, બાકી મમતા શબ્દ છે. પ્રેમ ક્યાં છે? પ્રેમ તો મારા ઠાકુરમાં હોઈ શકે. બાકી તો બધી મમતા છે બાપ ! પણ સમજવાને માટે 'પ્રેમ' શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. પ્રેમને લીધે સેવા થાય છે જરૂર, પણ એમાં એનો ખંડ હશે, એક એનું ગૃપ હશે, સંકીર્ણતા હશે, પણ જે પ્રેમ સેવામયી નીકળશે એ સાર્વભૌમ હશે. કોઈ ગૃપ નહીં હોય. એનો કોઈ સંપ્રદાય નહીં હોય, એનું કોઈ મંડળ નહીં હોય.
સંપ્રદાય કેમ થયા ખબર છે તમને? એક મહાપુરુષ જે બોલી જાય, એની પાછળ આવેલા, એનામાંથી જે જે વ્યાખ્યાઓ કરે એટલા નવા સંપ્રદાયો ઊભા થાય. સંપ્રદાયોનો જન્મ આમ થાય. બુદ્ધ જે બોલ્યા એમાંથી જેટલા લોકોએ નવી નવી વ્યાખ્યાઓ કરી એ બધાનો જુદો જુદો સંપ્રદાય થઈ ગયો. મહાવીર બોલે શંકરાચાર્ય જે બોલે પછી એની જુદી જુદી વ્યાખ્યાઓ થાય. સંપ્રદાયનો ફાયદો એટલો કે એ મૂળપુરુષ કંઈ સ્વર્ગમાંથી આવીને તમને કહેવાનો નથી ટોકવાનો નથી કે ભૂલ કાઢવાનો નથી, કે મેં અમ નથી કહ્યું, મૂરખ ! તું મારા શબ્દોને ક્યાં તોડમરોડ કરે છે? એ તો તમને એમ ટોકવા આવે એમ નથી. તમને મનમાની થઈ જાય.
દુનિયાનો મોટામાં મોટો મનોવિજ્ઞાની ફ્રોઈડ, એનો જીવનપ્રસંગ હું વાંચી રહ્યો હતો. એના જીવનમાં એમ લખ્યું છે કે જ્યારે એનો અંત સમય આવ્યો એને એમ લાગ્યું કે બસ એકાદ અઠવાડિયું જીવું
તો જીવું, ત્યારે એણે આખી દુનિયામાં એના ફેલાયેલા
અનુયાયીઓમાંથી ચુનંદા ત્રીસ ત્રીસ જણાને એણે બોલાવ્યા. આજે મરે, કાલે મરે એવી ફ્રોઈડની દશા, પ્રકાંડ બુદ્ધિમાન ત્રીસ જણા આવ્યાં છે. બધા બેઠાં છે, ફ્રોઈડ સૂતો છે. ફ્રોઈડના શબ્દોની બધા ચર્ચા
કરે છે.
માનસશાસ્ત્રનાં જે સૂત્રો એણે આપ્યાં હતાં એમાંથી એક સૂત્ર પકડીને દુનિયાભરમાંથી આવેલા પેલા ત્રીસ જણા એની વ્યાખ્યા કરે. અમેરિકા તરફથી આવેલો કોઈ કહે કે આનો અર્થ આમ થાય, બ્રિટનથી આવેલ કહે કે આનો અર્થ આમ થયા, અને ત્રીસ જણા લડવા માંડ્યા, ભોજન કરતાં કરતાં લડવા માંડ્યા. ફ્રોઈડ સૂતો હતો. એણે કહ્યું, એઈ લડોમાં, હજુ હું જીવતો છું, મારી ઉપસ્થિતિમાં તમે મારાં સૂત્રોને તોડમરોડ કરીને આટલા લડતા હો તો મારી ગેરહાજરીમાં મારા મર્યા પછી તમે શું કરો? સંપ્રદાયોનો જન્મ આમ થાય છે. સંપ્રદાય સારો શબ્દ છે, ખરાબ નથી, પણ મૂળ આનો પ્રસવ આવી રીતે થાય છે. જેને જે લાગે તે તેવા અર્થ કરે, કારણ મૂળ વ્યક્તિ તો નથી. એટલે બહુ ફાયદો થાય.
કબીર સાહેબનો તમે ગમે તે અર્થ કરો, કબીર તો તમને અહીં કંઈ અટકાવવા આવવાના નથી. તું મને પૂછને મેં શું કહ્યું હતું? કારણ કોઈ પણ સદ્ગુરુની વાણી દેશ, પાત્ર અને કાળ પ્રમાણે બોલાતી હોય છે, સ્થિતિને જોઈને બોલાતી હોય છે. એમાં ભેદ નથી સામ્ય હોય છે. એટલે ઘણીવાર એક જ મહાપુરુષનાં નિવેદનો તમને વિરોધાભાસી પણ લાગે, પરંતુ એ વિરોધ નથી. પાત્રને જોઈને બોલાયેલી
વાણી છે.
તમને ડૉક્ટર દવા લખી આપે છે, તમે કેમિસ્ટની દુકાને દવા લેવા જાઓ અને એક જણ તમારા પહેલા દવા લે છે,એમાં તેને પેલો લાલ રંગની ગોળી આપે છે,તમે જાઓ એટલે તમને લીલા રંગની ગોળી આપે છે. તો તમે એમ કહો કે તમે અન્યાય કરો છો? કળજુગ હળાહાળ આવી ગયો, આને લાલ ગોળી, મને લીલી ગોળી? વિરોધ છે, પણ હકીકતમાં તારી તંદુરસ્તી માટે જેની જરૂર છે એ ડૉકટરે લખી આપી છે, ત્યાં સામ્ય નહીં ચાલે. ત્યાં સમાનતા સમભાવ નથી, પણ પછી આવું સદૈવ બનતું રહ્યું સંસારમાં. મૂળ વસ્તુને તમે પછી તોડમરોડ કરી એવું થાય. એટલે ્રૂઠળજ્ઞ્રુર્ટૈ ક્ષ્રૂૂૃક્ષળલટજ્ઞ- જેમ છે તેમ લ્યો. સાચો વિદ્વાન જ એ છે, જે મૂળ વાતને એમ ને એમ રજૂ કરે. પછી એને સમજાવવા માટે વિસ્તાર કરે એ વાત જુદી છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot-N3GMXD3vTZjYNZGVWNuSz%2Bd2cPph4RTfTS_1ZSyRFg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment